સલમાન રશ્દીની એક આંખની રોશની ગઇ, એક હાથ લકવા ગ્રસ્ત થયો
ભારતીય મૂળના આંતરરાષ્ટ્રીય લેખક(Writer) સલમાન રશ્દીએ(Salman Rushdie) જીવલેણ હુમલા(Attack) બાદ એક આંખ ગુમાવી દીધી હતી. એક હાથ પણ નિષ્ક્રિય થયો છે. હવે તે માત્ર એક હાથથી જ કામ કરી શકશે. તેમના સાહિત્યિક એજન્ટે આ વાતનો ખુલાસો કર્યો છે.
ભારતીય મૂળના આંતરરાષ્ટ્રીય લેખક(Writer) સલમાન રશ્દીએ(Salman Rushdie) જીવલેણ હુમલા(Attack) બાદ એક આંખ ગુમાવી દીધી હતી. એક હાથ પણ નિષ્ક્રિય થયો છે. હવે તે માત્ર એક હાથથી જ કામ કરી શકશે. તેમના સાહિત્યિક એજન્ટે આ વાતનો ખુલાસો કર્યો છે. રશ્દીના સાહિત્યિક એજન્ટ એન્ડ્રુ વાઈલીએ સ્પેનિશ અખબારને જણાવ્યું હતું કે 75 વર્ષીય લેખકને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમણે એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી. તેમની ગરદન પર ત્રણ ગંભીર ઘા હતા.
તેમણે કહ્યું કે રશ્દીનો એક હાથને હંમેશ માટે લકવો થઈ ગયો છે, કારણ કે તેમના હાથની નસ કપાઈ ગઈ હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રશ્દીની છાતી અને ધડ પર લગભગ 15થી વધુ ઘા છે. તેમના પર જીવલેણ હુમલો હતો. તેમના એજન્ટે એ જણાવ્યું નથી કે રશ્દી હાલમાં હોસ્પિટલમાં છે કે પરત ફર્યા છે. વાયલીએ કહ્યું કે તે જીવીત છે તે સૌથી મહત્વની બાબત છે.
ન્યુયોર્કમાં રશ્દી પર હુમલો થયો હતો
75 વર્ષીય લેખક પર 12 ઓગસ્ટે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમના પર છરી વડે 12 વાર ઘા કરવામાં આવ્યા હતા. રશ્દીના ગળા અને ધડમાં છરા મારવામાં આવ્યા હતા. આ દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલાખોરની ઓળખ 24 વર્ષીય હાદી માતર તરીકે થઈ હતી. હુમલા બાદ ઈરાને હુમલાખોર સાથે કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે રશ્દીનો જન્મ ભારતમાં એક મુસ્લિમ કાશ્મીરી પરિવારમાં થયો હતો. રશ્દીને 80ના દાયકાથી ઈરાન તરફથી તેમના એક પુસ્તક, ધ સેટેનિક વર્સિસ પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
‘ધ સેટેનિક વર્સેસ’માં પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી
1989માં ઈરાનના તત્કાલિન સર્વોચ્ચ નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીએ રશ્દીના આ પુસ્તકને ઈસ્લામ વિરુદ્ધ ગણાવ્યું હતું. ખોમેનીએ કહ્યું હતું કે પુસ્તકમાં કથિત રીતે ઇસ્લામના છેલ્લા પયગંબર મોહમંદ અને તેમની પત્નીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ લખાણો લખ્યા છે. ઈરાને તેમના શિરે લાખો રૂપિયાનું ઇનામ રાખ્યું હતું અને ફતવો ખોમેનીના મૃત્યુ પછી પણ ઈરાને યથાવત રાખ્યો હતો.
સલમાન રશ્દી લગભગ 10 વર્ષ સુધી ગુપ્ત રીતે રહેતા હતા. આ સમય દરમિયાન તેઓ બ્રિટનમાં રહેતા હતા. આ પછી તે અમેરિકા ગયા અને 20 વર્ષથી અમેરિકામાં રહે છે. અમેરિકામાં કોઈપણ કાર્યક્રમ દરમિયાન રશ્દીને સુરક્ષા આપવામાં આવતી હતી. પરંતુ કદાચ તે દિવસે સુરક્ષામાં કોઈ ક્ષતિ હતી જેના કારણે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
સલમાન રશ્દીના પુસ્તક પર ભારતમાં હંગામો થયો હતો
સલમાન રશ્દીનું વિવાદાસ્પદ પુસ્તક ‘ધ સેટેનિક વર્સીસ’ 26 સપ્ટેમ્બર 1988ના રોજ પ્રકાશિત થયું હતું અને પ્રકાશન પછી જ આ પુસ્તક વિવાદમાં ફસાઈ ગયું હતું. તેમના પુસ્તક પર વિશ્વના ઘણા દેશો દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રશ્દીના પુસ્તકની ભારતમાં પણ ઉગ્ર ચર્ચા થઈ હતી, ત્યારબાદ 5 ઓક્ટોબર 1988ના રોજ રાજીવ ગાંધી સરકારે પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો.