નારાજ ઈમરાન ખાને સરકાર વિરોધી અભિયાનને કહ્યું ‘જેહાદ’, કહ્યું- પાકિસ્તાની સંસદમાં ગુનેગારો બેઠા છે, વિકાસ કેવી રીતે થશે
Pakistan Imran Khan: પાકિસ્તાનની સત્તા પરથી હટાવવામાં આવેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને વર્તમાન સરકાર પર આરોપ લગાવ્યો કે તે તેમની ધરપકડ કરવા માંગે છે.
પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન અને વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાને કહ્યું છે કે તેમણે નવી સરકાર વિરુદ્ધ જે અભિયાન શરૂ કર્યું છે તે જેહાદ છે. સાથે જ વડાપ્રધાન શહેબાઝ શરીફને (Shehbaz Sharif)ખોટા પરિવારવાળા વ્યક્તિ તરીકે ઓળખાવ્યા છે. ઈસ્લામાબાદમાં એક રેલીમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા તેમણે દાવો કર્યો કે આ સરકાર તેમની ધરપકડ કરવા માંગે છે. ઈમરાન ખાને(Imran Khan) ચેતવણી આપી હતી કે તેમની વિરુદ્ધ અપનાવવામાં આવેલી તમામ યોજનાઓની વિપરીત અસર થશે. તેમણે કહ્યું કે સંસદમાં ગુનેગારો બેઠા છે. ભ્રષ્ટ લોકો દેશ ચલાવશે તો પાકિસ્તાન કેવી રીતે પ્રગતિ કરશે.
તેમણે વધુમાં દાવો કર્યો હતો કે જ્યારે વર્તમાન સરકાર સત્તામાં આવી ત્યારે ભારતે તેની ઉજવણી કરી હતી. ઈમરાને કહ્યું, ‘મારી વિદેશમાં કોઈ પ્રોપર્ટી નથી, હું પાકિસ્તાનમાં જ રહીશ. હું મારા દેશને બરબાદ કરે એવું કંઈપણ જોઈ શકતો નથી.” તેમણે તેમની સામે નોંધાયેલી એફઆઈઆર બદલ સરકારની ટીકા કરી હતી. હકીકતમાં, ફૈઝાલાબાદ પોલીસે ગયા અઠવાડિયે 150 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ લોકોમાં ઈમરાન ખાન પણ સામેલ છે. તેના પર મસ્જિદ-એ-નબવી (PBUH) ખાતે પાકિસ્તાની શ્રદ્ધાળુઓને કથિત રીતે હેરાન કરવાનો આરોપ છે.
ઈમરાને વહેલી ચૂંટણીની માંગ કરી હતી
પાકિસ્તાનના ગૃહપ્રધાન રાણા સનાઉલ્લાહે મંગળવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકારે પીટીઆઈ પ્રમુખ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી નથી. બીજી તરફ ઈમરાન ખાને કહ્યું કે તેમની પાર્ટી માત્ર એક જ વસ્તુ ઈચ્છે છે અને તે છે ચૂંટણી વહેલી કરાવવાની. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે તેઓ 20 મે પછી ઈસ્લામાબાદમાં કૂચ કરશે અને જે કાર્યકર્તાઓ હાજર ન રહી શકે તેઓ પોતપોતાના શહેરોમાં વિરોધ પ્રદર્શન કરે. ઇમરાને કહ્યું કે તે તેમની પાર્ટીના કાર્યકર્તાઓ પર છે કે તેઓ લોકો સુધી પહોંચે, તેમની સાથે જોડાય અને તેમને સરકાર વિરોધી વિરોધમાં ભાગ લેવા કહે.
ઈમરાન પોતાના કાર્યકાળના વખાણ કરે છે
પોતાના કાર્યકાળ અંગે ઇમરાને કહ્યું કે ત્યારે વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ પૈસા મોકલતા હતા અને જો તેઓ આમ ન કરે તો દેશ નાદાર થઈ ગયો હોત. તેમણે કહ્યું, વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓએ તેમના પૈસા પાકિસ્તાન મોકલ્યા અને અહીંના ભ્રષ્ટ નેતાઓ વિદેશથી લાંચ લે છે. મને કહો, લંડનના સૌથી મોંઘા વિસ્તારમાં કયા દેશના વડાપ્રધાન રહે છે. પરંતુ તે પછી તેણે ‘વધુ ડોલર લાવ્યા અને નિકાસ વધારી’.