અફઘાનિસ્તાનના કાબૂલ અને મઝાર-એ-શરીફમાં 4 બ્લાસ્ટ, 16થી વધુના મોત
Afghanistan તાલિબાનના એક અધિકારીનું કહેવું છે કે કાબુલની(Kabul) એક મસ્જિદની અંદર વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. આ વિસ્ફોટકોને કારણે આશરે 11 થી 16 લોકોના મોત થયાં હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે.
અફઘાનિસ્તાનમાં (Afghanistan) ફરી એકવાર બ્લાસ્ટ થયા છે. બુધવારે અફઘાનિસ્તાનના કાબુલમાં (Kabul) એક વિસ્ફોટ થયો હતો, જ્યારે મઝાર-એ-શરીફ શહેરમાં ત્રણ (Blast) વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 16થી વધુ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થયા છે . એક બ્લાસ્ટ કાબુલની મસ્જિદમાં થયો હતો. જ્યારે મઝાર-એ-શરીફ શહેરમાં પેસેન્જર બસોમાં બોમ્બ ધ઼ડાકા થયા હતા. આ વિસ્ફોટ બાદ શહેરોમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે.
આ બોમ્બ વિસ્ફોટ થયા બાદ કાબુલ કમાન્ડરના પ્રવક્તાએ માહિતી આપી છે કે કાબુલમાં મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તે જ સમયે, સમાચાર એજન્સી રોયટર્સે ઇમરજન્સી હોસ્પિટલના અહેવાલને ટાંકીને કહ્યું હતું કે હોસ્પિટલનું કહેવું છે કે તેમને 5 લોકોના મૃતદેહ મળ્યા છે. તેમજ વિસ્ફોટમાં ઇજા પામેલા 12થી વધુ લોકો હોસ્પિટલ પહોંચ્યા છે. વિસ્ફોટની માહિતી પ્રાપ્ત થયા બાદ પોલીસે વિસ્ફોટના સ્થળે પહોંચીને રાહત અભિયાનની શરૂઆત કરી છે.
કાબુલની મસ્જિદની અંદર મૂકવામાં આવ્યા હતા વિસ્ફોટક
ધડાકા અંગે તાલિબાનના એક અધિકારીનું કહેવું છે કે મસ્જિદની અંદર વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. જેમાં લગભગ 11 લોકોનાં મોત થયાં છે. આ સિવાય મઝાર-એ-શરીફ શહેરમાં ફરીથી વિસ્ફોટ થયા હતા. શહેરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયાં છે. તેમજ 15 લોકો ઘાયલ થયા છે. બલ્ખ પ્રાંતના કમાન્ડરના પ્રવક્તા મોહમ્મદ આસિફ વજેરીએ રોયટર્સને આ માહિતી આપી હતી.
હજુ સુધી કોઈ જૂથે વિસ્ફોટની જવાબદારી લીધી નથી
વિસ્ફોટ બાદ હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ ધડાકાની જવાબદારી લીધી નથી. પ્રવક્તાએ માહિતી આપી છે કે મઝાર-એ-શરીફ શહેરમાં ત્રણ મિની બસોમાં બોમ્બ છુપાવવામાં આવ્યા હતા. આ બોમ્બ શહેરના અલગ-અલગ જિલ્લામાં પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટોમાં લગભગ 15 લોકો ઘાયલ થયા છે.
રમઝાન માસમાં પણ થયા હતા હુમલા
ગત મહિને અહીં રમઝાન માસમાં પણ હુમલા થયા હતા. ગયા મહિને રમઝાન માસ દરમિયાન અફઘાનિસ્તાનના કાબુલમાં હુમલા થયા હતા. આ ધડાકાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ દ્વારા(IS) લેવામાં આવી હતી. જેમાં ઘણા લોકોનાં મોત થયાં હતાં. 29 એપ્રિલે કાબુલમાં સુન્ની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા. આ પહેલા 21 એપ્રિલે મઝાર-એ-શરીફની એક મસ્જિદ પર થયેલા હુમલામાં 12 લોકો માર્યાં ગયા હતા
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પરત ફર્યા બાદ તથા તાલિબાન સત્તા પર આવ્યા પછી દેશમાં અરાજકતા ચરમસીમાએ પહોંચી ગઈ હતી. છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં અલગ-અલગ જગ્યાએ અનેક વિસ્ફોટો અને હુમલાઓ થયા છે.