Pakistan : વડાપ્રધાન ઈમરાન ખાનની વધી મુશ્કેલી, આર્મી પબ્લિક સ્કૂલ હત્યાકાંડને લઈને સુપ્રીમ કોર્ટે ઈમરાનની ઝાટકણી કાઢી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પેશાવર સ્કૂલ હુમલાના કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન તેમણે દેશના મુખ્ય ન્યાયાધીશ સાથે ઘણી દલીલ કરી હતી.
Pakistan: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બુધવારે આર્મી પબ્લિક સ્કૂલ (APS)હત્યાકાંડ કેસમાં વડાપ્રધાન ઈમરાન ખાનને સમન્સ પાઠવ્યું હતું. સુનાવણી દરમિયાન કોર્ટમાં ઈમરાન ખાને કહ્યું કે તેઓ પણ આ હુમલાથી ચોંકી ગયા છે અને તેને કાયદા પર વિશ્વાસ છે કે દોષિતો સામે કડક કાર્યવાહી થશે. દેશના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.
જ્યારે ઈમરાન ખાન હાજર થયો, ત્યારે જસ્ટિસ ઈજાઝ ઉલ અહસાને (Justice Ijaz ul Ahsan)તેમને કહ્યું કે શાળા હુમલામાં માર્યા ગયેલા બાળકોના માતા-પિતા એપીએસ હત્યાકાંડના સમયના શાસકો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા.
સુરક્ષા વ્યવસ્થા તે દિવસે ક્યાં હતી?
ત્યારે ઈમરાન ખાને કહ્યું કે, જ્યારે હત્યાકાંડ થયો ત્યારે તેમની પાર્ટી ખૈબર પખ્તુનખ્વામાં સત્તા પર હતી. વધુમાં વડાપ્રધાને (PM Imran Khan) કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ હોસ્પિટલોમાં શોકગ્રસ્ત માતા-પિતાને મળ્યા હતા અને પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કર્યુ હતુ. ચીફ જસ્ટિસે ખાનને કહ્યું કે પીડિતોના માતા-પિતા સરકાર પાસેથી વળતરની માંગ કરી રહ્યા નથી. ‘તે પૂછે છે કે સુરક્ષા વ્યવસ્થા તે દિવસે ક્યાં હતી ?
આતંકવાદ સામેની લડાઈ જીતી
જવાબમાં પાકિસ્તાની PMએ CJPને કહ્યું કે APS હત્યાકાંડ પછી નેશનલ એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો, અમે આતંકવાદ સામેની લડાઈ જીતી છે. તે સમયે રોજેરોજ બોમ્બ વિસ્ફોટ થતા હતા, પરંતુ હવે આ શક્ય નથી. સુપ્રીમ કોર્ટની (Supreme Court) બેન્ચે કહ્યું હતું કે સરકારે એપીએસ સ્કૂલના બાળકોના માતા-પિતાની વાત સાંભળવી જોઈએ અને ગુનેગારો સામે કાર્યવાહી કરવી જોઈએ.
જેના પર વડાપ્રધાને ખાતરી આપી હતી કે સરકાર ન્યાય કરશે. ત્યારબાદ કોર્ટે વડાપ્રધાનને તેમના 20 ઓક્ટોબરના નિર્ણયનો અમલ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. CJPએ ઈમરાનની ઝાટકણી કાઢતા કહ્યું, ‘તમે વડાપ્રધાન છો, તમારી પાસે જવાબ હોવો જોઈએ.’
મુખ્ય ન્યાયાધીશ સાથે ઈમરાન ખાને દલીલ કરી
CJPના આટલું બોલ્યા બાદ ઈમરાન ખાને કહ્યું, ‘જજ સાહેબ, એક મિનિટ રાહ જુઓ…. શાળાના બાળકોના માતા-પિતાને અલ્લાહ ધીરજ આપે, સરકાર વળતર આપવા સિવાય બીજું શું કરી શકી? વધુમાં ઈમરાન ખાને કહ્યું, પાકિસ્તાન (Pakistan) પર થયેલા 480 ડ્રોન હુમલા માટે કોણ જવાબદાર છે તે પણ જાણો.’ તેના પર ચીફ જસ્ટિસે કહ્યું, ‘આ વસ્તુઓ વિશે શોધવાનું તમારું કામ છે, તમે વડાપ્રધાન છો.’ કોર્ટે વડાપ્રધાનને યાદ કરાવ્યું કે આ દુર્ઘટનાને સાત વર્ષ વીતી ગયા છે જેથી પીડિતોને ન્યાય મળતો જરૂરી છે.
તમને જણાવી દઈએ કે,16 ડિસેમ્બર 2014ના રોજ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના ઉગ્રવાદીઓએ પેશાવરમાં આર્મી પબ્લિક સ્કૂલ પર હુમલો કર્યો હતો,જેમાં 140થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. જેમાં મોટાભાગના શાળાના બાળકો હતા.
આ પણ વાંચો: Japan Election:’Fumio Kishida’ ફરી જાપાનના વડાપ્રધાન બન્યા, સંસદીય ચૂંટણીમાં શાસક પક્ષને મળી મોટી જીત
આ પણ વાંચો: ‘Climate Change’ થી પીડિત દુનિયાની પહેલી મહિલા, ડૉક્ટરે બિમાર પડવાનું કારણ લખ્યું ‘હવામાન પરિવર્તન’