International Nurses Day 2022 : જાણો આજના દિવસનું મહત્વ અને ઇતિહાસ
માનવતા (Humanity) પ્રત્યેની આરોગ્ય કાર્યકરોની તેમની મહાન સેવાઓના સન્માન માટે આજે એટલે કે 12 મેનો દિવસ વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
અંગ્રેજી સમાજ સુધારક, આંકડાશાસ્ત્રી અને આધુનિક નર્સિંગ પ્રણાલીના સ્થાપક ફ્લોરેન્સ નાઇટીંગેલની (Florence Nightingale) આજે જન્મજયંતિ છે. આ દિવસ આરોગ્ય સંભાળ પ્રણાલીના તે મજબૂત સ્તંભને સમર્પિત છે, જે લોકો માટે સતત દિવસ-રાત કાર્યરત રહે છે. અંગ્રેજી સમાજ સુધારક ફ્લોરેન્સ નાઇટીંગેલને આધુનિક નર્સિંગના (Nursing Sector) સ્થાપક તરીકે ગણવામાં આવે છે. તેમના મહાન કાર્યને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે તેમના જન્મદિવસને ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ (International Nurses Day) તરીકે ઉજવવામાં આવે છે. 1974માં ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સે આજે ઈન્ટરનેશનલ નર્સ ડે મનાવવાની જાહેરાત કરી હતી.
આ દિવસે, ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ નર્સીસને કિટનું વિતરણ કરે છે, જેમાં તેમના કામથી સંબંધિત ઘણી જરૂરી વસ્તુઓ સામેલ હોય છે. આ દિવસ નર્સો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે ઉજવવામાં આવે છે, કારણ કે હેલ્થ કેર સિસ્ટમ તેમના અભૂતપૂર્વ સહકાર અને તેમની મહાન સેવા વિના અધૂરી છે.
આજે, 2 વર્ષથી વધુ સમયથી, આખું વિશ્વ કોવિડ -19 સાથે સતત લડત આપી રહ્યું છે. જેમાં આપણા હજારો કોરોના યોદ્ધાઓએ તેમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. માત્ર તેઓએ જ નહીં, પરંતુ તેમના નજીકના લોકો અને પ્રિયજનોએ પણ પોતાનો જીવ આ ભયન્કર મહામારીમાં ગુમાવ્યો છે. તેમાં સૌથી આગળ છે, આ લોકો જેમણે પોતાના જીવનું જોખમ લઈને પણ વિશ્વ માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે અને તેઓ છે ડોક્ટર, નર્સ, કાર્યકરો… જ્યારે કોરોનાના દર્દીઓને સાજા કરવામાં ડોકટરોએ આટલી મોટી ભૂમિકા ભજવી હતી, ત્યારે નર્સોએ પણ તેમના અનેક દિવસ અને રાત દર્દીઓની સેવામાં ખર્ચ્યા હતા.
ભૂતકાળમાં, વિશ્વએ એવો કપરો સમય ક્યારેય જોયો નથી કે, જ્યાં પરિવારના સભ્યોને પણ તે દર્દીઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હોય…. પરંતુ આ મહાન નર્સીસ કોઈપણ અંતર રાખ્યા વિના અને પોતાના જીવનની ચિંતા કર્યા વિના 24*7 સતત કામ કરી રહી હતી.
જ્યારે કોવિડ- 19 એ તેની પકડ નહોતી બનાવી, ત્યારે પણ આ નર્સોને હંમેશા એક માતા પછી શ્રેષ્ઠ સેવા આપતી વ્યક્તિઓ તરીકે ગણવામાં આવતી હતી. કોરોના મહામારી પછી, કોઈપણ વ્યક્તિ કોવિડ-19ના દર્દીઓની પાસે ઉભા રહેવા માટે તૈયાર ન હતું. ત્યારે માત્ર એક નર્સના રૂપમાં આશા હતી કે, આ દર્દીઓને સ્નાન કરાવવું, કપડાં મૂકવા, દવા અને ઓક્સિજન આપવા, નિયમિતપણે પલ્સ, ઓક્સિજન લેવલ તપાસવાથી લઈને બધી જ સેવા કરી હતી.
જો કે, તે નર્સની ફરજ હતી. પરંતુ તેમના જીવનું જોખમ હોવા છતાં પણ નર્સોએ ક્યારેય હાર માની ન હતી. નર્સોની સેવાઓને સૌથી ઉમદા કાર્ય તરીકે ગણવામાં આવે છે. તેઓનું યોગદાન સમાજને ક્યારેય નજરે પડતું નથી. જ્યારે દરેક વ્યક્તિ કોવિડ-19 થી પોતાને બચાવવા માટે દોડી રહ્યા હતા, ત્યારે નર્સો અને ડોકટરો… આ બે જ એવા મહાન લોકો છે, કે જેમણે દિવસ-રાત આપણા સૌ માટે અથાક મહેનત કરી છે.