રશિયાની વેક્સિન Sputnik V મજબૂત એન્ટિબોડી બનાવવા સક્ષમ, અભ્યાસમાં કરાયો દાવો
રશિયાની કોરોના રસી સ્પુટનિક- વીનો પ્રથમ ડોઝ બાદ માનવ શરીરમાં ઉચ્ચ આઈજીજી એન્ટિબોડી બનાવે છે અને એન્ટિબોડીને સ્થિર રાખે છે.આઇજીજી એન્ટિબોડી તમારા શરીરમાં મેમરી કોષનું નિર્માણ કરે છે.
કોરોના(Corona)રોગચાળાની બીજી લહેરમાં કેસોની સંખ્યા હવે ઘટી રહી છે. તેમજ હાલ દેશભરમાં રસીકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેવા સમયે એક અભ્યાસ મુજબ રશિયાની કોરોના રસી સ્પુટનિક- વી(Sputnik V)ના પ્રથમ ડોઝ બાદ માનવ શરીરમાં ઉચ્ચ આઈજીજી(IgG) એન્ટિબોડી બનાવે છે અને એન્ટિબોડીને સ્થિર રાખે છે. આઇજીજી(IgG)એન્ટિબોડી શરીરમાં મેમરી કોષનું નિર્માણ કરે છે. જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ આ વાયરસ સામે લડવામાં સક્ષમ બને છે.
આ અભ્યાસ આંતરરાષ્ટ્રીય પિયર રિવ્યુ, ઓપન એક્સેસ સેલ રિપોર્ટ્સ મેડિસિન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ સંશોધન આર્જેન્ટિનામાં કરવામાં આવ્યું છે. સંશોધન દરમ્યાન વૈજ્ઞાનિકોએ 288 આરોગ્ય કર્મચારીઓને રશિયાની કોરોના રસી સ્પુટનિક વી.ના ડોઝ આપ્યા હતા. તેની બાદ તેમના શરીરમાં ઉત્પન્ન થઈ રહેલા એન્ટિબોડીની પ્રતિક્રિયાનું મૂલ્યાંકન કર્યું હતું. જેમાં 39 વૈજ્ઞાનિકો આ સંશોધનમાં કામ કરી રહ્યા છે.
94 ટકા લોકો પર અસરકારક
આ સંસ્થાએ અહેવાલમાં જણાવ્યું હતું કે સ્પુટનિક- વી નો પ્રથમ ડોઝ 94 ટકા લોકોના શરીરમાં મજબૂત રોગ પ્રતિકારક શકિત બનાવે છે, જે તેમને કોરોના વાયરસથી બચવા માટે મદદ કરે છે. જ્યારે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પહેલાથી ચેપગ્રસ્ત વ્યક્તિઓમાં બીજો ડોઝ આપવાનો કોઈ ખાસ ફાયદો મળ્યો નથી. અહેવાલ મુજબ સ્પુટનિક વી નો પ્રથમ ડોઝ ચેપગ્રસ્ત વ્યક્તિઓને બચાવવા માટે પૂરતી છે.
24 કલાકમાં 37,154 નવા કેસ
બીજી તરફ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 37,154 નવા કેસ નોંધાયા છે. જેમાં સક્રિય કેસ 4,50,899 છે. તેમજ રિકવરી રેટ વધીને 97.22 ટકા થયો છે. ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 14,32,343 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 43,23,17,813 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે. જ્યારે અત્યાર સુધી દેશમાં કોરોના રસીના 38.86 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં હાલમાં રસીનાં 1.54 કરોડથી વધુ ડોઝ છે તેમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી.