પાકિસ્તાન મુશ્કેલીમાં : દેશ પર 20 હજાર અબજ ડોલરથી વધુનું દેવું, PM શાહબાઝ શરીફે કહ્યું દરેક સમસ્યાનું મૂળ છે ઈમરાન
Economic Crisis in Pakistan: પાકિસ્તાન(Pakistan)માં વધી રહેલા આર્થિક સંકટને કારણે સરકારે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કર્યો છે. આ માટે વર્તમાન સરકારે અગાઉની પીટીઆઈ સરકારને જવાબદાર ઠેરવી છે.
Economic Crisis in Pakistan: પાકિસ્તાન(Pakistan) ના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પક્ષના પ્રમુખ ઇમરાન ખાન(Imran Khan) દ્વારા વિદેશી ષડયંત્રના આરોપોને નકારી કાઢતા, વર્તમાન વડા પ્રધાન શેહબાઝ શરીફે તેમને દરેક સમસ્યા માટે જવાબદાર ઠેરવ્યા છે. શાહબાઝે કહ્યું છે કે દેશમાં વધતા દેવું, મોંઘવારી અને આર્થિક સંકટ(Economic Crisis) માટે ખાન જવાબદાર છે. પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં વધારા બાદ શાહબાઝે આ વાત કહી છે.
શાહબાઝ શરીફે 11 એપ્રિલે સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધન કર્યું છે. પાકિસ્તાની અખબાર ડોને શાહબાઝને ટાંકીને કહ્યું, ‘અગાઉની સરકારે જાણી જોઈને તથ્યો છુપાવ્યા છે. હું તેમને યાદ અપાવી દઉં કે તમે IMF સાથે સોદો કર્યો છે, અમારી સાથે નહીં. તમે તેમની કઠોર શરત સ્વીકારી, અમે નહીં. તમે દેશને આર્થિક સંકટ તરફ ધકેલ્યો છે, અમે નહીં. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કર્યો છે.
દરેક પરિવારને 2 હજાર રૂપિયા મળશે
આ અંગે પાકિસ્તાનના નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલે ગુરુવારે કહ્યું હતું કે સરકાર પાસે કિંમત વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. સરકારે ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કર્યા પછી, શાહબાઝે કહ્યું કે તેઓ દર મહિને 28 અબજ પાકિસ્તાની રૂપિયાનું રાહત પેકેજ જારી કરી રહ્યા છે, જેથી ગરીબોને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના બોજથી સુરક્ષિત કરી શકાય. તેમણે કહ્યું, ‘આ પેકેજ હેઠળ 14 મિલિયન પરિવારોમાંના દરેકને 2000 પાકિસ્તાની રૂપિયા આપવામાં આવશે. આ પરિવારોમાં કુલ 85 મિલિયન લોકો છે.
પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે આ પહેલાથી જ ચાલી રહેલા બેનઝીર ઈન્કમ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાયથી અલગ મદદ છે. તેમણે કહ્યું, ‘આ રાહત પેકેજ આગામી બજેટમાં ઉમેરવામાં આવશે.’ પોતાના સંબોધનમાં શાહબાઝે કહ્યું કે દેશ પર 20,000 અબજ ડોલરથી વધુનું દેવું છે. દેશના ઈતિહાસમાં લીધેલી કુલ લોન કરતાં આ 80 ટકા વધુ છે. તેમણે કહ્યું કે વર્તમાન સરકાર ‘અક્ષમતા અને ભ્રષ્ટાચાર’ની રાજનીતિને ખતમ કરવા દેશને પ્રગતિ તરફ લઈ જવા માટે કડક નિર્ણયો લેવા તૈયાર છે.
અવિશ્વાસની દરખાસ્ત દ્વારા ભૂતપૂર્વ સરકારને ઉથલાવી દેવામાં આવી ત્યારથી પાકિસ્તાનમાં શાંતિ નથી. ગુરુવારે પણ રાજધાની ઇસ્લામાબાદ યુદ્ધનું મેદાન બની ગયું હતું. આ દિવસે પીટીઆઈની કૂચમાં સામેલ લોકોની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ઈમરાન ખાન અને તેમના કાફલા શહેરમાં પ્રવેશ્યા બાદ આ ઘટના બની હતી. આ લોકોએ સંઘીય રાજધાનીમાં ડી-ચોક તરફ કૂચ કરવાનું શરૂ કર્યું.