સિક્કિમના નાકુ લામાં ઘુષણખોરીનો ચીનનો નિષ્ફળ પ્રયાસ, ઘર્ષણમાં 20 ચીની સૈનિકો ઘાયલ
પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ પર ચાલી રહેલા તણાવ વચ્ચે હવે સિક્કિમમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે ઘર્ષણના સમાચાર આવ્યા છે.
પૂર્વી લદ્દાખમાં લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલા તણાવ વચ્ચે હવે સિક્કિમમાં ભારત અને ચીની સૈન્ય વચ્ચે ઘર્ષણના સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગયા અઠવાડિયે નોર્થ સિક્કિમના નાકુ લા સેક્ટરમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલની સ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ચીન ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં હતું. આ પ્રયાસને ભારતના વીર જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઘર્ષણના કારણે બંને તરફના કેટલાક જવાન ઘાયલ થયા હતા. મળેલી માહિતી અનુસાર ગયા વર્ષે 9 મેના રોજ આજ સ્થળે ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ થયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગયા અઠવાડિયે ચીની સેનાએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતની વીર સેનાએ આ પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘર્ષણમાં ચીનના 20 સૈનિકો ઘાયલ થયા હતા. અને ભારતના ચાર જવાન ઘાયલ થયા હતા.
બેઠક યોજીને લવાયું નિરાકરણ
આ ઘર્ષણની ભારતીય સેના દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, સામાન્ય ઘર્ષણ થયું હતું. જેને અધિકારી કક્ષાએ બેઠક યોજીને આ ઘર્ષણનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું હતું.
15 કલાક ચાલી હતી વાટાઘાટો
આ સ્થળ પર હજુ પણ તણાવ બનેલો છે. પરંતુ હમણાં સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ભારત અને ચીન વચ્ચે આ ઘર્ષણ એવા સમયે થયું છે જ્યારે બંને દેશો વચ્ચે લશ્કરી વાટાઘાટનો નવમો રાઉન્ડ થયો છે. રવિવારે ભારત અને ચીન વચ્ચે લશ્કરી વાટાઘાટો લગભગ 15 કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન ભારતે ટૂંકમાં કહ્યું હતું કે મે મહિના ચીનને પહેલા જેવી યથાવત્ સ્થિતિમાં આવવું પડશે.
ગયા વર્ષે પણ થયું હતું ઘર્ષણ
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ નોર્થ સિક્કિમના નાકુ લા સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. સેનાના સૂત્રો કહે છે કે આ સમયગાળા દરમિયાન બંને દેશોના સૈનિકોએ ખૂબ આક્રમક વલણ અપનાવ્યું હતું. અને વાટાઘાટો બાદ મામલો થાળે પડ્યો હતો.