Afghanistan: કંધારની શિયા મસ્જિદ પર મોટો હુમલો, બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર મસ્જિદને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. કંધાર શહેરમાં આવેલી ઈમામ બારગાહ મસ્જિદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અત્યારસુધીમાં 16 લોકોના મોત થયા છે.
Afghanistan: અફઘાનિસ્તાનના કંધાર શહેરમાં (Kandahar City) સૌથી મોટી મસ્જિદને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. મસ્જિદની અંદર થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે અને 32થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ મસ્જિદ બીબી ફાતિમા મસ્જિદ અને ઈમામ બરગાહ તરીકે ઓળખાય છે. શુક્રવારે નમાઝના સમય દરમિયાન આ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
આંતકીઓએ આ મસ્જિદને બનાવી નિશાન
સામાન્ય રીતે નમાઝનો સમય હોવાથી મોટી સંખ્યામાં લોકો મસ્જિદમાં હાજર હતા,જેને કારણે વધુ લોકો આ ઘટનાનો ભોગ બન્યા હતા. અહેવાલો અનુસાર હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે. જો કે સત્તાવાર રીતે મૃત્યુઆંક હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
આ સિવાય કોઈ સંગઠને પણ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. બોમ્બ વિસ્ફોટ (Bomb Blast) પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તે આત્મઘાતી હુમલો હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે તાલિબાને 13 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંધાર પર કબજો કર્યો હતો.
શું હુમલા પાછળ ISIS-Kનો હાથ છે?
આ હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાન એટલે કે ISIS-K જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ વૈશ્વિક આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન(Afghanistan) સ્થિત શાખા છે. જે દેશના લઘુમતી શિયા મુસ્લિમોને સતત નિશાન બનાવી રહ્યુ છે.
અગાઉ આ જ રીતે શુક્રવારની નમાઝ દરમિયાન ઉત્તરી શહેર કુંદુરની એક મસ્જિદમાં બોમ્બ હુમલો થયો હતો. જેમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તેમજ ઈસ્લામિક સ્ટેટે(Islamic State) આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. ઓગસ્ટમાં અમેરિકી દળોને હટાવ્યા બાદ આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે.
કાબુલની મસ્જિદને પણ નિશાન બનાવવામાં આવી હતી
લગભગ બે સપ્તાહ પહેલા કુંદુઝ અને કંધારની મસ્જિદો પર હુમલા પહેલા કાબુલની એક મસ્જિદને પણ નિશાન બનાવવામાં આવી હતી. અહીં મસ્જિદના ગેટ પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા.
આ હુમલા પાછળ ઈસ્લામિક સ્ટેટને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે, જે તાલિબાનનો (Taliban) કટ્ટર દુશ્મન છે. કાબુલની આ મસ્જિદ પર હુમલો થયો ત્યારે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદની માતાની શોક સભા માટે મોટી સંખ્યામાં લોકો અહીં ભેગા થયા હતા.