અમેરિકન નેવીનું જહાજ રિપેરિંગ માટે ભારત પહોંચ્યું, પહેલીવાર ‘ઉલટી ગંગા’ વહેતી જોવા મળી
અમેરિકન નેવીનું જહાજ રિપેરિંગ માટે રવિવારે ચેન્નાઈ કિનારે પહોંચ્યું હતું. જેનું ભારત અને અમેરિકાના ઉચ્ચ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.
અદ્યતન ટેક્નોલોજી અને મશીનરીના ક્ષેત્રમાં અમેરિકા સહિત અન્ય યુરોપિયન દેશોએ ભારતને પાછળ છોડી દીધું છે. આ કારણે ભારત તેના સંરક્ષણ સાધનો સહિત અન્ય મશીનરી સંબંધિત જરૂરિયાતો માટે પશ્ચિમી દેશો પર નિર્ભર છે. સામાન્ય રીતે, ભારત પશ્ચિમી દેશોમાં આ સાધનો અને મશીનોનું સમારકામ કરતું હોય છે. પરંતુ, આ વખતે ‘ગંગા ઊલટી’ વહેતી જોવા મળી રહી છે. આ વખતે અમેરિકન નેવીનું જહાજ રિપેરિંગ માટે ભારત પહોંચ્યું છે. ભારતના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રથમ વખત છે જ્યારે કોઈ અમેરિકન જહાજ સમારકામ માટે ભારત પહોંચ્યું છે. આ બધું ભારત અને અમેરિકા વચ્ચે વધી રહેલા વ્યૂહાત્મક કરારને કારણે થયું છે.
ચેન્નાઈમાં અમેરિકન જહાજનું સમારકામ કરવામાં આવશે
સમારકામ માટે ભારત પહોંચેલા અમેરિકન નેવી જહાજનું નામ ચાર્લ્સ ડ્રુ છે. જે રવિવારે ચેન્નાઈ પહોંચ્યું હતું. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ અમેરિકન નેવીએ જહાજના સમારકામનો કોન્ટ્રાક્ટ L&Tને આપ્યો છે. ચેન્નાઈના કટ્ટાપલ્લી સ્થિત શિપયાર્ડમાં આ જહાજનું સમારકામ કરશે.
આ સમારકામથી ભારતના બજારને નવી ઓળખ મળશે
અમેરિકન જહાજોના સમારકામની તક ભારત માટે નવી તકો લઈને આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકન જહાજોના સમારકામ સાથે, ભારતના શિપયાર્ડ રિપેર માર્કેટને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન મળશે. તેનાથી દેશમાં રોજગારીની તકો પણ વધશે. એવું માનવામાં આવે છે કે ભારતીય શિપયાર્ડ રિપેર માર્કેટ સસ્તું અને વિશ્વભરના દેશો માટે સુલભ હોઈ શકે છે.
ભારત અને અમેરિકાના ટોચના અધિકારીઓએ જહાજનું સ્વાગત કર્યું હતું
અમેરિકન નેવીનું જહાજ રિપેરિંગ માટે રવિવારે ચેન્નાઈ કિનારે પહોંચ્યું હતું. જેનું ભારત અને અમેરિકાના ઉચ્ચ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સંરક્ષણ સચિવ અજય કુમાર, વાઈસ ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઈસ એડમિરલ એસએન ઘોરમાડે, ફ્લેગ ઓફિસર તમિલનાડુ, એડમિરલ એસ વેંકટ રમન, યુએસ એમ્બેસીના અધિકારીઓ તેમજ સંરક્ષણ મંત્રાલયના અન્ય અધિકારીઓ ચેન્નાઈના કિનારે પહોંચ્યા હતા અને તેમનું અમેરિકન નેવી જહાજે સ્વાગત કર્યું હતું.
આ અવસરે સંરક્ષણ સચિવ અજય કુમારે કહ્યું કે અમે અમેરિકન નૌકાદળના જહાજનું સ્વાગત કરીને ખરેખર ખુશ છીએ. તેમણે તેને અમેરિકા અને ભારત વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોનો નવો અધ્યાય પણ ગણાવ્યો. કુમારે કહ્યું કે હાલમાં ભારતમાં 6 મોટા શિપયાર્ડ છે, જેનું વાર્ષિક ટર્નઓવર 2 બિલિયન યુએસ ડોલર છે. તેમણે કહ્યું કે અમે ફક્ત અમારા માટે જ જહાજો તૈયાર નથી કરતા. અમારી પાસે અમારું પોતાનું ડિઝાઇન હાઉસ છે, જે તમામ પ્રકારના જહાજોનું ઉત્પાદન કરવામાં સક્ષમ છે. આ પ્રસંગે તેમણે વિક્રાંતના ભારતીય નૌકાદળના કાફલામાં જોડાયાનું ઉદાહરણ આપ્યું હતું.