Vapi: વાપીમાં એક કોલથી નિ:શુલ્ક વૃક્ષારોપણનો પ્રોજેકટ શરૂ, 7 હજાર રોપા રોપવાનો લક્ષ્યાંક
Vapi: હાલ શહેરો અને નાનાં નગરોમાં ઉદ્યોગોને કારણે તેમજ વાહનોને કારણે પ્રદૂષણની માત્રા દિવસેને દિવસે વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને વાપી પાલિકા વિસ્તારમાં વસ્તી પ્રમાણે વૃક્ષોની સંખ્યા જોવા જઈએ તો પ્રમાણમાં ખૂબ ઓછી છે.
Vapi: હાલ શહેરો અને નાનાં નગરોમાં ઉદ્યોગોને કારણે તેમજ વાહનોને કારણે પ્રદૂષણની માત્રા દિવસેને દિવસે વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને વાપી પાલિકા વિસ્તારમાં વસ્તી પ્રમાણે વૃક્ષોની સંખ્યા જોવા જઈએ તો પ્રમાણમાં ખૂબ ઓછી છે. જેને લઇ અહીં તંત્ર દ્વારા ચોમાસામાં વૃક્ષારોપણ માટે અભિયાન (Plantation campaign) ચલાવવામાં આવે છે. નાણામંત્રી અને પારડીના ધારાસભ્ય કનુ દેસાઇ દ્વારા વાપી શહેરના મુખ્ય માર્ગ કોપરલી રોડ ગૌરવ પથ અને આસોપાલવ છરવાડા રોડના ડિવાઈડર વચ્ચે વૃક્ષારોપણ કરી તારીખ 1 જુલાઈથી 31 જુલાઈ સુધી ચાલનારા વૃક્ષારોપણના પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી. આ વખતે વાપી પાલિકાએ ચોમાસામાં 7 હજાર છોડો રોપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
વાપી નગરપાલિકા દ્વારા સતત છેલ્લા 7 વર્ષથી 1 થી 31 જુલાઈ સુધી એટલે કે ચોમાસામાં વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને મોબાઈલ વાનથી નિઃશુલ્ક રીતે નગરજનોને છોડોનું વિતરણ કરવામાં આવે છે. શહેરીજનો માત્ર એક ફોન કોલથી પણ પાલિકામાં ફોન કરી પોતાના આંગણામાં કે ફળિયામાં વૃક્ષારોપણ કરી શકે છે. ત્યારે વાપી પાલિકા દ્વારા નગરને હરિયાળું બનાવવા આ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં નાણામંત્રી અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ વાપી કોપરલી રોડ ગૌરવ પથ અને આસોપાલવ છરવાડા રોડના ડિવાઈડર વચ્ચે વૃક્ષારોપણ કરી નગરજનોને વધુમાં વધુ વૃક્ષો રોપવા માટે અપીલ કરી હતી.
વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી મિતેશ દેસાઇ સહિતના પદાધિકારીઓ અને પાલિકાના સભ્યો હાજર રહ્યા હતાં. 1 થી 11 નંબરના વોર્ડમાં વાપી પાલિકા દ્વારા ચોમાસા દરમિયાન કુલ 7 હજાર છોડો રોપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. શહેરમાં વસ્તીની સરખામણીએ ઓછા વૃક્ષો હોવાથી પાલિકા દ્વારા અભિયાન દર ચોમાસામાં હાથ ધરવામાં આવે છે. ત્યારે હવે આ અભિયાનને કેટલી સફળતા મળશે તેના પર પણ સૌની મીટ મંડાયેલી છે. જોકે શહેરીજનો પણ આ પ્રોજેક્ટનો મોટી સંખ્યામાં લાભ લે અને શહેર ને હરિયાળું બનાવવા આંગણાં કે ફળિયામાં વૃક્ષો વાવીને પોતાનું યોગદાન આપે તેવી અપીલ પણ તંત્ર તરફથી કરવામાં આવી છે.