World Theatre Day 2021: વિશ્વ રંગભૂમિ દિવસે ભવાઈ મંડળીની સરકાર પાસે સહાય માટે ગુહાર
27 March World Theatre Day 2021: આજે 27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ પરંતુ ધીમે ધીમે કલાના ક્ષેત્રમાંથી રંગભૂમિની રોનક અને ભવાઈના ભૂંગળ સહિતની કલા નેસ્ત નાબુદ થઈ રહી છે. ભૂલાઈ રહેલી ભવાઈથી ગુજરાતના અનેક અદના કલાકારોને રોજીરોટીના ફાંફા છે.
27 March World Theatre Day 2021: આજે 27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ પરંતુ ધીમે ધીમે કલાના ક્ષેત્રમાંથી રંગભૂમિની રોનક અને ભવાઈના ભૂંગળ સહિતની કલા નેસ્ત નાબુદ થઈ રહી છે. ભૂલાઈ રહેલી ભવાઈથી ગુજરાતના અનેક અદના કલાકારોને રોજીરોટીના ફાંફા છે. ત્યારે વિસરાઈ રહેલી ભવાઈની ભવ્ય વિરાસતને બચાવવા માટે ઝાલાવાડના કલાકારો પરસેવો પાડી રહ્યા છે. આજે વિશ્વ રંગભૂમિ દિવસ ભવાઈ લોકકલા લુપ્ત થવાના આરે છે અને ડીજિટલ યુગમાં જુની કલા લુપ્ત થતી જાય છે અને જુની ભવાઈ મંડળીઓને જીવંત દાન મળે અને કલા સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે સરકાર ભવાઈ મંડળીઓને સરકારી કાર્યક્રમ આપીને કે સહાય આપે તેવી ભવાઈ મંડળીઓની માંગ છે.
શું કહે છે કલાકારો? બે રુપિયામાં કોઈની બાયડી બની નાચવુ પડે એ અમારી મજબુરી છે. નહીંતર આ ધંધામાં હવે પેલા જેવી મજા નથી. પહેલા અમારી ભવાઈ અને ભવૈયાની પ્રતિષ્ઠા હતી. ગામલોકો સામેથી ભવાઈ ભજવવા બોલાવતા, પ્રેમથી રાખતા,જમાડતા પણ હવે જમાનો બદલાયો છે. ટી.વી, સિનેમા અને ઈન્ટરનેટ આવતા ભવાઈ સાવ ભુલાતી જાય છે. હવે કોઈને ભવાઈ જોવી ગમતી નથી.
વિવિધ લોકનાટ્યના પ્રકારો: હાલ આધુનિક યુગ ઈન્ટરનેટના પ્રતાપે દુનિયા આંગળીના ટેરવામાં સમાઈ ગઈ છે. મનોરંજન હાથવગુ બની ગયુ છે. પરંતુ એક એવો સમય હતો કે મનોરંજન માટે ભવાઈ એક જ માધ્યમ હતુ. આપણા દેશમાં દરેક પ્રાંતમાં પોતાના લોકનૃત્ય અને લોકનાટ્યના વિશિષ્ટ તળપદા પ્રકારો જોવા મળે છે. આંધ્રપ્રદેશમાં પક્ષગાન,મહારાષ્ટ્રમાં તમાશા, બંગાળ અને બિહારમાં જાતરા, હરિયાણા અને પંજાબમાં સ્વાંગ, ઉતરપ્રદેશમાં નૌટંકી,તમિલનાડુમાં તેરુકુટુ,મધ્ય ભારતમાં માચ અને ગુજરાતમાં ભવાઈ.
