Health : સંધિવાની અસર ઓછી કરવા લસણનો ઉપયોગ આ પાંચ રીતે અજમાવી જુઓ
રાત્રે સૂતા પહેલા શેકેલા લસણનું (Garlic ) સેવન કરવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બળતરા વધારતા તત્વોમાં ઘટાડો થાય છે.
સંધિવા (Arthritis )એ એક રોગ છે જેમાં લોકો સાંધાના દુખાવા અને સોજાથી પરેશાન રહે છે. આ સમસ્યા ઉંમર (Age )સાથે ઘણી વધવા લાગે છે. આવી સ્થિતિમાં, દર્દીએ પહેલા તબીબી સારવાર લેવી જોઈએ અને બીજું તેણે તેની જીવનશૈલી સુધારવી જોઈએ. દાખલા તરીકે, ડાયેટમાં તમે તે વસ્તુઓનો સમાવેશ કરો જે સંધિવાનો દુખાવો ઘટાડે છે. આવી જ એક વસ્તુ છે લસણ. આર્થરાઈટીસમાં તેનું સેવન ફાયદાકારક છે. આ ઉપરાંત, તે સંધિવા માટે પણ એક શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર છે. તો ચાલો તમને જણાવીએ કે સંધિવાની અસર ઓછી કરવા લસણનો ઉપયોગ કેવી રીતે કરવો.
સંધિવામાં લસણનો ઉપયોગ કરવાની 5 રીતો
1. રોજ ખાલી પેટે લસણની એક કળી ખાઓ
આર્થરાઈટિસમાં લસણ ખાવાના ઘણા ફાયદા છે. તે બળતરા વિરોધી ગુણધર્મોથી ભરપૂર છે. જેથી તે પીડા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તે શરીરની પ્રો-ઇન્ફ્લેમેટરી સાઇટોકીન્સની અસરને પણ મર્યાદિત કરે છે. જેના કારણે, લસણ બળતરા સામે લડવામાં અને સંધિવાને કારણે સ્નાયુઓને થતા નુકસાનને રોકવામાં મદદ કરી શકે છે. તેથી, દરરોજ ખાલી પેટે લસણની એક કળી ખાવાથી હાડકાંમાં ટિશ્યુને થતા નુકસાનને અટકાવી શકાય છે અને સંધિવાની અસર ઓછી થાય છે.
2. લસણનું તેલ લગાવો
લસણનું તેલ હંમેશા હાડકાં માટે અસરકારક રહ્યું છે. તે બે રીતે કામ કરે છે. તમે લસણના તેલને દુખાવાની જગ્યા પર લગાવી શકો છો, જેનાથી તે દુખાવો ઓછો કરવામાં મદદ કરી શકે છે. બીજું કે તે તમારા હાડકાં વચ્ચેના ઘસારાને ઘટાડી શકે છે, જે પણ સંધિવાની સમસ્યાને ઘટાડવામાં મદદરૂપ છે.
3. લસણની પેસ્ટ લગાવો
લસણની પેસ્ટ પીડાને દૂર કરી શકે છે અને ગંભીર પીડામાંથી રાહત આપે છે. આ માટે તમારે ફક્ત લસણને પીસીને તેમાં હળદર ઉમેરીને પેસ્ટ બનાવવાની છે. હવે લસણની પેસ્ટમાં સરસવનું તેલ ઉમેરો અને તેને થોડું ગરમ કરો. હવે તેને દુખાવાની જગ્યા પર સારી રીતે લગાવો. જ્યાં સુધી દુખાવો ઓછો ન થાય ત્યાં સુધી તેને તેમ જ રહેવા દો અને 1 કલાક પછી તેને સાફ કરી લો.
4. રાત્રે સૂતા પહેલા શેકેલું લસણ ખાઓ
રાત્રે સૂતા પહેલા શેકેલા લસણનું સેવન કરવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને બળતરા વધારતા તત્વોમાં ઘટાડો થાય છે. તે બળતરા વિરોધી ગુણધર્મ ધરાવે છે, જેથી લસણ પીડા અને સોજો ઘટાડી શકે છે. આ નિયમિત રીતે કરવાથી સંધિવાના દુખાવામાં રાહત મળે છે.
5. લસણનું દૂધ પીવો
લસણનું દૂધ પીવાના ઘણા ફાયદા છે, જેનાથી દુખાવામાંથી રાહત મળે છે. દરરોજ 1 ગ્લાસ લસણનું દૂધ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય જ છે, પણ સાથે સાથે તે શરીરમાં બળતરા અને પીડાને પણ અટકાવે છે. તેથી, જો તમને સંધિવાની સમસ્યા હોય તો 1 ગ્લાસ દૂધ લસણ સાથે લો, દૂધને એક તપેલીમાં નાંખો, તેમાં લસણની થોડી કળી નાખીને સારી રીતે ઉકાળો. તે પછી તેનું સેવન કરો. આ રીતે, આર્થરાઈટીસના દર્દીઓ માટે લસણ ખુબ જ ઉપયોગી થઈ શકે છે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)