ઈરાનમાં તુર્કી સરહદ પર આવ્યો 5.9ની તીવ્રતાનો ભૂકંપ, 7ના મોત, 440 ઘાયલ
તુર્કી-ઈરાન બોર્ડર પર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે.
તુર્કી-ઈરાન બોર્ડર પર ભૂકંપના ભારે આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 5.9 માપવામાં આવી છે. ઈરાનની IRNA ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ઉત્તર-પશ્ચિમ ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં મળેલ પ્રાથમિક અહેવાલ અનુસાર સાત લોકોના મોત થયા છે. જ્યારે 440 લોકોને ઈજા થઈ હોવાનું કહેવાય છે.
ઈરાની ઈમરજન્સી સર્વિસના પ્રવક્તા મોજતબા ખાલેદીએ જણાવ્યું કે, “ભૂકંપના કારણે સાત લોકોના મોત થયા છે. જ્યારે 440 લોકો ઘાયલ થયા છે.” રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આ ઘાયલ થયેલાઓનો આંકડો હજુ વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભૂકંપને કારણે બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા, જ્યારે 122 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાયુ હતું.
#UPDATE | Iran: Seven dead, 440 injured so far in a 5.9-magnitude earthquake that struck the city of Khoy in northwestern Iran, reports Iran’s media
— ANI (@ANI) January 28, 2023
ઈરાનના સરકારી મીડિયા અનુસાર, ભૂકંપની માહિતી મળ્યા બાદ, બચાવ ટીમોને આ વિસ્તારમાં મોકલવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલોને પણ તાકીદ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે ઈરાનમાં આવેલા 6.3ની તીવ્રતાના ભૂકંપથી ઘણી તબાહી મચી ગઈ હતી. આ દરમિયાન 5 લોકોના મોત થયા હતા જ્યારે 19થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપના કારણે સાંઈ ખોશો ગામમાં ઘણું નુકસાન થયું છે.
ભૂકંપ કેવી રીતે આવે છે?
ધરતીની અંદર હાજર પ્લેટોનુ એકબીજા સાથે અથડાવાને કારણે ભૂકંપ આવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે, આપણી પૃથ્વી 12 ટેક્ટોનિક પ્લેટ પર સ્થિત છે. જ્યારે આ પ્લેટો એક બીજા સાથે અથડાય છે, ત્યારે જે ઊર્જા બહાર નિકળે છે, તેને ભૂકંપ કહેવાય છે. નિષ્ણાતોના મતે, પૃથ્વીની નીચે આ પ્લેટો ખૂબ જ ધીમી ગતિએ ફરતી રહે છે. દર વર્ષે આ પ્લેટો તેમની જગ્યાએથી 4-5 મીમી ખસી જાય છે. આ દરમિયાન કોઈ પ્લેટ અન્ય કોઈ પ્લેટ નીચેથી ખસી જાય છે તો કોઈ ઉપરની તરફ સરકી જાય છે. આ દરમિયાન પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે.