દરિયામાં 10 દિવસ ભૂખ્યા-તરસ્યા ભટકી રહ્યા હતા રોહિંગ્યા શરણાર્થી, ‘મસીહા’ બનીને પહોંચ્યું ભારત
બાંગ્લાદેશના કોક્સબજારથી 11 ફેબ્રુઆરીએ 90 રોહિંગ્યા શરણાર્થીઓને લઈને ઉપાડી હતી. પરંતુ 15 ફેબ્રુઆરીએ તેનું એન્જિન ફેઈલ થઇ જતા બોટ દરિયામાં ભટકી રહી હતી.
ભારતીય કોસ્ટગાર્ડને અંદમાન સમુદ્રમાં રોહિંગ્યા શરણાર્થીઓથી ભરેલી એક બોટ મળી છે. એન્જિન ફેલ થઇ જવાના કારણે આ બોટ લગભગ 10 દિવસ દરિયામાં ભટકી રહી હતી. ભૂખ અને તરસને લીધે આઠ શરણાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. બોટ બાંગ્લાદેશના કોક્સબજાર (Bangladesh Cox Bazar)થી આશરે 64 મહિલાઓ અને 26 પુરુષોને લઈને ચાલી હતી. આ શરણાર્થીઓમાં નાનની ઉંમરના આઠ છોકરીઓ અને 5 છોકરાઓ પણ શામેલ હતા. ગુરુવારે માહિતી આપતા ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય કોસ્ટગાર્ડને આ બોટ મળી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બોટ બાંગ્લાદેશના કોક્સબજારથી 11 ફેબ્રુઆરીએ 90 રોહિંગ્યા શરણાર્થીઓને લઈને ઉપાડી હતી. પરંતુ 15 ફેબ્રુઆરીએ તેનું એન્જિન તૂટી ગયું અને ત્યારથી તે દરિયામાં ભટકતા રહ્યા. અનુરાગ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે મુશ્કેલ સંજોગોને કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે એક ગુમ છે.
ખોરાક અને દવા લઈ પહોચ્યું ભારત
અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે આ ભટકતી બોટ અંગેની જાણ થતાં જ અમે મદદ માટે બે કોસ્ટગાર્ડ જહાજ મોકલ્યા હતા. ભારતે આ શરણાર્થીઓને તુરંત પાણી, દવા અને ભોજન પૂરું પાડ્યું હતું. જેમાં સાત લોકોની હાલત ખૂબ ખરાબ હતી.
શરણાર્થીઓ મ્યાનમારથી બાંગ્લાદેશ ગયા હતા
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમાંથી 47 લોકો પાસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવાયેલ ઓળખ કાર્ડ છે. આ બતાવે છે કે આ લોકોએ પોતાનો જીવ બચાવ્યા બાદ મ્યાનમારથી છટકીને બાંગ્લાદેશમાં આશરો લેવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે અમે બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરી રહ્યા છીએ જેથી તેઓને સલામત રીતે પરત મોકલી શકાય.
સંયુક્ત રાષ્ટ્રએ કરી હતી અપીલ
યુનાઇટેડ નેશન્સના હાઈ કમિશનર ફોર રેફ્યુજીઝ (UNHCR) એ સોમવારે મદદની અપીલ કરી છે. UNHCRએ એક નિવેદન બહાર પાડ્યું હતું, ‘શરણાર્થીઓએ અમને કહ્યું છે કે વહાણમાં ખાવા-પીવા માટે કંઈ નથી. તેમાં રહેલા ઘણા મુસાફરો બીમાર થઈ ગયા છે. એંજિન ફેઈલ થયા બાદથી આ જહાજ ભટકી રહ્યું છે. અમને ખબર નથી કે ત્યાં કેટલા મુસાફરો છે અને તે ક્યાં છે.’