Save Soil Movement: માટી બચાવવા સદગુરૂ જગ્ગી વાસુદેવની મહેનત રંગ લાવી, 72 દેશ જોડાયા અભિયાનમાં
સદગુરુ આ મહિનાના અંતમાં ગુજરાતના જામનગર પહોંચશે અને 25 દિવસમાં 9 રાજ્યોનો પ્રવાસ કરશે. માટી બચાવો અભિયાન યાત્રા કાવેરી નદીના તટપ્રદેશમાં પુરો થશે.
સદગુરુ જગ્ગી વાસુદેવે (Sadhguru Jaggi Vasudev) માર્ચ મહિનામાં 100 દિવસની 30,000 કિલોમીટરની મોટરસાઈકલ યાત્રા ‘જર્ની ટુ સેવ સોઈલ’ની શરૂઆત કરી હતી. સદગુરુએ તેમની મોટરસાઈકલ યાત્રાનું અડધું અંતર કાપ્યું છે. છેલ્લા 50 દિવસોમાં, સદગુરુએ મોટાભાગના યુરોપ, મધ્ય એશિયાના ભાગો તેમજ મધ્ય પૂર્વના ભાગોમાં પ્રવાસ કર્યો છે, માટી બચાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
તેમણે કહ્યું છે કે 52 ટકા ખેતીલાયક જમીન બગડી ગઈ છે. વિશ્વમાં માટી સંકટ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. તેમની મુલાકાત દરમિયાન સદગુરુ દરેક દેશના રાજકારણીઓ, માટી નિષ્ણાતો, નાગરિકો, મીડિયા વ્યક્તિઓ અને પ્રભાવકોને મળ્યા છે. આ બેઠકો દરમિયાન, સદગુરુએ જમીનની કટોકટીનો સામનો કરવાની તાત્કાલિક જરૂરિયાત વિશે જાગૃત કર્યા છે.
#SaveSoil : સદગુરૂ જગ્ગી વાસુદેવે ‘માટી બચાવો’ અભિયાન માટે લોકોને કર્યા જાગૃત, 72 દેશ માટી બચાવવા માટે કામ કરવા પર સહમત થયા . @SadhguruJV pic.twitter.com/0dAsCsoTcV
— Tv9 Gujarati (@tv9gujarati) May 25, 2022
માટી બચાવવા માટે 21 જૂન સુધી દેશમાં કરશે પ્રવાસ
માટી બચાવો અભિયાનથી (Save Soil Movement) બે અબજથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 72 દેશો માટી બચાવવા માટે કામ કરવા સંમત થયા છે. સદગુરુએ કહ્યું, “માટી આપણી મિલકત નથી, તે એક વારસો છે જે અગાઉની પેઢીઓથી આપણી પાસે આવી છે. આપણે તેને જીવંત માટીના રૂપમાં આવનારી પેઢીઓને આપવી જોઈએ.” હાલમાં સદગુરુ મધ્ય પૂર્વમાં છે. સદગુરુ મેના અંતમાં ભારત પહોંચશે અને 21 જૂન સુધી દેશમાં પ્રવાસ કરશે.
સદગુરૂ આ મહિનાના અંતમાં ગુજરાત પહોંચશે
સદગુરુ આ મહિનાના અંતમાં ગુજરાતના જામનગર પહોંચશે અને 25 દિવસમાં 9 રાજ્યોનો પ્રવાસ કરશે. માટી બચાવો અભિયાન યાત્રા કાવેરી નદીના તટપ્રદેશમાં પુરો થશે. અહીં સદગુરુએ કાવેરી કૉલિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 1 લાખ 25 હજાર ખેડૂતોએ માટી અને કાવેરી નદીને પુનર્જીવિત કરવા માટે 62 મિલિયન વૃક્ષો વાવ્યા છે.
‘માટી બચાવો અભિયાન’ના સમર્થનમાં આવી ઘણી મોટી હસ્તીઓ
‘Save Soil Movement’ની શરૂઆત ગયા મહિને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા કરવામાં આવી હતી. તેમના અભિયાનને ઘણી મોટી હસ્તીઓનું સમર્થન મળી રહ્યું છે. જેમાં સિંગર્સ, ખેલાડીઓ અને બોલિવૂડના ઘણા લોકો સામેલ છે. બોલિવૂડ સેલિબ્રિટીમાં કંગના રનૌત, આર માધવન, અનુપમ ખેર જેવા કલાકારોનો સમાવેશ થાય છે. બીજી તરફ જો ખેલાડીઓની વાત કરીએ તો હરભજન સિંહ, મેથ્યુ હેડન, વિવિયન રિચર્ડ્સ અને એબી ડી વિલિયર્સ જેવા ક્રિકેટરો પણ માટીના વિનાશ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને ‘માટી બચાવો’ના સમર્થનમાં આગળ આવ્યા છે.