શુ તાલિબાન ખરેખર બદલાઈ ગયા છે કે પછી દેખાડો કરે છે ? જાણો કયા કયા આપ્યા છે વચનો
afghanistan crisis update તાલિબાનના પ્રવક્તા ઝબીનુલ્લાહ મુજાહિદે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિમાં ઘણા વચનો આપ્યા છે. મહિલાઓની ભૂમિકાથી લઈને આતંકવાદીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે તાલિબાન અફઘાનિસ્તાન સ્થિત વિદેશી દૂતાવાસોને કોઈ પણ પ્રકારે નુકસાન નહીં કરે.
Afghanistan News: અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સંપૂર્ણ કબજો મેળવ્યો છે. સમગ્ર વિશ્વએ પણ હવે આ વાસ્તવિકતાને સ્વીકારવાનું શરૂ કરી દીધુ છે. તાલિબાને ( Taliban ) સમગ્ર અફઘાનિસ્તાન ( Afghanistan )દેશ પર કબજો મેળવ્યા બાદ, મંગળવારે પ્રથમ વખત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન, તેમના વલણમાં કેટલાક ફેરફારો જોવામાં આવ્યું હતા. આવી સ્થિતિમાં દરેકના મનમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે શું તાલિબાન ખરેખર બદલાઈ ગયા છે કે પછી તે માત્ર દુનિયા સામે દેખાડો કરી રહ્યા છે.
તાલિબાનના પ્રવક્તા ઝબીનુલ્લાહ મુજાહિદે ( Taliban spokesman Zabinullah Mujahid ) પત્રકાર પરિષદ દરમિયાન ઘણાબધા વચનો આપ્યા હતા. મહિલાઓની ભૂમિકાથી લઈને આતંકવાદીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ અફઘાનિસ્તાન સ્થિત વિદેશી દૂતાવાસોને કોઈ પણ પ્રકારે જાનમાલનુ નુકસાન નહીં કરે. આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે તેના સંબંધો કેવા રહેશે, મીડિયા માટેના નિયમો શું હશે, આ તમામ બાબતો પર તેમણે વાત કરી છે. ચાલો જાણીએ તાલિબાને 10 પોઈન્ટમાં શું કહ્યું
1. શરિયા કાયદા હેઠળ મહિલાઓને સ્વતંત્રતા અને અધિકારો આપવામાં આવશે. મહિલાઓ આરોગ્ય ક્ષેત્ર અને શાળાઓમાં કામ કરી શકશે. જો કે, તેમણે મીડિયામાં કામ કરવા અંગે કોઈ સીધો જવાબ આપ્યો ન હતો.
2. મીડિયાને મુક્ત રીતે કામ કરવાની છૂટ આપવામાં આવશે, પરંતુ પત્રકારે અફઘાનિસ્તાનના મૂલ્યોનું ધ્યાન રાખવું પડશે.
3. આતંકવાદીઓને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરવા દેવામાં નહીં આવે. અફઘાનિસ્તાનને કોઈ પણ દેશ પર કાવતરું અથવા હુમલો કરવા માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં નહી આવે.
4. કોઈ આંતરરાષ્ટ્રીય દૂતાવાસ કે સંસ્થાને નુકસાન નહીં કરાય. તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે.
5. કોઈ ભૂતપૂર્વ સૈનિકો, અથવા અફઘાન સરકારના સભ્યો સામે કિન્નાખોરી રાખીને બદલો લેવામાં નહી આવે. ભૂતકાળમાં તાલિબાન સામે લડનારાઓને માફ કરવામાં આવશે.
6. અફઘાનિસ્તાનમાં કોઈપણ લોકો કોઈનું અપહરણ નહી કરે અને કોઈ કોઈપણનો જીવ પણ નહી લે.
7. દેશમાં અર્થતંત્ર અને લોકોનું જીવનધોરણ સુધારાશે.
8. તાલિબાનની પ્રથમ પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા બનાવવાની છે જેથી લોકો શાંતિથી રહી શકે.
9. અફઘાનિસ્તાનમાં રહેતા લોકોને ખાતરી આપવામાં આવી હતી કે તેઓ કોઈ તેમને નુકસાન નહીં કરે.
10. પ્રવક્તાએ કહ્યું કે અશરફ ગનીની સરકાર કોઈને સુરક્ષા આપવા માટે યોગ્ય નથી. તાલિબાન બધાને સુરક્ષા આપશે.