કઝાકિસ્તાનમાં ‘આતંકવાદીઓ’ને જોતા જ ગોળી મારવાનો આદેશ, રાષ્ટ્રપતિએ કહ્યું, ‘જેઓ આત્મસમર્પણ નહીં કરે તેમને મારવામાં આવશે’
કઝાકિસ્તાનના (Kazakhstan) રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવે શુક્રવારે કહ્યું હતું કે, તેમણે સુરક્ષા દળોને "આતંકવાદીઓ" ને ગોળી મારવાનો અને ઠાર મારવાનો અધિકાર આપ્યો છે.
કઝાકિસ્તાનના (Kazakhstan) રાષ્ટ્રપતિ કાસિમ-જોમાર્ટ ટોકાયેવે (Kassym-Jomart Tokayev) શુક્રવારે કહ્યું હતું કે, તેમણે સુરક્ષા દળોને “આતંકવાદીઓ” ને ગોળી મારવાનો અને ઠાર મારવાનો અધિકાર આપ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં ચાલી રહેલા ખૂબ જ હિંસક પ્રદર્શનો બાદ આ પગલું ભરવા માટે કહેવામાં આવ્યું છે.
રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધનમાં, રાષ્ટ્રપતિએ અશાંતિ ફેલાવવા માટે “આતંકવાદીઓ” અને “ઉગ્રવાદીઓ” ને દોષી ઠેરવ્યા. આ દરમિયાન, તેમણે કહ્યું કે, કાયદા અમલીકરણ એજન્સીઓને ‘આતંકીઓને’ ગોળી મારવાના અધિકાર આપવામાં આવ્યા છે.
ટોકાયવે કહ્યું, જેઓ આત્મસમર્પણ નહીં કરે, તેમને મારી નાખવામાં આવશે. તેમણે કેટલાક અન્ય દેશો દ્વારા વિરોધીઓ સાથે મંત્રણાની હાકલને ‘બકવાસ’ ગણાવી હતી. ટોકાયવે કહ્યું, ‘ગુનેગારો, હત્યારાઓ સાથે શું ચર્ચા કરી શકાય?’ રાષ્ટ્રપતિએ કહ્યું, “આતંકવાદીઓ હજુ પણ શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે અને લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે.” તેમની સામે આતંકવાદ વિરોધી કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ.
ત્રણ દાયકામાં પ્રથમ વખત ઉગ્ર પ્રદર્શન
કઝાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, રમખાણો દરમિયાન 26 પ્રદર્શનકારી માર્યા ગયા હતા, 18 ઘાયલ થયા હતા અને 3,000 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન 18 સુરક્ષા અધિકારીઓ પણ શહીદ થયા હતા અને લગભગ 700 ઘાયલ થયા હતા. લગભગ ત્રણ દાયકા પહેલા આઝાદી પછી પ્રથમ વખત, કઝાકિસ્તાનમાં ઉગ્ર શેરી વિરોધ જોવા મળી રહ્યો છે.
ચોક્કસ પ્રકારના વાહનોના ઇંધણના ભાવ લગભગ બમણા કરવાના વિરોધમાં શરૂ થયેલો વિરોધ સમગ્ર દેશમાં ફેલાયો હતો. આ પ્રદર્શન આઝાદી પછી એક પક્ષના શાસન પ્રત્યે વ્યાપક અસંતોષ દર્શાવે છે.
અલ્માટી એરપોર્ટને કબજામાંથી મુક્ત કરાવ્યું
વિરોધ હિંસક બન્યો, સરકારી ઇમારતોને આગ લગાડવામાં આવી અને એક ડઝનથી વધુ અધિકારીઓ માર્યા ગયા. શુક્રવારે સવારે અલ્માટીમાં પણ અથડામણના અહેવાલ છે. રશિયન સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર અલ્માટીમાં એક ઈમારતમાં આગ લાગી હતી. જોકે, સુરક્ષા દળોએ અલ્માટી એરપોર્ટને પ્રદર્શનકારીઓના કબજામાંથી મુક્ત કરાવ્યું છે.
અધિકારીઓએ આગ્રહ કર્યો છે કે સૈનિકો વિરોધીઓ સામે લડશે નહીં, પરંતુ સરકારી સંસ્થાઓની રક્ષા કરશે. તે જ સમયે, કેટલાક વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થવાના અહેવાલો પણ મળ્યા છે. રાજધાની નૂર-સુલ્તાનમાં ઇન્ટરનેટ આંશિક રીતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: UPSC Success Story: લગ્ન બાદ શરૂ કરી સિવિલ સર્વિસની તૈયારી, પ્રથમ પ્રયત્નમાં જ શહનાઝ બની IPS ઓફિસર
આ પણ વાંચો: Board Exams 2022: વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા પહેલા લેવી પડશે કોવિડ વેક્સિન, ICSEએ જાહેર કરી નોટિસ