Earthquake in Pakistan: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ, 300 કરતા વધારે મકાનને નુક્સાન
પાકિસ્તાનની (Pakistan) રાજધાની ઈસ્લામાબાદ અને ખૈબર પખ્તુનખ્વા સિવાય બલૂચિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની અસર પાકિસ્તાન ઉપરાંત ઈરાન અને અફઘાનિસ્તાન પણ થઈ હતી.
પાકિસ્તાનમાં (Earthquake in Pakistan) મંગળવારે બપોરે રાજધાની ઈસ્લામાબાદ અને ખૈબર પખ્તુનખ્વા સિવાય બલૂચિસ્તાનમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ (Richter Scale) પર ભૂકંપની તીવ્રતા 5.3 આંકવામાં આવી છે. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) મુજબ, આજે બપોરે 12:36 વાગ્યે પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ 10 કિમી અંદાજવામાં આવી હતી.
જો કે, પાકિસ્તાનના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ વિસ્તાર હતો અને તેની ઊંડાઈ 85 કિમી હતી. જો કે હજુ સુધી ભૂકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. રાજધાની ઈસ્લામાબાદ અને બલૂચિસ્તાનના ભાગો અને દેશના અન્ય ભાગોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લામાં ભૂકંપ આવ્યો હતો
આ મહિનાની શરૂઆતમાં, બલૂચિસ્તાનના ખુજદાર જિલ્લાના ઔરાનાજી વિસ્તારમાં 5.2-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 80 મકાનો ધરાશાય થયા હતા, જેમાં 200 થી વધુ પરિવારો બેઘર થયા હતા.
ખુજદારના ડેપ્યુટી કમિશનર, નિવૃત્ત મેજર ઇલ્યાસ કિબઝાઈએ સ્થાનિક મીડિયા ડૉનને જણાવ્યું હતું કે, “ભૂકંપથી ઔરાનાજીનો વિશાળ વિસ્તાર પ્રભાવિત થયો હતો, જેમાં 80 થી વધુ મકાનો નાશ પામ્યા હતા, જ્યારે 260 અન્ય મકાનોમાં મોટી તિરાડો પડી હતી.” વાધ તહસીલના નલ, જામરી, બરાંગ અને નાચકન સોનારો લાઠી ગામોને પણ ભૂકંપથી નુકસાન થયું હતું.
જાન્યુઆરીમાં પણ પાકિસ્તાનની ધરતી ધ્રૂજી હતી
આ વર્ષની શરૂઆતમાં પણ પાકિસ્તાનમાં ધરતી ધ્રૂજી હતી. ત્યારબાદ 14મી જાન્યુઆરીએ ઈસ્લામાબાદ અને દેશના ઉત્તરીય વિસ્તારોને રિક્ટર સ્કેલ પર 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ પહેલા 11 મેના રોજ પશ્ચિમ નેપાળના ઓછી વસ્તીવાળા પ્રાંતમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આના કારણે જાનમાલને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. સુરખેત ખાતેના ધરતીકંપ કેન્દ્રના જણાવ્યા મુજબ, સવારે 10:18 વાગ્યે આંચકા અનુભવાયા હતા, તેનું કેન્દ્ર ભારતના દારચુલા જિલ્લાથી 30 કિમી દૂર હતું. દારચુલા, બજહાંગ અને દાડેલધુરા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
તાજેતરમાં, બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન મીર અબ્દુલ કુદૂસ બિજેન્જોએ ભૂકંપથી સ્થાનિક લોકોને થયેલા નાણાકીય નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.
અસરગ્રસ્ત વિસ્તારમાં તંબુ, ધાબળા અને અન્ય આવશ્યક વસ્તુઓની તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના આપતાં મુખ્યમંત્રી મીર અબ્દુલે કહ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિતોની સાથે છે.