Valsad : મોડી રાત્રે વલસાડમાં બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાઈ, સાડા છ ઇંચ વરસાદ ખાબકતા સાર્વત્રિક જળ બંબાકાર
મોડી રાત્રે વલસાડ (Valsad) વરસેલા વરસાદ (Rain) બાદ વલસાડમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.વરસાદને કારણે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી.
હવામાન (Weather) વિભાગની આગાહીને અનુસાર જ વલસાડ(Valsad) જિલ્લામાં મેઘરાજાની (Rain) ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. દિવસ દરમ્યાન કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ઉકળાટ અને બફારા બાદ મોડી રાત્રે સમગ્ર વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જળ બંબાકાર સર્જાયો હતો. દિવસ દરમ્યાન છૂટો છવાયો વરસાદ પડ્યા બાદ મોડી રાત્રે વલસાડ વરસેલા વરસાદ બાદ વલસાડમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.વરસાદને કારણે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે અનરાધાર વરસાદ પડ્યો હતો.
આ વિસ્તારમાં ભરાયા પાણી
રાત્રી ના સમયગાળા દરમ્યાન જ સાડા છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ભારે હાલાકી સર્જાઈ હતી. ખાસ કરીને વરસાદને પગલે વલસાડના તિથલ રોડ, એમજી રોડ, છીપવાડ, હાલાર રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, સ્ટેશન રોડ, મોગરા વાડી વિસ્તાર, રેલવે ગરનાળા સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા.
હજી પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા
રાત્રી દરમ્યાન પડેલા વરસાદ બાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સવાર સુધી જોવા મળી હતી. સવારથી જિલ્લામાં સામાન્ય વરસાદ છે, પણ વલસાડ જિલ્લાને જોડતા મુખ્ય અંડરપાસમાં પણ પાણી ભરાયા છે, જેથી 28 ગામોને જોડતો આ અંડરપાસ બંધ કરવામાં આવતા લોકોને હાલાકી ભોગવવી પડી છે, ખાસ કરીને સવારે નોકરિયાતો અને વિદ્યાર્થીઓને તેના લીધે ભારે મુશ્કેલી પડી હતી.
કયા તાલુકામાં કેટલો પડ્યો વરસાદ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 15 મિમી, ધરમપુર માં 1 ઇંચ, પારડીમાં સૌથી વધારે 3.6 ઇંચ અને વાપીમાં 1.44 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે સાડા છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે પડેલા દેમાર વરસાદ બાદ આજે સવારથી વરસાદે પોરો ખાધો છે. જોકે હવામાન ખાતાએ હજી ચાર દિવસ સુધી વલસાડમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
જેને પગલે જિલ્લા કલેકટર તંત્ર પણ એલર્ટ મોડમાં છે. અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે, અને તેઓને હેડ ક્વાર્ટર નહિ છોડવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહિ વરસાદની સાથે ભારે પવન ફૂંકવાની પણ આગાહી હોય માછીમારોને દરિયો ન ખેડવા અને લોકોને દરિયાકિનારેથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે.
(વીથ ઇનપુટ- સચિન કુલકર્ણી, વલસાડ)