Valsad : વાપી જીઆઇડીસીમાં ટેક્સ નહીં ભરનાર ધારકોનાં પાણી-વીજ કનેક્શન બંધ કરાયાં
નોટિફાઇડ વિભાગ વર્ષો જૂના બાકી રહેલા ટેક્સની રકમ ઉઘરાવી ભંડોળ એકઠું કરવા માંગે છે. લોકોની સુવિધા આપવાની આશાએ વિકાસના પ્રોજેકટ લાવવા વિચારણા કરી રહ્યું છે.
વલસાડ (Valsad) જિલ્લામાં વાપી (Vapi) જીઆઈડીસીમાં બાકી ટેક્સના નાણાં બાબતે ઉદ્યોગો પર સકંજો કસવામાં આવ્યો છે. બાકી ટેક્સના નાણાં ભરપાઈ ન કરનાર એકમોના વીજળી (electricity) અને પાણી (water) કનેક્શન કટ કરવાની કડક કાર્યવાહી હાથ ધરાતા ઔદ્યોગિક એકમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વાપી જીઆઈડીસીમાં નોટિફાઇડ વિભાગ દ્વારા રહેણાંક અને ઔદ્યોગિક એકમોના મિલકતધારકોને નોટિસ પાઠવી પાણી-વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરતા મિલકત ધારકોમાં ફફડાટ ફેલાયો છે. આવનાર દિવસોમાં વિકાસ કાર્યો કરવાના હેતુથી વર્ષો જૂના ટેક્સની વસૂલાત માટે કડક ઉઘરાણી હાય ધરવામાં આવી હોવાનો લોકોમાં ગણગણાટ છે. વાપી જીઆઈડીસીમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા વર્ષો જૂની વિવિધ ટેક્સ પેટેની. બાકી રહેલ રકમ વસૂલવા, રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં મિલકતધારકોને નોટિસ પાઠવી પાણી કનેક્શન કાપવા સહિત વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને લઈ ટેક્સ બાકી રહેલ મિલકત ધારકોમાં દોડધામ મચી છે અને નોટિફાઇડ વિભાગની કડક કાર્યવાહીથી કેટલાક મિલ્કતધારકોએ બાકી રહેલ ટેક્સની રકમ ગમે ત્યાંથી લાવીને જમા પણ કરી દીધી છે.
વાપી નોટિફાઇડ દ્વારા દોઢ મહિનામાં કરોડોની રકમની વસુલાત કરવામાં આવી હોવાની બાબત ચર્ચાય રહી છે. આ અંગે નોટિફાઇડના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નોટિફાઇડ વિસ્તારમાં આગામી દિવસોમાં માર્ગો, ડિસ્ટ્રીબ્યુશન લાઇન, હાઉસીંગની ડ્રેનેજ અપગ્રેડ કરી STP પ્લાન્ટ સ્થાપવા સહિતના અંદાજિત 150 કરોડથી વધુના પ્રોજેકટ હાથ ધરવાના છે. જે માટે વર્ષો જુના ડ્રેનેજ, પાણીનો ટેક્સ વસૂલવા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે મિલ્કતધારકોના લેણા વર્ષોથી બાકી છે તે મિલ્કતધારકોને નોટિફાઇડ દ્વારા નોટિસ પાઠવવામાં આવી રહી છે. જૂની અને જર્જરિત ઇમારતોથી પણ કોઈ નુકસાન ના થાય તે દિશામાં પણ ધ્યાન આપવામાં આવ્યું છે અને આવી મિલકત ધરાવતા મિલકતધારકોને પણ નોટિસ આપવામાં આવી છે. જીઆઈડીસી વિસ્તારમાં આવેલ હાઉસિંગ સોસાયટીની ટેક્સની રકમ વસૂલવા પાણી કનેક્શન કટ કર્યા છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાણી કનેક્શન કાપ્યા બાદ વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મિલકત ધારકો પાસેથી નોટિફાઇડ દ્વારા ડ્રેનેજ વેરા પેટે 5 લાખથી 25 લાખ સુધીના ટેક્ષ વર્ષોથી બાકી બોલાય છે. નોટિફાઇડ વિભાગ વર્ષો જૂના બાકી રહેલા ટેક્સની રકમ ઉઘરાવી ભંડોળ એકઠું કરવા માંગે છે. લોકોની સુવિધા આપવાની આશાએ વિકાસના પ્રોજેકટ લાવવા વિચારણા કરી રહ્યું છે.
પઠાણી ઉઘરાણીની જેમ ટેક્સની વસૂલી
વાપી જીઆઈડીસીમાં આવેલ મિલકત ધારકો પાસે બાકી રહેલા ટેક્સની રકમ વસૂલવાની નોટિફાઇડ વિભાગે અપનાવેલ નીતિનો લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ટેક્સ વસૂલીમાં નોટિફાઇડ વિભાગ દ્વારા થઇ રહેલી પઠાણી ઉઘરાણીની લોકોમાં ચર્ચા ઉઠી છે ત્રણ વર્ષ થી કોવિડ 19 ની મહામારીમાં મિલ્કતધારકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. રોજગાર, વેપાર બંધ હોવાથી રૂપિયાની આવક બંધ થઈ હતી છતાં નોટિફાઇડ વિભાગ બાકી રહેલા ટેક્સની રકમ વસૂલવામાં કોઈ કસર બાકી નાખતા બાકી રહેલ ટેક્સ ભરવા લોકો મજબુર બન્યા છે.