Bangladesh: નદીમાં મુસાફરોથી ભરેલી બોટ પલટી, 24ના મોત, અનેક લાપતા
Bangladesh: બચાવાયેલા મુસાફરો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બોડા, પંચપીર, મારિયા અને બંગરી વિસ્તારના હિન્દુ સમુદાયના લોકો મહાલયના અવસરે દેવી દુર્ગાની પૂજા કરવા માટે ઔલિયા ઘાટથી બડેશ્વર મંદિર તરફ જઈ રહ્યા હતા.
બાંગ્લાદેશના ( Bangladesh)ઉત્તરી જિલ્લા પંચગઢમાં રવિવારે કરતોયા નદીમાં(Karatoya River) એક હોડી (boat)પલટી જવાથી ઓછામાં ઓછા 24 લોકો ડૂબી ગયા હતા અને ઘણા લોકો ગુમ થયા હતા. આ બોટ દુર્ઘટના બોડા ઉપજિલ્લાના મારિયા યુનિયન કાઉન્સિલ હેઠળના ઓલિયાર ઘાટ વિસ્તારમાં થઈ હતી. બચાવાયેલા મુસાફરો અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બોડા, પંચપીર, મારિયા અને બંગરી વિસ્તારના હિન્દુ સમુદાયના લોકો મહાલયના અવસરે દેવી દુર્ગાની પૂજા કરવા માટે ઔલિયા ઘાટથી બડેશ્વર મંદિર તરફ જઈ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, હોડી તેની ક્ષમતા કરતા વધુ મુસાફરોને લઈ રહી હતી, જેના કારણે રવિવારે બપોરે કરતોયા નદીની વચ્ચે ગયા પછી હોડી પલટી ગઈ હતી. ઘણા મુસાફરો તરીને કિનારે પહોંચ્યા હોવા છતાં મોટાભાગના લોકો હજુ પણ લાપતા છે. માહિતી મળતા જ પંચગઢના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ ઝહુરુલ ઈસ્લામ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે બોટ મુસાફરોથી ભરેલી હોવાથી 24 લોકો ડૂબી ગયા. ઇસ્લામે કહ્યું, “અત્યાર સુધી જે મૃતદેહો મળી આવ્યા છે તેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.”
ગુમ થયેલા લોકોની શોધમાં પોલીસ
બીજી તરફ બોડા પોલીસ સ્ટેશનના પ્રભારી સુજોય કુમાર રોયે જણાવ્યું કે ગુમ થયેલા લોકોને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. બચાવી લેવાયેલા મુસાફરો અને સ્થાનિકોનો અંદાજ છે કે ગુમ થયેલા લોકોની સંખ્યા 30થી વધુ છે. ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. બોડા પેટા જિલ્લા આરોગ્ય અને કુટુંબ નિયોજન અધિકારી રાજીઉર રહેમાને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રિકવર કરાયેલા 24 મૃતદેહોમાંથી સાતને બોડા પેટા જિલ્લા આરોગ્ય સંકુલમાં રાખવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી ANI અનુસાર, નૌકાદળના અધિકારીઓએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં હજારો મધ્યમ અને નાના કદની નૌકાઓમાંથી 95%થી વધુ લઘુત્તમ સુરક્ષા ધોરણોને પૂર્ણ કરતી નથી. પરંતુ બાંગ્લાદેશમાં લાખો લોકો રાજધાની ઢાકા અથવા અન્ય મોટા શહેરોમાં જવા માટે બોટ અને ફેરી પર આધાર રાખે છે.
આ વર્ષની શરૂઆતમાં પણ, બાંગ્લાદેશની રાજધાની ઢાકાની બહાર એક કાર્ગો જહાજમાં પેસેન્જર ફેરી ઘૂસી જતાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા અને ઘણા ગુમ થયા હતા.