નીરવ મોદી દ્વારા ભારત આવવાનું ટાળવાનો વધુ એક પ્રયાસ, બ્રિટિશ SCમાં અરજી
યુકેના (UK)ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીને ભારતમાં પ્રત્યાર્પણ કરવાના માર્ગમાં હજુ પણ ઘણી કાનૂની અડચણો છે. જોકે, ક્રિસમસની રજાઓને કારણે આ મામલો વધુ લટકી શકે છે.
ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીએ લંડન હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને યુકેની સુપ્રીમ કોર્ટમાં તેના ભારતમાં પ્રત્યાર્પણના આદેશ સામે અપીલ કરવાની પરવાનગી માંગી છે. લંડનની હાઈકોર્ટે તાજેતરમાં પંજાબ નેશનલ બેંક (PNB)ના લગભગ $2 બિલિયનના લોન કૌભાંડમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરવા માટે નીરવ મોદીને ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
નીરવ મોદી (51) હાલમાં લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. તેમની પાસે સામાન્ય જનતાના હિત સાથે સંબંધિત કાયદાના મુદ્દાના આધારે અપીલ દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય છે.
ભારત પ્રત્યાર્પણના માર્ગમાં અનેક અવરોધો
યુકેના ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાગેડુ બિઝનેસમેન નીરવ મોદીને ભારતમાં પ્રત્યાર્પણ કરવાના માર્ગમાં હજુ પણ ઘણી કાનૂની અડચણો છે. ભારતીય સત્તાવાળાઓ વતી કાર્ય કરતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) હવે નીરવની નવી અરજીનો જવાબ આપે તેવી અપેક્ષા છે, ત્યારબાદ હાઈકોર્ટના જજ લેખિત નિર્ણય આપશે.
ક્રિસમસની રજાઓને કારણે આ મામલો વધુ લટકી શકે છે. ન્યાયાધીશ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને ન્યાયાધીશ રોબર્ટ જેએ 9 નવેમ્બરે નીરવને ભારત પ્રત્યાર્પણ કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. મનોચિકિત્સકોના નિવેદનના આધારે, કોર્ટે કહ્યું હતું કે તેને નથી લાગતું કે નીરવની માનસિક સ્થિતિ અસ્થિર છે અને તેના આત્મહત્યાનું જોખમ એટલું વધારે છે કે તેને ભારત પ્રત્યાર્પણ કરવું એ અન્યાયી અને દમનકારી પગલું સાબિત થશે.
ચુકાદામાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે પ્રત્યાર્પણ બાદ મુંબઈની આર્થર રોડ જેલની બેરેક 12માં જ્યાં હીરાના વેપારી નીરવને રાખવામાં આવશે ત્યાં સુરક્ષાના પૂરતા પગલા લેવામાં આવ્યા છે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ ચુકાદા પછી કહ્યું હતું કે લંડન હાઈકોર્ટમાં નીરવ મોદી કેસની અંતિમ સુનાવણી દરમિયાન બે મનોચિકિત્સકોની જુબાની તેની નબળી માનસિક સ્થિતિની દલીલને નકારી કાઢવામાં નિર્ણાયક પુરવાર થઈ હતી અને તેના કારણે આ ભારતની તરફેણમાં ચુકાદો આવ્યો
નીરવ સામે કયા બે કેસ?
નીરવ મોદીને આ વર્ષે ફેબ્રુઆરીમાં ડિસ્ટ્રિક્ટ જજ સેમ ગોઝી દ્વારા વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના પ્રત્યાર્પણની તરફેણમાં આપેલા આદેશ સામે અપીલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. નીરવ સામે બે કેસ છે. એક PNB સાથે છેતરપિંડી કરીને લોન કરારો કરીને અને એમઓયુ મેળવીને મોટા પાયે બનાવટી સાથે સંબંધિત છે, જેની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જ્યારે, બીજો કેસ આ છેતરપિંડીમાંથી મેળવેલા કાળા નાણાંના લોન્ડરિંગ સાથે સંબંધિત છે, જેની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી રહી છે. નીરવ પર પુરાવાઓ ગાયબ કરવા અને સાક્ષીઓને ડરાવવાના બે વધારાના આરોપો પણ છે.