Sri Lanka Crisis: શ્રીલંકામાં સંકટ વચ્ચે દેશ છોડીને ભાગ્યા રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે, રાત્રે 8 વાગ્યે આપી શકે છે રાજીનામું
સ્પીકરે આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ફોન દ્વારા તેમના સંપર્કમાં છે. તેમણે એવું પણ આશ્વાસન આપ્યું છે કે તેઓ બુધવારે તેમનું રાજીનામું પત્ર મને મોકલી આપશે.
શ્રીલંકામાં (Sri Lanka) ચાલી રહેલા રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) 13 લોકો સાથે દેશ છોડીને માલદીવ પહોંચી ગયા છે. આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે તે માલદીવ છોડીને અન્ય કોઈ દેશમાં જઈ શકે છે. જો કે તે કયા દેશમાં જશે તે હજુ સ્પષ્ટ નથી. તે જ સમયે એક અહેવાલ અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગોટાબાયા રાજપક્ષે બુધવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી શકે છે. શ્રીલંકાના ન્યૂઝ પોર્ટલ ધ મોર્નિંગે ટોચના સરકારી અધિકારીઓને ટાંકીને આ સમાચાર આપ્યા છે.
ન્યૂઝ પોર્ટલે દાવો કર્યો છે કે ગોટાબાયા રાજપક્ષે જ્યારે માલદીવથી બીજા દેશમાં પહોંચશે, ત્યારે તેમનું રાજીનામું આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોટાબાયા રાજપક્ષે પોતાનું રાજીનામું શ્રીલંકાની સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેને મોકલી શકે છે. એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગોટાબાયા રાજપક્ષેએ સંસદના સ્પીકર મહિન્દા યાપા અભયવર્દને સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે તેમને કહ્યું છે કે તેઓ આજે રાજીનામું મોકલી દેશે.
સ્પીકર સાથે ફોન પર કરી વાત
સ્પીકરે આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ફોન દ્વારા તેમના સંપર્કમાં છે. તેમણે એવું પણ આશ્વાસન આપ્યું છે કે તેઓ બુધવારે તેમનું રાજીનામું પત્ર મને મોકલી આપશે. સ્પીકરે એમ પણ કહ્યું છે કે ‘હું જનતાને સંસદીય પ્રક્રિયામાં વિશ્વાસ રાખવાની અપીલ કરું છું. અમે 20 જુલાઈએ નવા પ્રમુખની પસંદગી કરવા જઈ રહ્યા છીએ.
બુધવારે રાજીનામું આપવાની ખાતરી આપી હતી
સરકારના આર્થિક ગેરવહીવટ સામે મહિનાઓના જાહેર વિરોધ પછી ગોટાબાયા રાજપક્ષે સત્તાવાર રીતે રાજીનામું આપવાના છે. આ પહેલા તેઓ બુધવારે સવારે માલદીવ જવા રવાના થયા હતા. રાજપક્ષેએ શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ બુધવારે રાષ્ટ્રપતિ પદ છોડશે. આ પહેલા હજારો વિરોધીઓ તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. બુધવારે પણ હજારો વિરોધીઓ કોલંબોની શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે બુધવારે દેશ છોડીને માલદીવ ગયા બાદ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દેશની અર્થવ્યવસ્થા ન સંભાળવા બદલ પોતાની અને પોતાના પરિવાર સામે લોકોમાં વધી રહેલા ગુસ્સા વચ્ચે રાજપક્ષે બુધવારે દેશ છોડીને આર્મી પ્લેનમાં માલદીવ ગયા હતા.