ઈતિહાસ: ભવાઈનો ઈતિહાસ ખુબ જ જુનો છે. ભવાઈની વાત આવે એટલે તેના રચયિતા અસાઈત ઠાકર યાદ આવે. ભવાઈનો વેશ રચનાર અસાઈત ઠાકર 14મી સદીમાં થઈ ગયા. તેમને રીવાજ અને લોકજાગૃતિ માટે 360 વેશો રચ્યા હતા. જેમાં પુરબીયો,કાનગોપી, જુઠણ, લાલબટાઉ,જોગી જોગણ, જસમા ઓડણ,વણઝારાનો વેશ, મણીયારોના વેશો જાણીતા છે.
મોહનદાસને મહાત્મા બનાવવામાં ભવાઈનો ફાળો: ભવાઈમાં બધા પાત્રો પુરુષો દ્વારા જ ભજવાય છે. સ્ત્રીનું પાત્ર પણ પુરુષ જ ભજવે છે. ભવાઈનું પાત્ર ભજવનારને કયારેય માઈકની જરુર પડતી નથી. બુલંદ અવાજે તેઓ ભવાઈ ભજવતા. ગામમાં ભૂંગળનો અવાજ સાંભળીને ગામ લોકો ભવાઈ જોવા ભેગા થઈ જતા. ભવાઈમાં ભૂંગળ, તબલા, વાજા પેટી અને ઝાંઝનો જ તાલ લેવાતો. ભવાઈ એ તો ગુજરાતી રંગભૂમિ અને નાટકોની ગંગોત્રી છે. જ્યારે આધુનિક યુગ નહોતો, ત્યારે મનોરંજનની સાથે સાથે લોકશિક્ષણનું પણ કાર્ય કર્યુ છે.
મોહનદાસને મહાત્મા બનાવવામાં ભવાઈનો ફાળો રહેલો છે. મહાત્મા ગાંધી સત્યના પ્રયોગોમાં લખે છે કે મને સત્ય બોલવાની પ્રેરણા રાજા હરિશ્ચંદ્રના નાટક જોઈને મળી હતી. ભવાઈએ નાટકો અને રંગભૂમિને સારા કાલાકારો પુરા પાડ્યા છે. ત્યારે વિસરાતી જતી આવી કળાને બચાવવા ભવાઈ મંડળના કલાકારો મથામણ કરી રહ્યા છે.
મહાકાળી ભવાઈ મંડળ બાળા (નળીયા)ના કલાકારો કનુભાઈ,મનહરભાઈ,જીતુભાઈ,વસંતભાઈ,ભરતભાઈ,ખોડુભાઈ વગેરે જુના સંસ્મરણો વાગોળતા કહે છે કે પહેલા અમે જ્યારે ભવાઈ ભજવવા ગામડાઓમાં જતા ત્યારે અમારુ ઢોલ નગારા લઈને સ્વાગત કરતા હતા અને અત્યારે!વિચરતા સમુદાય સમર્થન મંચ અને સુરેન્દ્રનગર જીલ્લા ભવૈયા સમાજ સંગઠનના આગેવાન હર્ષદ કે.વ્યાસ જણાવે છે કે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ઘણી બધી સંસ્થાઓના પ્રયત્નોથી મોરારીબાપુની રામકથામાં,દિલ્હી ઓલિમ્પિક થિયેટરમાં,સોમનાથ અનુરાધાબેન પૌડવાલની હાજરીમાં, MTV માં,દુરદર્શન અને વિદેશમાં પણ ભવાઈ ભજવવાનો મોકો મળ્યો છે.
પરંતુ સરકારને પણ લુપ્ત થતી જતી ભવાઈને બચાવવા પ્રયત્નો કરવા જોઈએ. સરકારની યોજનાઓ જેવી કે સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, નશાબંધી, સાક્ષરતા અભિયાન, દહેજ નાબુદી, અંધશ્રદ્ધા નિવારણ, મતદાન જાગૃતિ, કોરોના જાગૃતિ જેવી યોજનાના પ્રચાર અને પ્રસારમાં ભવાઈના માધ્યમથી સંદેશો પહોચાડવામાં આવે તો ભવાઈ કલાકારો અને ભવાઈના ભૂંગળ બચી શકે છે.