Pakistan: ઈમરાનની પાર્ટીના બળવાખોર ધારાસભ્યોને ચૂંટણી પંચે ગણાવ્યા ‘અયોગ્ય’, શાહબાઝના પુત્ર હમઝાની ખુરશી ખતરામાં!
ઈમરાન ખાનની ( Imran Khan) પાર્ટી PTIના 25 ધારાસભ્યોના મતે હમઝા શરીફને પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત પંજાબમાં બહુમતી મેળવવામાં મદદ કરી, તેથી જ તેઓ CM બન્યા.
પાકિસ્તાનના ચૂંટણી પંચે (Election Commission) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (IMran Khan) પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના 25 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. આ ધારાસભ્યો પર ગયા મહિને પંજાબ પ્રાંતની વિધાનસભામાં મુખ્યમંત્રીની પસંદગી માટે પાર્ટીના નિર્દેશ વિરુદ્ધ મતદાન કરવાનો આરોપ હતો. જેના કારણે ધારાસભ્યોને હવે ‘પોતાના હોદ્દા પરથી દૂર’ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે ગયા મહિને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હમઝા શાહબાઝની તરફેણમાં મતદાન કરવા બદલ 25 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
આ કારણે PTI પાર્ટીના ધારાસભ્યોને ગણાવ્યા અયોગ્ય
ચૂંટણી પંચે તેના સર્વસંમતિથી નિર્ણયમાં જણાવ્યું હતું કે પીટીઆઈના સભ્યોએ બંધારણની (Constitution) કલમ 63-A હેઠળ “ક્ષતિપૂર્ણ” કાર્ય કર્યું હતું, તેથી તેઓએ “પદ છોડવું પડશે” જો કે તેમણે બેઠકો ગુમાવી છે, પરંતુ પીટીઆઈના આ સભ્યો આ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાગ લઈ શકે છે.ઉલ્લેખનીય છે કે પંચે 17 મેના રોજ આ મામલે નિર્ણય અનામત રાખ્યો હતો. દૂર કરાયેલા ધારાસભ્યો એક મહિનાની અંદર સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે. તમને જણાવવું રહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલત પાસે આ મામલાની સુનાવણી માટે 90 દિવસનો સમય હશે.
શાહબાઝના પુત્ર હમઝાની CMની ખુરશી ખતરામાં!
પાકિસ્તાનના બંધારણની કલમ 63-A, વડાપ્રધાન અથવા મુખ્યપ્રધાનની ચૂંટણીમાં (Election) સાંસદોને વિશ્વાસ મત અથવા અવિશ્વાસના મત પર પક્ષના નિર્દેશોનું ઉલ્લંઘન કરીને મતદાન કરવા પર પ્રતિબંધ મૂકે છે. તમને જણાવી દઈએ કે કલમ 63-A પક્ષપલટા પર સાંસદોને ગેરલાયક ઠેરવવા સાથે સંબંધિત છે, જેની જાહેરાત આ સપ્તાહની શરૂઆતમાં કરવામાં આવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના પુત્ર હમઝા શાહબાઝના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોના મત ગણી શકાય નહીં એવો ચુકાદો આપ્યો હતો. તેથી હાલ શાહબાઝની ખુરશી પર ખતરો તોળાઈ રહ્યો છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી પદ માટેની ચૂંટણીમાં હમઝા શાહબાઝને(Hamza Shebaz sharif) કુલ 197 વોટ મળ્યા જ્યારે બહુમત માટે 186 વોટની જરૂર હતી. પીટીઆઈના 25 બળવાખોર ધારાસભ્યોના મતે હમઝાને પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત પંજાબમાં બહુમતી મેળવવામાં મદદ કરી. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ચૂંટણી પંચના નિર્ણયથી પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઊંડું થશે. જેના કારણે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પણ ટૂંક સમયમાં યોજાનારી ચૂંટણી માટે પણ દબાણ કરી શકશે.