Mumbai Attack: ઇઝરાયલમાં ભારતીયોએ 26/11 હુમલાના મૃતકોને કર્યા યાદ, હુમલામાં 6 યહુદીના પણ થયા હતા મોત
26/11ના મુંબઈ હુમલામાં લશ્કર-એ-તૈયબા દ્વારા માર્યા ગયેલા લોકોને ઈઝરાયેલમાં ભારતીયોએ યાદ કર્યા. ભારતીય વિદ્યાર્થીઓ, ભારતીય યહૂદી સમુદાયના સભ્યો અને ઇઝરાયેલમાં રહેતા અને કામ કરતા ભારતીયોએ 26/11ના હુમલાની પૂર્વસંધ્યાએ તમામ મુખ્ય સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
Mumbai attack: મુંબઈ આતંકી હુમલા(Mumbai terror attacks)ને 13 વર્ષ પૂરાં થયા છતા દુઃખ સમગ્ર વિશ્વ આ ઘટનાને હજુ ભુલી શકતો નથી. 26/11ની એ કાળરાત્રિએ અનેક લોકોના ઘરોમાં અંધકાર ફેલાવી દીધો. ન માત્ર ભારતીયો પરંતુ વિદેશમાંથી ભારત પ્રવાસે આવેલા કેટલાક લોકોએ પણ 26/11ના આ હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હુમલાઓમાં માર્યા ગયેલા લોકોમાં છ યહૂદીઓ પણ સામેલ હતા. ત્યારે હુમલામાં લશ્કર-એ-તૈયબા(Lashkar-e-Taiba) દ્વારા માર્યા ગયેલા લોકોને ઈઝરાયેલશ્માં(Israel) ભારતીયો યાદ કરે છે.
હુમલાની વરસી પર અનેક કાર્યક્રમ
ઇઝરાયેલમાં મોટા પ્રમાણમાં ભારતીય સમુદાય પણ વસવાટ કરે છે. ત્યારે 2008ના 26/11ના મુંબઈ હુમલામાં લશ્કર-એ-તૈયબા દ્વારા માર્યા ગયેલા લોકોને ઈઝરાયેલમાં ભારતીયોએ યાદ કર્યા. મુંબઈ હુમલામાં લશ્કર-એ-તૈયબા દ્વારા ઇઝરાયેલના 6 યહુદી પણ માર્યા ગયા હતા. ભારતીય વિદ્યાર્થીઓ, ભારતીય યહૂદી સમુદાયના સભ્યો અને ઇઝરાયેલમાં રહેતા અને કામ કરતા ભારતીયોએ 26/11ના હુમલાની પૂર્વસંધ્યાએ એટલે કે ગુરુવારે ઇઝરાયેલની તમામ મુખ્ય સંસ્થાઓમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હુમલાની વરસી પર શુક્રવારે પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
ભારત અને ઈઝરાયેલ આતંકનો શિકાર
ઇઝરાયેલમાં દક્ષિણના દરિયાકાંઠાના શહેર ઇલાતમાં ક્લબ સિતારમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભારતીય યહૂદી સમુદાયના નેતા આઇઝેક સોલોમને તેમાં જણાવ્યું હતું કે ”ભારત અને ઇઝરાયેલ આતંકવાદનો શિકાર છે, જોકે બંને દેશો તેમના પડોશીઓ સાથે શાંતિ ઇચ્છે છે. આતંકવાદીઓનો ખરેખર કોઈ વાસ્તવિક હેતુ હોતો નથી. તેમનું એકમાત્ર લક્ષ્ય લોકોને નુકસાન પહોંચાડવાનું છે. ભારત અને ઈઝરાયેલ લોકશાહી દેશો છે જેઓ શાંતિ ઈચ્છે છે અને દુનિયામાં ગમે ત્યાં આતંકવાદની સમસ્યા સામે અવાજ ઉઠાવતા રહેશે.”
ઇલાતના ડેપ્યુટી મેયર સ્ટેસ બિલ્કિન પણ હુમલાના પીડિતો સાથે એકતામાં આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેરુસલેમ યુનિવર્સિટી, હિબ્રુ, તેલ અવીવ યુનિવર્સિટી, બેન ગુરિયાન યુનિવર્સિટી અને હૈફામાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓએ COVID-19 ગાઇડલાઇનને અનુસરીને ભાગ લીધો હતો.
ગુનેગારોને સજા અપાવવા પ્રયાસો જરૂરી છે.
ઇઝરાયેલના લોકો પણ માને છે કે 26/11 હુમલાના ગુનેગારોને સજા મળવી જરુરી છે. બેન-ગુરિયન યુનિવર્સિટીના સંશોધક અંકિત ચૌહાણે જણાવ્યું હતું કે, “તે શરમજનક છે કે હુમલાના વાસ્તવિક માસ્ટરમાઈન્ડ મુક્તપણે ફરે છે જ્યારે પીડિતોના પરિવારો ન્યાયની રાહ જોઈ રહ્યા છે.તમામ શાંતિ ઈચ્છતા દેશોએ આતંકવાદ અને તેમના પ્રાયોજકોને હરાવવાના સંકલ્પમાં એક થવું જોઈએ. 26/11 એ ભારત અને ઇઝરાયેલ વચ્ચે સામાન્ય પીડા છે અને આપણે દોષિતોને ન્યાય અપાવવા માટે શક્ય તેટલું બધું કરવું જોઈએ.”
ઇઝરાયેલમાં યોજાયેલા કાર્યક્રમમાં કેટલાક સહભાગીઓએ મુંબઈ હુમલામાં ભારતીય સૈનિકોના સાહસિક પ્રયાસોને પણ યાદ કર્યા હતા અને હુમલાખોરોના નિઃશસ્ત્ર નિર્દોષ લોકો પરના કાયરતાપૂર્ણ કૃત્યને વખોડી કાઢ્યો હતો.
આ પણ વાંચોઃ દિલ્હી બાદ હવે મમતા બેનર્જી મુંબઈ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને મળવા જશે, કોંગ્રેસને આપી શકે છે મોટો ઝટકો
આ પણ વાંચોઃ ND vs NZ: શ્રેયસ અય્યરે ડેબ્યુ ટેસ્ટ મેચમાં જ સદી ફટકારી, 157 બોલમાં 100 રન કર્યા પૂર્ણ