ફરી કોરોનાની દહેશત : ઉત્તર કોરિયામાં કોરોનાનું તાંડવ, 18 હજારથી વધુ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ
ઉત્તર કોરિયાએ કોરોના વાયરસના આંકડા જાહેર કરવાનું શરૂ કરી દીધુ છે. અગાઉ તેણે એક કેસની (Corona) પુષ્ટિ કરી હતી. હવે 18 હજારથી વધુ કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.
ઉત્તર કોરિયામાં (North Korea Covid-19)કોરોના વાયરસના 18,000 થી વધુ કેસ નોંધાયા છે. તેમજ આ દરમિયાન આઠ લોકોના મોત થયા છે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાને ટાંકીને યોનહાપ ન્યૂઝ એજન્સીએ આ માહિતી આપી છે. અગાઉ ગુરુવારે આ ઉતર કોરિયાએ કોરોના વાયરસ રોગચાળાના(Coronavirus Pandemic) બે વર્ષમાં પ્રથમ વખત કહ્યું હતું કે કોવિડ -19 ના પ્રથમ કેસની પુષ્ટિ કરી હતી. જો કે પરિસ્થિતિને ધ્યાને લઈને કિમ જોંગ ઉને કટોકટી જાહેર કરીને લોકડાઉનની જાહેરાત કરી. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર છે જ્યારે ઉત્તર કોરિયા કોરોના વાયરસના (Corona Virus) આંકડા વિશ્વને જણાવી રહ્યું છે.
આ પરમાણુ સંપન્ન દેશે ક્યારેય સ્વીકાર્યું ન હતું કે અહીં કોરોના વાયરસ પહોંચી ગયો છે. ચીનમાં પહેલો કેસ સામે આવતાં જ સરકારે તમામ સરહદો બંધ કરી દીધી હતી. આ મર્યાદા 2020 થી બંધ છે. હવે જ્યારે રાજધાની પ્યોંગયાંગમાં તાવથી પીડિત લોકોના સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે તેઓ ઓમિક્રોનના BA.2 પ્રકારથી સંક્રમિત હતા. આ માહિતી સત્તાવાર મીડિયા કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે,કિમ જોંગ ઉન સહિતના ટોચના અધિકારીઓએ તાજેતરની સ્થિતિને લઈને ગુરુવારે બેઠક યોજી હતી. સાથે જ જાહેરાત કરી કે તેઓ મહત્તમ ઇમરજન્સી રોગચાળા નિવારણ પ્રણાલીનો અમલ કરશે.
શહેરોના તમામ વિસ્તારોમાં લોકડાઉન
KCNA અનુસાર, કિમે ‘દેશભરના તમામ શહેરો અને કાઉન્ટીઓના તમામ વિસ્તારોમાં લોકડાઉન’ જાહેર કર્યું છે. જો કે, કયા નિયંત્રણો લાદવામાં આવ્યા છે, તેની માહિતી હજુ આપવામાં આવી નથી. કિમે ઈમરજન્સી બેઠકમાં જણાવ્યું હતું કે તેમનો હેતુ વાયરસના ફેલાવાના સ્ત્રોતને દૂર કરવાનો અને ચેપનો સામનો કરવા માટે તાત્કાલિક સારવાર શોધવાનો છે. તેમણે કહ્યું કે ઉત્તર કોરિયા આ અચાનક સ્થિતીનો સામનો કરશે અને ઇમરજન્સી રોગચાળાને નિવારીને કામમાં જીત પણ મેળવશે.
દક્ષિણ કોરિયાના સિઓલમાં આવેલી ઇવા યુનિવર્સિટીના પ્રોફેસર લીફ-એરી-એસલે જણાવ્યું હતુ કે, તૂટેલી અર્થવ્યવસ્થાને કારણે ઉત્તર કોરિયામાં સ્વાસ્થ્ય વ્યવસ્થા સારી નથી. એવું પણ કહેવાય છે કે દેશના 2.5 કરોડ લોકોને રસી મળી નથી. જો પ્યોંગયાંગે સાર્વજનિક રીતે ઓમિક્રોન કેસોની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે, તો તેનો અર્થ એ છે કે લોકોની સ્વાસ્થ્ય સંબંધિત સ્થિતિ ગંભીર છે.