ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક, વિચારવાની ક્ષમતા અને યાદશક્તિ પર અસર થઇ શકે છે
એક સંશોધનમાં સામે આવ્યુ છે કે બાળકોથી લઇને વૃદ્ધો સુધીના તમામ માટે પુરતી ઊંઘ લેવી ખૂબ જ જરુરી છે. ઊંઘ ન આવવાની સીધી અસર મગજ પર થાય છે.
કોઇપણ વ્યક્તિના સારા સ્વાસ્થ્ય(Health) માટે પુરતી ઊંઘ(Sleep) ખૂબ જ જરુરી છે. એક રિસર્ચ(Research)માં દાવો કરવામાં આવ્યો છે કે જરૂરિયાત કરતાં ઓછી અને વધુ ઊંઘ બંને સ્વાસ્થ્ય(Health) માટે સારી નથી. ઓછી ઊંઘ લેતા લોકોમાં વિચારવાની અને સમજવાની ક્ષમતા ઘટી જાય છે. કારણકે ઓછી ઊંઘની સીધી અસર મગજ(Brain) પર થાય છે.
ઓછી ઊંઘની અસર સીધી મગજની કોશિકાઓમાં થાય છે. ઓછી ઊંઘના કારણે વ્યક્તિ થાક અનુભવે છે અને કોઇપણ કામમાં પોતાનું મન પરોવી શકતો નથી. વિચારવાની અને સમજવાની શક્તિ ઓછી થઇ જતા કોઇપણ કામ યોગ્ય રીતે કરી શકતો નથી
પુરતી ઊંઘ જરુરી કોઇપણ વ્યક્તિએ સાત કલાકથી વધુ ઊંઘ લેવી ખૂબ જ જરુરી છે. સંશોધકોનું કહેવું છે કે, જો તમને 8 કલાકની ઊંઘ આવી રહી હોય અને 30 મિનિટ વહેલા એલાર્મ સેટ કરો તો સાડા સાત કલાકની ઊંઘ મગજ પર સકારાત્મક અસર કરે છે. અને અલ્ઝાઈમર રોગનું જોખમ ઘટાડે છે. મહત્વનું છે કે અલ્ઝાઇમર રોગમાં વ્યક્તિને ભુલવાની બીમારી થાય છે.
વૃદ્ધો પર રિસર્ચ 75 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા 100 વૃદ્ધ લોકો પર એક રિસર્ચ કરવામાં આવ્યુ હતુ. જે માટે, આ વૃદ્ધોના કપાળ પર એક નાનું મોનિટર બાંધવામાં આવ્યું હતું. આ વૃદ્ધોની ઊંઘ દરમિયાન મગજની ગતિવિધિનો પ્રકાર મોનિટર વડે ચેક કરવામાં આવ્યો હતો. સરેરાશ સાડા ચાર વર્ષ સુધી ચાલેલા આ રિસર્ચમાં જાણવા મળ્યું કે ઓછી ઊંઘથી તેમના મગજની પ્રવૃત્તિ પર અસર પડે છે.
અલ્ઝાઇમર માટે ખાસ પ્રોટિન જવાબદાર
દર્દીઓમાં ભુલવાની બીમારી એટલે કે અલ્ઝાઈમર રોગ માટે એક ખાસ પ્રકારનું પ્રોટીન જવાબદાર છે. સંશોધનમાં સામેલ વૃદ્ધોના મગજના સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહીમાં તે પ્રોટીનનું સ્તર માપવામાં આવ્યુ. જે દર્દીઓ દરરોજ રાત્રે લગભગ 7.5 કલાક સૂતા હતા તેમના જ્ઞાનાત્મક સ્કોર વધુ સારા મળ્યા. તે જ સમયે, જે લોકો દિવસમાં 5 અથવા સાડા પાંચ કલાક ઊંઘતા હતા તેમનામાં આ સ્કોર ઓછો મળ્યો છે.
બાળકોમાં ઓછી ઊંઘની અસર વૃદ્ધોની જેમ બાળકોએ પણ ઓછામાં ઓછા 8થી 9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. કેટલાક બાળ તબીબોના જણાવ્યા અનુસાર 9 કલાકથી ઓછી ઊંઘના કારણે બાળકોના વિકાસ પર અસર થાય છે. બાળકોની સમજશક્તિ પર પણ તેની અસર દેખાય છે.
ઓછી ઊંઘનું અલ્ઝાઈમર સાથે કનેક્શન અગાઉના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે અલ્ઝાઈમર એટલે કે ભુલવાની બીમારીનું અડધી ઊંઘ સાથે જોડાણ છે. અલ્ઝાઈમરના લક્ષણોમાં યાદશક્તિમાં ઓછી થઇ જવી, નાની નાની બાબતોમાં મૂંઝવણ અનુભવવી અને નવી વસ્તુઓ સમજવામાં વિલંબ થવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેનાથી બચવા માટે ઓછામાં ઓછી સાડા સાત કલાકની ઊંઘ લેવી જ જોઈએ. જેથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી ન થાય.
શું છે પુરતી ઊંઘ માટેનો ઉપાય? રાત્રે ઊંઘ ન આવે તો ઊંડા શ્વાસ લેવાની પદ્ધતિ અપનાવી શકાય છે. રોજ પ્રાણાયામ કરવાથી પણ ઝડપથી ઊંઘ આવવા લાગે છે. કોઇ શાંત જગ્યાએ આરામદાયક સ્થિતિમાં બેસીને અથવા સૂઈ જઇને પ્રાણાયામ કરવાથી ઘણો લાભ થાય છે.
ઊંઘ માટે યોગ્ય આહાર વૈજ્ઞાનિકોના તાજેતરના સંશોધનમાં એ સાબિત થયું છે કે હુંફાળુ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. ચીનના નેશનલ નેચરલ સાયન્સ ફાઉન્ડેશનના સંશોધનમાં જાણવા મળ્યું છે કે દૂધમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ જોવા મળે છે. દૂધમાં પેપ્ટાઈડ કેસિન હાઈડ્રોલાઈઝેટ પણ જોવા મળે છે, જે તણાવ ઘટાડે છે અને ઊંઘ સુધારે છે. આ બંને વસ્તુઓ મળીને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
આ પણ વાંચોઃ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વતનમાં શોભાયાત્રા દરમ્યાન કરી તલવારબાજી, વિડીયો થયો વાયરલ
આ પણ વાંચોઃ T20 World Cup: આ બોલરોએ બેટ્સમેનોની ધમાલ વચ્ચે કમાયુ નામ, વિકેટોની લગાવી દીધી લાઇન, જાણો કોણ છે આગળ