પાકિસ્તાનમાં PM શાહબાઝ શરીફ થયા અપમાનિત, ઈમરાનખાને કહ્યુ-કટોરો લઈને દુનિયાભરમાં ભીખ માંગી રહ્યાં છે
Pakistan's economic crisis : પાકિસ્તાન ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, શહબાઝ શરીફ 'ભીખ માગવા માટેનો કટોરો' લઈને દુનિયાભરના દેશોમાં ફરે છે, પરંતુ હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે એક પણ દેશ તેમને એક રૂપિયો પણ પરખાવી નથી રહ્યો.
આર્થિક મોરચે પાકિસ્તાનની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. લોટ અને ડુંગળી જેવી રોજીંદી જીવન જરૂરીયાતની ચીજવસ્તુ પણ ખરીદવી લોકો માટે મુશ્કેલ બની ગઈ છે. સ્થિતિ એવી છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં ભાંગી રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને વર્તમાન સ્થિતિને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ ‘ભીખ માંગવાનો કટોરો’ લઈને દુનિયાભરના દેશોની યાત્રા કરી રહ્યા છે, પરંતુ હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈ દેશ તેમને એક પૈસા પણ નથી આપી રહ્યો.
ભીખ માંગી રહ્યા છે શાહબાઝ શરીફ
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને એક સ્થાનિક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, તમે બધાએ જોવું જોઈએ કે આ સરકારે પાકિસ્તાન સાથે શું કર્યું છે. વડા પ્રધાન શાહબાઝ શરીફની તાજેતરની વિદેશ મુલાકાતો પર ટિપ્પણી કરતા ઈમરાન ખાને કહ્યું કે, શાહબાઝ શરીફ હવે ભીખ માંગવા માટે ઘણા દેશોની યાત્રા કરી રહ્યા છે, પરંતુ કોઈ દેશ તેમને એક રુપિયો પણ પરખાવતું નથી. ઈમરાન ખાને કહ્યું કે શાહબાઝ શરીફ ભારત સાથે વાતચીતની ભીખ માંગી રહ્યા છે. પરંતુ ભારતે તેમને પહેલા આતંકવાદ ખતમ કરવાનું કહ્યું છે. આ પછી તેઓ પાકિસ્તાન સાથે વાત કરવાનું વિચારી રહ્યા છે.
ઈમરાને કહ્યું કે ભારતે હંમેશા કહ્યું છે કે, તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી જેવા સંબંધો ઈચ્છે છે, પરંતુ આવા સંબંધો માટે આતંકવાદ અને હિંસાથી મુક્ત વાતાવરણ હોવું જોઈએ.
પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર તળીયા જાટક
ઈમરાન ખાનની આ ટિપ્પણી શાહબાઝ શરીફની UAEની બે દિવસીય મુલાકાતના થોડા સમય બાદ આવી છે. સંયુક્ત આરબ અમીરાત પાકિસ્તાનને 2 અબજ ડોલરની લોન અને આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને આ સંકટનો સામનો કરવા માટે એક અબજ ડોલરની વધારાની લોન આપવા માટે સંમત થયા હતા. કારણ કે પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર તળીયા જાટક છે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ડામાડોળ
દેશના વર્તમાન આર્થિક સંકટ માટે શાહબાઝ સરકારને જવાબદાર ઠેરવતા ઈમરાન ખાને કહ્યું હતું કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ક્યારેય આવી નહોતી. અહેવાલો અનુસાર, ઈમરાન ખાને કહ્યું કે સત્તામાં આવ્યા બાદથી શાહબાઝ શરીફે તેમના 1100 અબજ રૂપિયાના ભ્રષ્ટાચારના મામલાઓ સાફ કર્યા છે. આ સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી છે. શાહબાઝ શરીફ ગઠબંધન પર ટિપ્પણી કરતા, ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાનખાને કહ્યું હતું કે, ગઠબંધનના નેતાઓએ, પોતાને કાયદાથી ઉપર રાખીને, તેમની વિરુદ્ધ વર્ષો પહેલા નોંધાયેલા તમામ ભ્રષ્ટાચારના કેસોને રફેદફે કર્યા છે.
ઈમરાનખાને અગાઉ પણ સાધ્યું હતુ નિશાન
હાલમાં જ વડાપ્રધાન શાહબાઝ શરીફ પર પ્રહાર કરતા ઈમરાન ખાને કહ્યું હતું કે પૈસાની પૂજા કરનાર કોઈ વિચારધારા કે માન્યતાની પણ પરવા નથી કરતો, તે આપણા માટે શરમજનક બાબત છે. ઈમરાન ખાને કહ્યું હતું કે તેઓ નથી જાણતા કે પાકિસ્તાનના સપનાને સાકાર કરવા માટે આપણા રાષ્ટ્રપિતાએ કેટલો સંઘર્ષ અને બલિદાન આપ્યું હતું. પરંતુ માત્ર ભારતીય લોબીનું સમર્થન મેળવવા માટે શાહબાઝ શરીફ કાશ્મીરી સ્વતંત્રતા સંગ્રામને દફનાવી દેવા તૈયાર છે. જેમાં એક લાખથી વધુ કાશ્મીરીઓએ પોતાનો જીવ આપ્યો છે.