સાઉદી અરેબિયામાં ફરીથી આવ્યો કોરોના, ભારત સહિત 16 દેશોના પ્રવાસ પર પ્રતિબંધ
સાઉદી અરેબિયાએ (Saudi Arabia) એવી પણ જાહેરાત કરી કે અન્ય ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોમાં મુસાફરી કરતા નાગરિકો પાસે ઓછામાં ઓછા ત્રણ મહિના માટે માન્ય રાષ્ટ્રીય ઓળખ કાર્ડ હોવું આવશ્યક છે.
કોવિડ-19 (Covid-19) ના પુનઃ પ્રસારને પગલે અને છેલ્લા કેટલાક અઠવાડિયામાં રોજિંદા કોવિડ ચેપની સંખ્યામાં ઝડપી વધારાને પગલે, સાઉદી અરેબિયાએ (Saudi Arabia) તેના નાગરિકોને ભારત સહિત સોળ દેશોમાં પ્રવાસ ખેડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, કોરોનાને (Corona) કારણે સાઉદી અરેબિયાના નાગરિકો પર જે સોળ દેશોમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ છે તેમાં ભારત, લેબનોન, સીરિયા, તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, યમન, સોમાલિયા, ઈથોપિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લિબિયા, ઈન્ડોનેશિયા, વિયેતનામ, આર્મેનિયા, બેલારુસ અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે.
સાઉદી અરેબિયાએ જાહેરાત કરી કે આ 16 દેશો ઉપરાંત જે સાઉદી નાગરિકો બિન-અરબ દેશોમાં મુસાફરી કરવા ઈચ્છે છે તેમની પાસે પાસપોર્ટ છ મહિનાથી વધુ સમય માટે માન્ય હોવો આવશ્યક છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે સાઉદી ગેઝેટ અનુસાર આરબ દેશોમાં મુસાફરી કરવા માટે પાસપોર્ટની માન્યતા ઓછામાં ઓછી ત્રણ મહિનાની હોવી જોઈએ.
સાઉદી અરેબિયાએ એવી પણ જાહેરાત કરી કે અન્ય ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (Gulf Cooperation Council – GCC) દેશોમાં મુસાફરી કરતા નાગરિકો પાસે ઓછામાં ઓછા ત્રણ મહિના માટે માન્ય રાષ્ટ્રીય ઓળખ કાર્ડ હોવું આવશ્યક છે. મુસાફરી માટે અસલ ઓળખ કાર્ડ અને ફેમિલી રજિસ્ટ્રી ફરજિયાત છે.
વધુમાં, સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયે લોકોને ખાતરી આપી છે કે દેશમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ મળ્યો નથી. નાયબ આરોગ્ય પ્રધાન અબ્દુલ્લા અસિરીએ કહ્યું છે કે સાઉદી અરેબિયા પાસે મંકીપોક્સના કોઈપણ શંકાસ્પદ કેસની દેખરેખ રાખવા અને તેને શોધવાની ક્ષમતા છે અને જો નવો કેસ બહાર આવે તો ચેપ સામે લડવા માટે પણ તૈયાર છે.
“અત્યાર સુધી, મનુષ્યો વચ્ચેના સંક્રમણના કિસ્સાઓ ખૂબ જ મર્યાદિત છે, અને તેથી જ કોઈપણ મહામારી ફાટી નીકળવાની સંભાવના ખૂબ ઓછી છે. આ સંભાવના એવા દેશો માટે પણ છે કે જ્યા આવા કેસ મળી આવ્યા છે,” તેમ તેમણે કહ્યું.
દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) એ 11 દેશોમાં મંકીપોક્સના 80 કેસોની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે મંકીપોક્સનો રોગ ફેલાવવા અંગે અને તેના કારણોને વધુ સારી રીતે સમજવા માટે કામ કરી રહ્યા છે.
શુક્રવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં, ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે વાયરસ ઘણા દેશોમાં અમુક પ્રાણીઓમાં જોવા મળ્યો છે, જે ફેલાવાને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓમાં પ્રસંગોપાત રોગચાળો ફાટી નીકળે છે.