ઈમરાનખાનની પાક સરકારને ધમકી, કહ્યુ ચૂંટણી જાહેર કરો નહી તો વિધાનસભાઓ ભંગ કરી દેવાશે
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે, ઈમરાન ખાનની વાતચીતની ઓફરને આવકારી હતી. તેમણે કહ્યું, 'જ્યારે રાજનેતાઓ મક્કમ થઈને કંઈક કરવા માટે બેસે છે, ત્યારે સમસ્યા અને મુદ્દાઓ ઉકેલાઈ જાય છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને શુક્રવારે ધમકી ઉચ્ચારી હતી કે જો વડા પ્રધાન શાહબાઝ શરીફની આગેવાની હેઠળની સંઘીય સરકાર વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલીને સામાન્ય ચૂંટણીની તારીખોની તત્કાળ જાહેરાત નહીં કરે તો તેઓ પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની વિધાનસભાઓને ભંગ કરી દેશે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ઈમરાનખાને ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે તેમના નેતાઓ પ્રાંતીય એસેમ્બલીમાંથી રાજીનામા ધરી દેશે. તેમણે રાજધાની ઈસ્લામાબાદ તરફ કૂચ કરવાના કોલને પાછો ખેંચી લેતા કહ્યું હતુ કે તેના ગંભીર પરિણામો આવશે.
ઈમરાન ખાને કહ્યું, “આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને, મેં નક્કી કર્યું છે કે કાં તો તેઓ અમારી સાથે ચર્ચા વિચારણા કરીને ચૂંટણીની તારીખ નક્કી કરે અથવા, પાકિસ્તાનનો લગભગ 66 ટકા વિસ્તાર આવરી લેતા- ખૈબર પખ્તુનખ્વા અને પંજાબની એસેમ્બલી ભંગ કરી દઈશુ જેના કારણે ચૂંટણી યોજવી પડશે. ઈમરાન ખાનની પાર્ટી ‘PTI’ પાકિસ્તાનના પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રાંતમાં સત્તામાં છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ની આગેવાની હેઠળની સંઘીય સરકારે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ‘ગવર્નર’ શાસન લાદવાની ધમકી આપી છે.
ઈમરાન ખાનની ઓફરનું સ્વાગત
દરમિયાન, પાકિસ્તાનના ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહે મંત્રણા માટે ઈમરાન ખાનની ઓફરનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું, “જ્યારે રાજકારણીઓ કંઈક કરવાનું નક્કી કરે છે, ત્યારે મુદ્દાઓ ઉકેલાઈ જાય છે.” નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ આ વર્ષે એપ્રિલમાં ઈમરાન ખાનને વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં નવી સામાન્ય ચૂંટણીની માંગ કરી રહ્યા છે. જો કે, વડા પ્રધાન શરીફની આગેવાની હેઠળની સંઘીય સરકાર હવે ચૂંટણી યોજવાનો વિરોધ કરી રહી છે. વર્તમાન નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ ઓગસ્ટ 2023માં સમાપ્ત થશે.
પાકિસ્તાનના નવા વિદેશ સચિવપદે અસદ મજીદ નિયુક્ત
પાકિસ્તાને શુક્રવારે પીઢ રાજદ્વારી અસદ મજીદ ખાનને નવા વિદેશ સચિવ તરીકે નિયુક્ત કર્યા, જેનું નામ વોશિગ્ટનથી મોકલાયેલા કેબલ આધારીત ‘વિદેશી ષડયંત્ર વિવાદ’માં સામે આવ્યું હતું. વિદેશ કાર્યાલયે એક ટ્વિટમાં કહ્યું કે ખાન હાલમાં બેલ્જિયમ, યુરોપિયન યુનિયન (EU) અને લક્ઝમબર્ગમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે નિયુક્ત છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં સોહેલ મહમૂદની નિવૃત્તિ પછી આ પદ ખાલી પડ્યું હતું, અને કાયમી વિદેશ સચિવની નિમણૂક કરવાને બદલે, વરિષ્ઠ રાજદ્વારી જોહર સલીમને આ પદ પર ઔપચારિક નિમણૂક ન થાય ત્યાં સુધી વિદેશ સચિવના કાર્યાલયનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો.