પાકિસ્તાનમાં ઈશ નિંદા બદલ ગર્લ્સ સ્કુલના મહિલા આચાર્યને કોર્ટે ફટકારી ફાંસીની સજા
પાકિસ્તાનની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે, સોમવારે નિશ્તર કોલોનીની એક ખાનગી શાળાની મહિલા આચાર્ય સલમા તનવીરને ફાંસીની સજા ફટકારી છે.
પાકિસ્તાનની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ( District and Sessions Court ) એક મહિલા શાળાના આચાર્યને ઈશ નિંદા બદલ મોતની સજા ફટકારી છે. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે સોમવારે નિશ્તર કોલોનીની એક ખાનગી શાળાની આચાર્ય સલમા તનવીરને (Salma Tanveer) ફાંસીની સજા ફટકારી છે. સાથોસાથ કોર્ટે મહિલા આચાર્યને 5000 પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
સલમા તનવીર પર શુ હતો આરોપ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મન્સૂર અહમદે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે સલમા તનવીરે ઇસ્લામના છેલ્લા પયગંબર તરીકે મહંમદને સ્વીકારવાનો ઇનકાર કરીને નિંદા કરી છે. લાહોર પોલીસે 2013 માં સ્થાનિક મૌલવીની ફરિયાદના આધારે સલમા તનવીર વિરુદ્ધ ઈશ્વરનિંદાનો (ઈશ નિદા) કેસ નોંધ્યો હતો. મહિલા આચાર્ય પર મુહમ્મદને છેલ્લા પયગંબર તરીકે સ્વીકારવાનો ઇનકાર કરવાનો અને પોતાને ઇસ્લામના પયગંબર હોવાનો દાવો કરવાનો આરોપ હતો.
આરોપી માનસિક અસ્થિર હોવાની કરાઈ હતી રજૂઆત સલમા તનવીરના વકીલ મુહમ્મદ રમઝાનએ દલીલ કરી હતી કે તેમના અસીલ માનસિક રીતે અસંતુલિત છે અને કોર્ટે આ હકીકતને ધ્યાનમાં લેવી જોઈએ. જો કે, પંજાબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ ( Punjab Institute of Mental Health) ના મેડિકલ બોર્ડનો રિપોર્ટ, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે, શંકાસ્પદ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોવાથી તેની સામે ટ્રાયલ ચાલી શકે છે.
આરોપી પોતાની પસંદના વકીલ નથી રાખી શકતા પાકિસ્તાનના વિવાદાસ્પદ નિંદા કાયદા અને તેમાં નિર્ધારિત સજાને અત્યંત કઠોર માનવામાં આવે છે. 1987 થી, પાકિસ્તાનમાં ઈશ્વરનિંદા કાયદા હેઠળ 1,472 લોકો પર આરોપ લાગ્યા છે. ઈશ નિંદાનો આરોપ જેમના પર લાગ્યો હોય છે તેવી વ્યક્તિઓને સામાન્ય રીતે તેમની પસંદગીના વકીલ રાખવાનો અધિકાર નકારવામાં આવે છે. તેનું કારણ એ છે કે વકીલો આવી સંવેદનશીલ બાબતોથી દૂર રહેવાનું પસંદ કરે છે. ઈશ નિંદાના જૂના કાયદામાં ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર જિયા ઉલ હકે તેમાં સુધારો કર્યો હતો અને કાયદા હેઠળ નિયત સજાને કડક બનાવી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ, જાણો વિગતે