Mucormycosis: રોગ કરતાં તેના ડરથી લોકો વધુ પીડિત, મ્યુકરમાઇકોસીસની ભીતીથી આંખના નિષ્ણાંતોને ત્યાં લોકોનો ધસારો વધ્યો
કોરોનાની બીજી લહેર ઓસરવા આવી છે, ત્યાં જ મ્યુકરમાઇકોસીસના કેસો વધતા સરકારની સાથે લોકોની ચિંતા પણ વધી છે.
એક તરફ કોરોનાનો (Corona) હાઉ ઓછો નથી થયો ત્યાં હવે મ્યુકરમાઇકોસીસે (Mucormycosis) માથું ઊંચક્યું છે. રોજેરોજ વધતા દર્દીઓ અને મોતના આંકડા વાંચીને લોકોના દિલોદિમાગ પર તેની અસર પડી છે.
કોરોનાની બીજી લહેર ઓસરવા આવી છે, ત્યાં જ મ્યુકરમાઇકોસીસના કેસો વધતા સરકારની સાથે લોકોની ચિંતા પણ વધી છે. પહેલા કોરોનાથી બચવા માટે શું કરવું તેની પળોજણમાં રહ્યા અને કોરોનાથી સાજા થયા બાદ હવે મ્યુકરમાઇકોસીસથી કેવી રીતે દૂર રહેવું તેની મૂંઝવણ લોકોને સતાવી રહી છે.
આ બધાની વચ્ચે આંખના નિષ્ણાંતો પાસે હવે સાવચેતીના ભાગરૂપે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મ્યુકરમાઇકોસીસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યાં આંખની જરા અમથી તકલીફ પણ લોકોને આ બીમારી તો નથી થઈને તેવો ડર ઉભો કર્યો છે.
સુરતના જાણીતા આંખ રોગના નિષ્ણાંત ડો. મહેન્દ્ર ચૌહાણ જણાવે છે કે, જરા પણ આંખમાં લાલાશ કે બળતરા જેવી તકલીફ હોય તો દર્દી પોતાને મ્યુકરમાઇકોસીસ થયો છે કે નહીં તેવી ભીતિ સાથે તેમની પાસે આવી રહ્યા છે. જોકે આ બિનજરૂરી ભય છે અને લોકોને તેનાથી દુર રહેવાની અપીલ પણ તેમણે કરી છે.
આ રોગ ચેપી નહિ હોવા પર તેમણે ખાસ ભાર પણ મુક્યો છે. એટલું જ નહીં તેમણે લોકોને એ રીતે પણ ચેતવ્યા છે કે કોરોના ના થયો હોય તેવા લોકોને પણ આ રોગ થઈ શકે છે. પણ લક્ષણો જણાય તો તેમણે તાત્કાલિક ડોકટરનો સંપર્ક સાધવા જણાવ્યું છે.
કોરોનાની જેમ મ્યુકરમાઇકોસીસની બીમારીમાં પણ જેટલી વહેલી તકે નિદાન થાય તેટલી તેની અસરથી જલ્દી બચી શકાય તેવું તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના હોય કે મ્યુકરમાઇકોસીસ આ બંને બીમારીઓમાં જેટલા દર્દીઓ નોંધાઇ રહ્યા છે તેટલી જ અસર લોકોના માનસ પર પણ થઈ છે. પરંતુ તેનાથી ડરવાની જગ્યાએ આ બીમારીથી સાવચેત કેવી રીતે રહેવું તે જરૂરી છે.
મ્યુકરમાઇકોસીસથી બચવા માટે આંખ, નાક, કાન અને ગળાની યોગ્ય કાળજી રાખવી, માસ્કની યોગ્ય સફાઈ કરવી, પ્રાણાયામ અને યોગા કરવા જેવી બાબતોને આદત બનાવવી જોઈએ.