કોરોના, મ્યુકરમાઈકોસીસ બાદ હવે ચિકનગુનિયાના વધતા કેસ, કેવી રીતે કરશો ચિકનગુનિયાનો ઘરેલુ ઉપચાર ?
કોરોના ( Corona ) અને મ્યુકરમાઈકોસીસ ( mucormycosis ) બાદ હવે, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ચિકનગુનિયાથી ( Chikungunya ) પીડાતા દર્દીઓનું પ્રમાણ જોવા મળી રહ્યુ છે. ચિકનગુનિયાના રોગની સારવાર માટે ઘરેલુ તેમજ આયુર્વેદિક ઉપચાર પણ શક્ય છે.
ગુજરાતમાં કોરોનાની મહામારીની ( epidemic of corona ) સાથે સાથે ચિકનગુનિયાની ( Chikungunya )બિમારીના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ચિકનગુનિયાથી પીડાતા દર્દીઓનું પ્રમાણ જોવા મળી રહ્યુ છે. ચિકનગુનિયાના રોગની સારવાર માટે ઘરેલુ તેમજ આયુર્વેદિક ઉપચાર પણ શક્ય છે. પરંતુ જો આ પ્રકારની સારવારથી બે કે ત્રણ દિવસમાં ફેર ના પડે તો આવા દર્દીઓ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ અને તેમના દ્વારા આપવામાં આવેલી દવાનું સેવન કરવુ જોઈએ.
ચિકન ગુનીયાના લક્ષણો ચિકનગુનિયામાં સતત તાવ આવવો, સાંધામાં દુખાવો થવો, ભુખ ન લાગવી, એકાએક વાયરલ લોડ વધી જવાથી ઉલટી થવી, શરીર પર ચાઠા પડવા જેવા લક્ષણો મુખ્યત્વે જોવા મળતા હોય છે.
ચિકન ગુનીયાથી બચવા માટેના ઘરેલુ ઉપાય
સૂંઠ, આદુનો પાવડર સૂંઠ મોટાભાગે દરેક રસોડામાં જોવા મળે છે અડધા અથવા એક ગ્રામ જેટલા સૂંઠના પાવડરનું દિવસમાં ત્રણ વખત સેવન કરવામાં આવે તો ચિકનગુનીયા જેવા રોગમાં તે અસરકારક નિવડે છે. સૂંઠ નો પાઉડર સાંધાના દુખાવા મટાડવા ઘણો ઉપયોગી છે તેમજ તેનાથી ભૂખ પણ વધુ લાગે છે. જેના શરીરની તાસીર ગરમ હોય અને પીત પ્રકૃતિ હોય એટલે કે શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોય તેવા વ્યક્તિઓએ સૂંઠને દુધમાં નાંખીને પીવું જોઇએ.
ગીલોય ગીલોય દરેક પ્રકારના વાયરલ ફ્લુમાં ખૂબ જ અસરકારક નિવડે છે. વાયરલ પેથોલોજીમાં ગીલોયનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગીલોયના વિવિધ પ્રકારો જેવા કે ગીલોય ચૂર્ણ, ગીલોયની સંસમની વટી, ગીલોયના ક્વાથ જે બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.આ ગીલોયનુ સેવન દિવસમાં ૩ થી ૫ વખત કરી શકાય છે.
ગંઠોડા ગંઠોડાના ચૂર્ણને પણ એક ગ્રામ જેટલી માત્રામાં દિવસમાં ત્રણ વખત પાણી સાથે લઇ શકાય છે.વૈધની સલાહ મૂજબ તેને ભૂખ્યા પેટે જ લેવું જોઇએ. ગરમ તાસીર ધરાવતા વ્યક્તિએ આ તમામ ઔષધિઓ દૂધ સાથે લેવાનો આગ્રહ રાખવો જોઇએ.
લીમડો અને હળદર લીમડો અને હળદર શરીરમાં ચામડીને લગતા રોગો માટે આયુર્વેદમાં શ્રેષ્ઠતમ માનવામાં આવે છે. લીમડા અને હળદરના મિશ્રણનો લેપ ચામડીના ગમે તે પ્રકારના રોગમાં ઘણું ઉપયોગી નિવડે છે.
શરીરમાં વધુ પડતા ચાઠા જોવા મળે ત્યારે બહુઉપયોગી લીમડા અને હળદરના મિશ્રણનો લેપ લગાવી શકાય છે. ચાઠા પડ્યા હોય ત્યાં બળતરા થતી હોય ત્યારે ફક્ત લીમળાનો ઉપયોગ કરવો હિતાવહ છે. બળતરા વધુ થતી હોય ત્યારે શુધ્ધ ઘીનો લેપ પણ લગાવી શકાય છે. નારીયેળના તેલમાં કપૂર નાખીને પણ તેનો લેપ લગાવી શકાય.
ધતૂરા, એરંડી, અને આર્કના પાંદડા બાહ્ય ઉપચારમાં સર્વત્ર ઉપલ્બધ એવા ધતૂરા, એરંડી અથવા આર્કના પાંદડાનો ઉપયોગ કરી શકાય. શરીરમાં કપાઇ ગયેલા કોઇ ભાગ ઉપર આવા પાંદડા નો ઉપયોગ કરવો નહીં. તેલ લગાવીને ગરમ કરીને જે ભાગના સાંધામાં પીડા થતી હોય તે ભાગમાં બાંધી શકાય તે વેદના નાશક તરીકે કામ કરે છે. ચાઠા પડ્યા હોય તે જગ્યાએ આ પાંદડાનો ઉપયોગ કરવો નહીં.
આ સિવાય બજારમાં ઉપલબ્ધ સંશમની વટી, યોગરાજ ગુગલુ, સંજીવની વટી, અશ્વગંધા ચૂર્ણ અને અશ્વગંધારીષ્ટનો ઉપયોગ કરી શકાય. દશમૂલ, અમૃતાદી, રાસ્નાદિ, પથ્યાદી ક્વાથ, ઉકાળાના સેવન દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તેમજ વિવિધ રોગનાશક તરીકે પણ ઉપયોગી નિવડે છે.
શું ખાવુ ? શું ન ખાવુ ? ચિકનગુનીયા ના લક્ષણો ઘરાવતા દર્દીએ ઠંડી વસ્તુઓ જેવી કે દહી, છાંસ, ખાટી વસ્તુઓ, કોલ્ડ્રીંક અને ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, મેંદાનુ સેવન અટકાવવું જોઇએ. તેની જગ્યાએ લસણ, ડુંગરી , હળદર, મેથી , ચોખા, આદુ, મૂળીનું સેવન કરવું જોઇએ. તેમજ આ પ્રકારના દર્દીએ પાણી પણ સતત ઉકાળીને જ પીવું જોઇએ. દિવસમાં ઊંઘવું નહીં અને રાત્રે ઉજાગરા કરવા નહી.
સરકારે એવુ પણ જણાવ્યુ છે કે જો બે થી ત્રણ દિવસમાં ઘરેલું ઉપચારથી ચિકનગુનીયામા કોઈ ફાયદો ન જણાય તો સરકારી આયુર્વેદિક ઓષધાલયનો સંપર્ક કરીને વૈધની સલાહ લેવી જોઇએ.
નોંધ:- આ સમાચાર માત્ર જાણકારી માટે છે. કોઈ પણ રોગ બાબતે તમારા ફેમિલી ડોકટર કે નિષ્ણાંત ડોકટરનો સંપર્ક જરૂર કરવો.