ભારતે સલમાન રશ્દી પરના જીવલેણ હુમલાની નિંદા કરી, ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી
ભારતીય વિદેશ મંત્રાલયે રશ્દી પરના છરીના હુમલાને ભયાનક હુમલો ગણાવ્યો અને કહ્યું કે ભારત હંમેશા હિંસા અને ઉગ્રવાદ સામે ઊભું રહ્યું છે.
ભારતે (india)પહેલીવાર સલમાન રશ્દી (Salman Rushdie)પરના જીવલેણ હુમલાની ટીકા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે રશ્દી પરના છરીના હુમલાને (Attack) ભયાનક હુમલો ગણાવ્યો અને કહ્યું કે ભારત હંમેશા હિંસા અને ઉગ્રવાદ સામે ઊભું રહ્યું છે. 75 વર્ષીય લેખક પર 12 ઓગસ્ટના રોજ યુ.એસ.માં એક કાર્યક્રમ દરમિયાન છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ભારતે સલમાન રશ્દીના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, “ભારત હંમેશા હિંસા અને ઉગ્રવાદ સામે ઉભું રહ્યું છે. અમે સલમાન રશ્દી પરના ભયાનક હુમલાની નિંદા કરીએ છીએ. અને તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.” રશ્દી પરના ખૂની હુમલાની વૈશ્વિક સ્તરે ટીકા કરવામાં આવી હતી. અને લેખકના સમર્થનમાં વિશ્વભરના કાર્યકરો અને લેખકોએ આ હુમલાને વાણીની સ્વતંત્રતા વિરુદ્ધ ગણાવ્યો હતો.
ઈરાને રશ્દી પર હુમલાનો ઈન્કાર કર્યો છે
સલમાન રશ્દી પરના હુમલાના તાર ઈરાનના સર્વોચ્ચ નેતા દ્વારા જાહેર કરાયેલા ફતવા સાથે જોડાયેલા હતા, પરંતુ ઈરાને ઘાતક હુમલાનો ઈન્કાર કર્યો છે. 1989માં, ઈરાનના તત્કાલિન સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ રુહોલ્લાહ ખોમેનીએ રશ્દીના પુસ્તક ધ સેટેનિક વર્સીસને ઈસ્લામ વિરુદ્ધ ગણાવ્યું હતું. જેમાં તેણે કથિત રીતે ઈસ્લામના છેલ્લા મેસેન્જર, પ્રોફેટ મુહમ્મદ અને તેમની પત્નીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ રીતે લખ્યું હતું. ઈરાને તેના માથા પર લાખો રૂપિયાનું ઇનામ રાખ્યું હતું અને તે ફતવો ખોમેનીના મૃત્યુ પછી પણ ઈરાને યથાવત રાખ્યો હતો.
સુરક્ષામાં રહી ગઇ ચૂક
સલમાન રશ્દીને લગભગ 10 વર્ષ સુધી છુપાઈને રહેવું પડ્યું અને બાદમાં તેઓ અમેરિકા ગયા, જ્યાં તેમને કોઈપણ કાર્યક્રમમાં સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી. જોકે, 12 ઓગસ્ટના રોજ, ન્યુયોર્કની સંસ્થામાં જ્યાં રશ્દી સંબોધન માટે પહોંચ્યા હતા, ત્યાં સુરક્ષા વ્યવસ્થા હળવી કરવામાં આવી હતી. અને આરોપી હાદી માતરે આ તકનો લાભ લઈ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ રશ્દી જમીન પર પડી ગયા હતા, જેમને બાદમાં એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ભારતે પણ પુસ્તક પર પ્રતિબંધ લગાવી દીધો હતો
સલમાન રશ્દીનું વિવાદાસ્પદ પુસ્તક ધ સેટેનિક વર્સીસ 26 સપ્ટેમ્બર 1988ના રોજ પ્રકાશિત થયું હતું અને પ્રકાશન પછી તરત જ આ પુસ્તક વિવાદમાં ફસાઈ ગયું હતું. વિશ્વના ઘણા દેશોએ આ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો છે. રશ્દીના પુસ્તકને લઈને ભારતમાં પણ હંગામો થયો હતો, ત્યારબાદ રાજીવ ગાંધી સરકારે 5 ઓક્ટોબર 1988ના રોજ આ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, બાદમાં કોંગ્રેસના નેતા અને મનમોહન સિંહ સરકારમાં મંત્રી પી ચિદમ્બરમે એક ટ્વિટ દ્વારા પુસ્તક પર લગાવવામાં આવેલા પ્રતિબંધને ભૂલ ગણાવી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.