ભારતની ચિંતા વધી, શ્રીલંકાની મદદથી ચીન હિંદ મહાસાગરમાં તહેનાત કરશે બેલેસ્ટિક મિસાઇલ- સેટેલાઇટને ટ્રેક કરી શકે તેવું જહાજ
શ્રીલંકાએ માહિતી આપી છે કે ચીને અમને જાણ કરી છે કે તેઓ હિંદ મહાસાગરમાં દેખરેખ અને નેવિગેશન માટે તેમનું જહાજ મોકલી રહ્યાં છે.
અમેરિકાની સંસદના અધ્યક્ષ નેન્સી પેલોસીની (Nancy Pelosi) તાઈવાન મુલાકાત બાદથી ચીન (china) અમેરિકા પર ભડકી ઉઠ્યું છે અને ત્યારથી ચીન તાઈવાનને (Taiwan)ઘેરવામાં વ્યસ્ત છે. શ્રીલંકાના એક બંદરે જઈ રહેલા બેલેસ્ટિક મિસાઈલો (ballistic missile) અને ઉપગ્રહોને ટ્રેક કરવામાં સક્ષમ ચીનના જહાજને કારણે ભારતમાં સુરક્ષાની ચિંતા વધી છે. ચીનના આ પગલાથી ભારતને પણ ચિંતા થશે કારણ કે જો આ જહાજને હિંદ મહાસાગરના કોઈપણ ભાગમાં તૈનાત કરવામાં આવશે તો આ જહાજ ઓડિશાના દરિયાકાંઠે આવેલા વ્હીલર દ્વીપ પરથી ભારતના મિસાઈલ પરીક્ષણો પર નજર રાખી શકશે. યુઆન વાંગ જહાજ (Yuan Wang Ship) 11 અથવા 12 ઓગસ્ટના રોજ હમ્બનટોટા બંદર પર પહોંચવાની અપેક્ષા છે. આ જહાજ ઉપગ્રહ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોને ટ્રેક કરે છે. તેમાં 400 ક્રૂ મેમ્બર છે અને તે વિશાળ પેરાબોલિક ટ્રેકિંગ એન્ટેના અને વિવિધ સેન્સરથી સજ્જ છે.
ભારતીય બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણો પર નજર રાખીને ચીન ભારતીય મિસાઈલોના પ્રદર્શન અને તેની ચોક્કસ રેન્જ વિશે માહિતી મેળવી શકશે. શ્રીલંકાની સરકારે ન્યૂઝ ચેનલ એનડીટીવીને જણાવ્યું હતું કે તેઓ જહાજને ડોક કરવાની મંજૂરી આપશે કારણ કે તે બિન-પરમાણુ જહાજ છે. પરંતુ તે ભારતની ચિંતાઓથી વાકેફ છે. શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના મીડિયા પ્રવક્તા કર્નલ નલિન હેરાથે કહ્યું, “ચીને અમને જાણ કરી કે તેઓ હિંદ મહાસાગરમાં દેખરેખ અને નેવિગેશન માટે તેમનું જહાજ મોકલી રહ્યા છે.”
ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું કે તેઓ જહાજની ગતિ વિધી પર નજર રાખી રહ્યા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે સુરક્ષા અને આર્થિક હિતો ઉપર કોઈપણ અસરની બારીકાઈથી નજર રાખશે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં લેશે. આ જહાજ ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા નિયંત્રિત છે પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ લશ્કરી એપ્લિકેશન ધરાવે છે. તમને જણાવી દઈએ કે ચીને પણ તાઈવાન તરફ 11 મિસાઈલો છોડી છે અને તેમાંથી 5 જાપાનમાં પડી છે. જાપાને ચીનના આ પગલાંનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
શ્રીલંકામાં ચીનના વધતા પ્રભાવ અંગે ભારતને શંકા છે. 1.4 બિલિયન ડોલરના હમ્બનટોટા બંદર સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે શ્રીલંકા ઉપર ચીન પર મોટું દેવું છે. આથી શ્રીલંકા ચીનના દબાણ હેઠળ આ પ્રકારની મંજૂરી આપી હોઈ શકે છે.