આખરે ડ્રેગને કરી કબુલાત, ભારતના સૈનિકોએ LAC પર ચીનના સૈનિકોને રહેંસી નાખ્યા હતા
ગ્લોબલ ટાઇમ્સે પીપલ્સ લિબરેશન આર્મીના અખબારને ટાંકીને જણાવ્યું છે કે ગાલવાન ઘાટીમાં લોહિયાળ સંઘર્ષમાં ચાર ચીની સૈનિકો માર્યા ગયા હતા.
ગયા વર્ષે જૂનમાં લડાખની ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના સંબંધી ડ્રેગને નવ મહિના મૌન રાખ્યું હતું. જો કે હવે ડ્રેગનનું મૌન તૂટી ગયું છે. તેણે તેના મૃત સૈનિકો વિશે માહિતી આપી. અહેવાલ અનુસાર ગલવાનમાં ચાર ચીની સૈનિકો માર્યા ગયા હતા. આ સાથે જ ચીને આ ક્ષેત્રમાં તણાવ પેદા કરવા માટે ભારતને દોષી ઠેરવ્યું છે.
નોંધપાત્ર વાત એ છે કે આ અથડામણમાં ભારતીય 20 જવાનો શહીદ થયા હતા. જો કે એક અમેરિકન ગુપ્તચર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ અથડામણમાં 40 થી વધુ ચીની સૈનિકો માર્યા ગયા. નવ મહિનામાં પહેલી વાર ચીને આ ઘટનામાં માર્યા ગયેલા પોતાના સૈનિકો વિશે માહિતી આપી છે. અહેવાલમાં ભારતીય સેના પર આરોપ લગાવાયો છે કે ભારતના સૈનિકો લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (LAC) ને પાર કરી રહ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે એલએસી પર મોટી સંખ્યામાં ભારતીય સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. સમાચારોમાં ચીનના સૈનિકોની પ્રશંસા કરવામાં આવી છે.
China unveiled for the first time, names and detailed stories of four martyrs who sacrificed their lives in the border confrontation with India in the Galwan Valley in June 2020: Chinese media
— ANI (@ANI) February 19, 2021
45 વર્ષમાં પ્રથમ થયો હતો સરહદી તકરાર
મે મહિનાની શરૂઆતથી ચીનની સેના LAC તરફ આગળ વધી રહી હતી. આ બાદ ભારતીય સૈનિકો સાવચેત બન્યા હતા. જો કે ચીનના આ આક્રમક પગલાને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. આખરે 15 જૂનના મધ્યમાં ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો. ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા 45 વર્ષમાં સૌથી ખરાબ સરહદી વિવાદ સર્જાયો હતો. આમાં ભારતીય 20 જવાનો શહીદ થયા, જેમને સંપૂર્ણ માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. બીજી તરફ ચીની સૈનિકોને પણ મોટી સંખ્યામાં જાનહાની થઈ હતી પરંતુ તેણે આ બાબતને દુનિયાથી છુપાવી રાખી. અમેરિકાની એજન્સીના અહેવાલ મુજબ 40 ચીની સૈનિક માર્યા ગયા હતા જ્યારે આ ઘટનાના 9 મહિના બાદ ડ્રેગને માત્ર 4 સૈનિક માર્યા ગયાનો અહેવાલ આપ્યો છે. ભારે દાબવ વચ્ચે પોતાના સૈનિકો માર્યા ગયાની વાત આખરે ચીને સ્વીકાર કરવી પડી છે.
ચીની સૈનિકો પીછેહઠ કરી રહ્યા છે
અત્યારના સમયે ભારત અને ચીનની સરહદ પર તણાવ ઓછો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બંને દેશોના સૈન્યએ મોરચા પર સ્થિત પોતાના સૈન્યને પાછળ લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ સ્થિતિમાં નવ મહિનાથી ચાલુ રહેલું તણાવ ઓછું થતું હોય તેવું લાગી રહ્યું છે. જો કે ભારત ચીનની દરેક ચાલ પર નજર રાખી રહ્યું છે. ભારતીય સેનાએ મંગળવારે કેટલાક ટૂંકા વીડિયો અને તસવીરો જાહેર કરી હતી. ચીની સેના દ્વારા પૂર્વી લદ્દાખના પેંગોંગ સો (તળાવ) ની આસપાસના સ્થળોએથી તેના સૈનિકોની સંખ્યા ઘટાડીને અને તેના બંકરો, કેમ્પ અને અન્ય સુવિધાઓને નષ્ટ કરતા જોઈ શકાય છે.