રશિયાના કબજામાં યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પ્લાન્ટ, યુક્રેને માંગી હવે દુનિયા પાસેથી મદદ
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 9મો દિવસ છે. સમગ્ર વિશ્વનું રશિયા પર હાલમાં આ યુદ્ધ તુરંત જ અટકાવવા માટે ઘણું દબાણ હોવા છતાં પણ, રાશિયાને કોઈને ગાંઠી નથી રહ્યું.
યુક્રેનમાં રહેલો યુરોપનો સૌથી મોટો ન્યુકિલયર પ્લાન્ટ ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (Zaporizhzhia Nuclear Power Plant) હવે રશિયાના (Russia) કબજા હેઠળ આવી ગયો છે. રશિયાના હુમલાને કારણે અહીં આગ પણ લાગી હતી. જેને બાદમાં ઘણી મુશ્કેલી બાદ કાબુમાં કરવામાં આવી હતી. રશિયા- યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો (Russia-UkraineWar) આજે 9મો દિવસ છે. યુક્રેન પોતાના પર થયેલા હુમલાનો પૂરેપૂરી તાકાતથી જવાબ આપી રહ્યું છે, તેની વચ્ચે પણ રશિયાએ યુક્રેનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શહેર ખોરસેન અને ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો મેળવી લીધો છે.
યુરોપનો સૌથી મોટો પરમાણુ પ્લાન્ટ છે
- યુક્રેન સૈન્ય પ્રશાસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે એનર્હોદર શહેરમાં ઝાપોરિઝિયા પ્લાન્ટમાં રિએક્ટર નંબર 1 કમ્પાર્ટમેન્ટને ઘણું નુકસાન થયું હતું. જો કે, સદનસીબે તેનાથી પાવર પ્લાન્ટની સુરક્ષા પર કોઈ અસર થઈ નથી. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં રેડિયેશનનું સ્તર ખતરનાક સ્તરે પહોંચ્યું નથી.
- અત્રે ઉલ્લેખનીય છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે વાત કરી છે. આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને વિશ્વનો 9મો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે. આજે (04/03/2022) સવારે અહીંયા રશિયન સૈન્ય દ્વારા હુમલો કરાયો હતો.
- રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું કે ”રશિયન સેનાએ ઝાપોરિઝ્ઝ્યા એનપીપી પર ફાયરિંગ કર્યું. રશિયા સિવાય અન્ય કોઈ દેશે પરમાણુ એકમ પર ક્યારેય ગોળીબાર કર્યો નથી. માનવ ઈતિહાસમાં પહેલીવાર કોઈ આતંકવાદી દેશે પરમાણુ આતંકનો આશરો લીધો છે. ફક્ત તાત્કાલિક યુરોપિયન કાર્યવાહી જ રશિયન સૈનિકોને રોકી શકે છે.”
- યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાએ ચેતવણી આપી હતી કે “યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ, એનપીપી પર રશિયન સૈન્ય ચારે બાજુથી ગોળીબાર કરી રહ્યું છે. આગ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. જો તે વધુ આગળ વધે છે તો તે ચેર્નોબિલ દુર્ઘટના કરતા 10 ગણી મોટી હશે. રશિયાએ હવે તરત જ યુદ્ધવિરામ કરવો જોઈએ.”
- યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના મુખ્ય સલાહકાર, મિખાઈલ પોડોલ્યાકે ટ્વિટર પર હુમલાનો એક વીડિયો અપલોડ કર્યો છે અને કહ્યું છે કે, “ઝાપોરિઝ્ઝ્યા એનપીપીમાં આગ લાગી છે. સમગ્ર યુરોપમાં પરમાણુ આતંકનો ભય છે. રશિયાએ આ યુદ્ધ તરત જ બંધ કરવું જોઈએ. રિએક્ટર નંબર-1ના કમ્પાર્ટમેન્ટને નુકસાન થયું છે. જો કે આનાથી પાવર યુનિટની સલામતીને અસર થઈ નથી. પ્લાન્ટમાં જરૂરી સાધનો પણ બરાબર છે. અહીં કર્મચારીઓ તેના પર કામ કરી રહ્યા છે અને રેડિયેશન લીક થવાનો કોઈ ખતરો નથી.”
- ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના ડાયરેક્ટર જનરલ રાફેલ એમ. ગ્રોસિકે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ”યુક્રેનમાં પરમાણુ પાવર પ્લાન્ટની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. રશિયા પર કડક પગલાં લેવાનો આ સમય છે. યુક્રેને અમને આ અંગે વિનંતી કરી છે.”
- એનર્હોદરની નજીકના નગરના મેયરે જણાવ્યું હતું કે ”અહીંયા સતત ચાલી રહેલી લડાઈ અને ગોળીબારના કારણે અમારા વિસ્તારોમાં અનેક લોકો મરી રહ્યા છે. યુક્રેનની વીજળી ઉત્પાદનનો પાંચમો ભાગ એનર્હોદરમાં ઉત્પન્ન થાય છે.”
- રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે ગઈકાલે (03/03/2022) કહ્યું કે, ”એ સ્પષ્ટ છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પરમાણુ હથિયારોથી લડવામાં આવશે. હું નિર્દેશ કરવા માંગુ છું કે પરમાણુ યુદ્ધનો વિચાર પશ્ચિમી નેતાઓના મનમાં ઘૂમી રહ્યો છે અને રશિયનોના મનમાં નહીં.”
- આ અઠવાડિયાની શરૂઆતમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ તેમના પરમાણુ દળોને ‘હાઈ એલર્ટ’ પર રહેવાનો આદેશ આપ્યો હતો.
- બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં સૌથી ઘાતક યુદ્ધ હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે, જેનો આજે 9મો દિવસ છે. રશિયા પર અત્યારે સતત વૈશ્વિક દબાણ હોવા છતાં પણ, આ યુદ્ધ અટકવાને બદલે વધુ ને વધુ ખરાબ થઈ રહ્યું છે.
આ પણ વાંચો – ઈન્ટરનેટની મદદથી કાકડીની ખેતી શરૂ કરી, આ યુવક આજે ખેડૂતો માટે બની ગયો છે આદર્શ