ભારતીય સાયબર સ્પેસ ચીની હેકરોના નિશાના પર, જાણો આ હુમલાઓ પાછળ શું છે ઉદ્દેશ્ય
છેલ્લા કેટલાક સમયમાં ભારતીય સંસ્થાઓ અને સંગઠનો પર ચીની હેકરોના હુમલા વધી ગયા છે. ગલવાન ઘાટી હિંસક અથડામણ બાદ ચીની હેકરો દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અને પ્રયાસો પર ભારતીય એજન્સીઓ સતત નજર રાખી રહ્યા છે.
ભારતના સાયાબર સ્પેસ પર સતત ચીનના હેકર્સ હુમલો કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી ચીની હેકર્સ ભારતના સંગઠન અને સાયબર સ્પેસને હેક કરવાની રણનીતિ ઘડી રહ્યા છે અને તેના પ્રયત્નો પણ સતત કરી રહ્યા છે. ભારતીય સાયબર સ્પેસની સુરક્ષા પર નજર રાખવા વાળી એજન્સીઓએ જાણકારી આપી છે. માઈક્રોસોફ્ટે પણ ગ્રાહકોને ચીની હેકર્સથી ચેતતા રહેવા જણાવ્યું છે.
હુમલાઓમાં વધારો
કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-આઈએન) જેવી સરકારી સંસ્થાઓ ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ બાદ ચીની હેકરો દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અને પ્રયાસો પર સતત નજર રાખી રહ્યા છે. નિષ્ણાંતોએ કહ્યું કે છેલ્લા એક વર્ષ દરમિયાન ચીન તરફથી હેકિંગના પ્રયાસોમાં વધારો થયો છે. ગલવાન ઘાટીમાં એક ઝઘડા બાદ ભારતે ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ લાદી દીધા બાદ આ હુમલાઓ તીવ્ર બન્યા હતા.
ભારત બાયોટેક અને સીરમ પર નિશાન
તાજેતરમાં રિપોર્ટ બહાર આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વેકિસન ઉત્પાદક કંપની ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા નામની બે કંપનીઓની આઇટી સિસ્ટમોને ચીનના હેકરોએ નિશાન બનાવ્યું હતું. એસટી 10, જેને સ્ટોન પાંડા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ હેકર્સે કંપનીઓનો ડેટા ચોરી કરવાનો પ્રયાસ કર્યો. સૂત્રોએ દાવો કર્યો છે કે સીઇઆરટી-આઈએન દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.
વીજળી વિભાગ પર નિશાન
આ ઉપરાંત તેલંગાણા વીજ વિભાગના અધિકારીઓએ પણ દાવો કર્યો છે કે સીઈઆરટી-આઈએનએ તેઓને ચીની માલવેરની ચેતવણી આપી હતી. જે વિભાગની સાયબર સિસ્ટમ તોડવા પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સાયબર સ્પેસ સિક્યુરિટીમાં સામેલ એજન્સીઓ દ્વારા સંસ્થાઓ અને કંપનીઓને ચેતવણી આપવા ઉપરાંત, કર્મચારીઓને આવા હુમલાઓથી કેવી સુરક્ષા કરવી તે અંગેની તાલીમ આપવાની સલાહ પણ આપવામાં આવી રહી છે.
શું છે ઉદ્દેશ્ય
વિવિધ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ સાથે કામ કરતા સાયબર નિષ્ણાત રક્ષિત ટંડને કહ્યું હતું કે ચીન હંમેશાં આ પ્રકારનું કાર્ય કરે છે પરંતુ જ્યારે પણ સીધો સૈન્ય સંઘર્ષ થાય છે ત્યારે આ કામ વધી જાય છે. તેમણે કહ્યું હતું કે ચીની હેકરો સિસ્ટમ હેક કરવામાં સફળ રહ્યા છે કે કેમ તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ તેમના વતી આક્રમક પ્રયાસો કરવામાં આવ્યા હતા.