બહેરીનમાં Covaxinના ઇમરજન્સી ઉપયોગને મળી મંજુરી, અત્યાર સુધીમાં 96 દેશમાં ઉપયોગની મંજુરી મળી ચુકી છે
બહેરીનમાં ભારતીય દૂતાવાસે કહ્યું છે કે બહેરીનની નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટીએ કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.
ભારત બાયોટેક(India Biotechની સ્વદેશી કોવેક્સિન(Covaxin)ને બહેરીનમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. બહેરીનની નેશનલ હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટીએ કોવેક્સિન(Covaxin)ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. રાજધાની મનામા સ્થિત ભારતીય દૂતાવાસે(Indian Embassy) આ જાણકારી આપી છે.
કોવેક્સીનને તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ રીતે, તે બહેરીનમાં 18 વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે ઉપલબ્ધ થશે. નોંધનીય છે કે WHO એ તાજેતરમાં જ તેની માન્ય રસીઓમાં રસીનો સમાવેશ કર્યો છે.
96 દેશમાં ઉપયોગની મંજુરી અત્યાર સુધીમાં કોવેક્સિન અને કોવિશિલ્ડને 96 દેશોમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સ્પેન, ફ્રાન્સ, જર્મની જેવા દેશોનો સમાવેશ થાય છે. આ રીતે હવે ભારતીયો માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસ સરળ બની ગયો છે.
NHRAનું નિવેદન ગલ્ફ દેશની નેશનલ હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, “બેહરીન કિંગડમના નેશનલ હેલ્થ રેગ્યુલેટરી ઓથોરિટી (NHRA) એ આજે ભારતીય બહુરાષ્ટ્રીય બાયોટેકનોલોજી કંપની, ભારત બાયોટેક દ્વારા વિકસિત કોવેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.”નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત બાયોટેક ઇન્ડિયા દ્વારા પ્રદાન કરવામાં આવેલા ડેટાના કાળજીપૂર્વક મૂલ્યાંકન પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ડેટાનું મૂલ્યાંકન એનએચઆરએની ક્લિનિકલ ટ્રાયલ કમિટી અને આરોગ્ય મંત્રાલયની ઇમ્યુનાઇઝેશન કમિટી દ્વારા કરવામાં આવે છે.’ તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘26,000 થી વધુ લોકોએ રસીના ક્લિનિકલ ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. તે દર્શાવે છે કે કોવિડ-19 સામે બે ડોઝની રસી 77.8 ટકા અસરકારક હતી, અને કોવિડ-19ના ગંભીર કેસો સામે રસી 93.4 ટકા અસરકારક હતી. સુરક્ષા ડેટામાં બહુ ઓછી આડઅસર જોવા મળી છે.
WHO એ રસી મંજૂર કરી WHO એ કોવેક્સિનને 3 નવેમ્બરે ‘લિસ્ટેડ ફોર ઈમરજન્સી યુઝ’ (EUL) નો દરજ્જો આપ્યો હતો. અગાઉ WHO ના ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (TAG) દ્વારા તેની ભલામણ કરવામાં આવી હતી. WHOએ ટ્વીટ કર્યું કે, ‘WHO એ ઈમરજન્સી ઉપયોગ માટે કોવેક્સિન (ભારત બાયોટેક દ્વારા વિકસિત) રસી સૂચિબદ્ધ કરી છે. આ રીતે કોવિડ-19ની રોકથામ માટે WHO દ્વારા માન્યતા પ્રાપ્ત રસીની સંખ્યામાં વધારો થયો છે.
WHO એ કહ્યું કે તેના દ્વારા બનાવવામાં આવેલ TAG, જેમાં વિશ્વભરના નિયમનકારી નિષ્ણાતો છે, તે સંપૂર્ણ રીતે આશ્વસ્ત છે કે રસી કોવિડ-19 સામે રક્ષણ આપવા માટે તેના ધોરણોને પૂર્ણ કરે છે અને આ રસીના ફાયદા તેના જોખમો કરતાં વધારે છે.
આ પણ વાંચોઃ Poultry Farming : મરઘા પાલનમાં ઓછા રોકાણથી થાય છે સારી કમાણી, જાણો ખર્ચ સહીતની તમામ માહિતી
આ પણ વાંચોઃ આર્યન ખાન સાપ્તાહિક હાજરી નોંધાવવા માટે પહોંચ્યો NCB ઓફિસ, શું આર્યન નોંધાવશે તેનું નિવેદન ?