ડેનિયલ પર્લ હત્યા કેસ: પાકિસ્તાન બેકફૂટ પર, આરોપીનાં મુક્તિનાં નિર્ણય પર થશે સુનાવણી
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ સોમવારે 1 ફેબ્રુઆરીએ અલ કાયદાના આતંકવાદી અહેમદ ઉમર શેખ અને અન્ય શંકાસ્પદ લોકોની મુક્તિ વિરુદ્ધ સિંધ સરકારની અરજી પર સુનાવણી કરશે.
અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની હત્યાના કેસમાં પાકિસ્તાન સરકાર બેકફૂટ પર આવી છે. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ સોમવારે 1 ફેબ્રુઆરીએ અલ કાયદાના આતંકવાદી અહેમદ ઉમર શેખ અને અન્ય શંકાસ્પદ લોકોની મુક્તિ વિરુદ્ધ સિંધ સરકારની અરજી પર સુનાવણી કરશે. ગુરુવારે ત્રણ સભ્યોની ખંડપીઠે ચારે આતંકવાદીઓને મુક્ત કરવાના સિંધ હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું.
આ પહેલા પાકિસ્તાન સરકારે સુપ્રીમ કોર્ટને તેના નિર્ણયની સમીક્ષા કરવા કહ્યું હતું જેમાં તેણે પત્રકાર ડેનિયલ પર્લના હત્યારાઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. સિંધ પ્રાંત સરકારના વકીલ ફૈઝ શાહે કહ્યું કે પુનર્વિચારની ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી છે. તેમણે શેખને મુક્ત કરવાના નિર્ણયને બદલીને મૃત્યુ સજાને સમર્થન આપવા અપીલ કરી છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી
અગાઉ સિંધ હાઇકોર્ટે નીચલી અદાલતના નિર્ણયને બદલીને ચારે આતંકવાદીઓને છૂટા કરવાના આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ US સહિત આંતરરાષ્ટ્રીય સમુદાએ આ નિર્ણયની કડક નિંદા કરી હતી. ત્યાર બાદ સિંધની રાજ્ય સરકાર અને ડેનિયલ પર્લના માતા-પિતાએ હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
પત્રકાર ડેનિયલ પર્લની હત્યારા ઉમર શેખની મુક્તિના આદેશ બાદ અમેરિકાએ પાકિસ્તાન પર આકરા પ્રત્યાઘાત કર્યા હતા. USના વિદેશ સચિવ ટોની બ્લિંકને કહ્યું હતું કે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આતંકવાદનો ભોગ બનેલા લોકોનું અપમાન છે. બ્લિન્કને એમ પણ કહ્યું હતું કે અમરિકાના નાગરિકો સાથે ભયાનક ગુનાઓ કરવા બદલ ઉમર શેખને સજા આપવા માટે યુ.એસ. સંપૂર્ણપણે તૈયાર છે.
2002માં પર્લનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે તેઓ પાકિસ્તાનની એક સિક્રેટ એજન્સી આઈએસઆઈ અને અલ કાયદા વચ્ચેના સંબંધો વિષે સમાચાર અહેવાલ માટે માહિતી ભેગી કરી રહ્યા હતા. અપહરણ બાદ પર્લનું શિર કલમ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અહમદ ઉમર સઈદ શેખ અને તેના ત્રણ સાથીઓ ફહદ નસીમ, શેખ આદિલ અને સલમાન સાકીબને અપહરણ અને હત્યાના કેસમાં કોટ દ્વારા દોષી ઠેરવવામાં આવ્યા હતા.