Russia Ukraine War: રશિયન સેનાએ માયકોલાઇવમાં લશ્કરી મથકને બનાવ્યું નિશાન, તોપમારામાં 50 થી વધુ સૈનિકના મોત
એક સૈનિકે અનુમાન લગાવ્યું હતું કે રશિયન હુમલામાં 100 જેટલા લોકો મૃત્યુ પામ્યા હશે. જો કે હજુ સુધી અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ જણાવવામાં આવ્યું છે કે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના (Russia Ukraine War) 24મા દિવસે, રશિયન સૈનિકોએ માયકોલાઈવમાં (Mykolaiv) એક સૈન્ય મથકને નિશાન બનાવ્યું. આ હુમલામાં યુક્રેનના (Ukraine) ડઝનબંધ સૈનિકોના મોત થયા હતા. સમાચાર એજન્સી એએફપીએ આ માહિતી આપી છે. યુક્રેનની સેનાના 22 વર્ષીય સૈનિક મેક્સિમે આ વાત જણાવી કે, શુક્રવારે જ્યારે રશિયન સેનાએ (Russian Army) હુમલો કર્યો ત્યારે લગભગ 200 યુક્રેનિયનો બેરેકમાં સૂતા હતા. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 50 મૃતદેહોને બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી અમને ખબર નથી કે બેરેકની અંદર કાટમાળ નીચે હજુ કેટલા લોકો ફસાયેલા છે.
અન્ય એક સૈનિકે અનુમાન લગાવ્યું હતું કે રશિયન હુમલામાં 100 જેટલા લોકો મૃત્યુ પામ્યા હશે. જો કે હજુ સુધી અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ જણાવવામાં આવ્યું છે કે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રશિયાએ જ્યાં હુમલો કર્યો તે જગ્યા લશ્કરી સુવિધા હતી. આ લશ્કરી સુવિધા યુક્રેનના ઉત્તરમાં માયકોલાઇવ શહેરમાં સ્થિત હતી. રશિયાના મિસાઈલ હુમલાને કારણે આ શહેર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. માયકોલાઈવ શહેર કાળા સમુદ્રના કિનારેથી લગભગ 130 કિમી દૂર ઓડેસાના માર્ગ પર સ્થિત છે.
રશિયન સેનાના મોર્ટાર હુમલામાં સાતના મોત
અન્ય એક ઘટનામાં, કિવ નજીક સ્થિત મકારોવ શહેરમાં રશિયન સેના દ્વારા કરવામાં આવેલા મોર્ટાર હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. આ જાણકારી સ્થાનિક પોલીસે આપી છે. એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દુશ્મનના ગોળીબારને કારણે મકારોવમાં સાત નાગરિકો માર્યા ગયા છે. નોંધપાત્ર રીતે, રશિયન આક્રમણ પછી 3.3 મિલિયનથી (33 લાખ) વધુ લોકોએ યુક્રેન છોડી દીધું છે. યુનાઈટેડ નેશન્સે શનિવારે કહ્યું કે દેશની અંદર લગભગ 6.5 મિલિયન લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે.
ઝેલેન્સકીએ પુતિનને ફરીથી મળવા માટે કરી અપીલ
યુએન શરણાર્થી એજન્સી યુએનએચસીઆરએ જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયું ત્યારથી 3,328,692 યુક્રેનિયનો ત્યાંથી નીકળી ગયા છે. યુએનએચસીઆરના વડા ફિલિપો ગ્રાન્ડીએ કહ્યું કે લોકો યુક્રેનમાંથી ભાગી રહ્યા છે. કારણ કે તેઓ બોમ્બ, હવાઈ હુમલા અને આડેધડ વિનાશથી ડરે છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ ફરીથી રશિયન રાષ્ટ્રપતિ પુતિનને સીધી મળવાની અપીલ કરી છે.
તેમણે કહ્યું, આ મળવાનો સમય છે. વાત કરવાનો સમય છે. હું ઈચ્છું છું કે ખાસ કરીને મોસ્કોમાં દરેક મારી વાત સાંભળે. રાષ્ટ્રને આપેલા પોતાના વીડિયો સંદેશમાં ઝેલેન્સકીએ કહ્યું હતું કે, રશિયન દળો મોટા શહેરોને ઘેરી રહ્યા છે અને એવી દયનીય સ્થિતિ ઊભી કરવા માંગે છે કે યુક્રેનના નાગરિકોએ તેમને સહકાર આપવો પડે. જો કે, આ વ્યૂહરચના સફળ થશે નહીં અને જો રશિયા યુદ્ધ સમાપ્ત નહીં કરે તો તેને લાંબા ગાળે નુકસાન થશે.
આ પણ વાંચો : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પુતિનને આપી ચેતવણી, કહ્યું- રશિયાને પેઢીઓ સુધી યુદ્ધની કિંમત ચૂકવવી પડશે