Vadodaraમાં પાણીનો પ્રશ્ન વિકરાળ બન્યો, સી.આર. પાટીલની હાજરીમાં જ મેયર અને માજલપુરના ધારાસભ્ય બાખડ્યા
વડોદરાના (Vadodara) માંજલપુર વિસ્તારને પીવાનું પાણી આપવા મુદ્દે ધારાસભ્ય યોગેશ પટેલ અને મેયર કેયુર રોકડિયા આમને-સામને આવી ગયા હતા.
ગુજરાતમાં (Gujarat) મેઘરાજાના મંડાળ ભલે થઇ ગયા હોય, પણ ઘણા સ્થળોએ પાણીનો પ્રશ્ન (Water crisis) હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. વડોદરાના (Vadodara) માંજલપુર વિસ્તારમાં પાણીનો પ્રશ્ન એટલો પેચીદો બન્યો છે કે મેયર અને ધારાસભ્ય એક બીજા સાથે રીતસરના બાખડી પડ્યા. માંજલપુર વિસ્તારમાં પાણી આપવા મુદ્દે ધારાસભ્ય યોગેશ પટેલ (MLA Yogesh Patel) અને મેયર કેયુર રોકડીયા (Mayor Keyur Rokadiya) આમને સામને આવી ગયા હતા. એટલુ જ નહીં ધારાસભ્યએ તો માંજલપુરને પાણી ન મળે તો જનજાગૃતિ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સી.આર. પાટીલની હાજરીમાં જ બંને બાખડ્યા
વડોદરામાં પાણીની સમસ્યાના કારણે ભાજપના બે આગેવાનો સામ સામે આવી ગયા. વડોદરાના માંજલપુર વિસ્તારને પીવાનું પાણી આપવા મુદ્દે ધારાસભ્ય યોગેશ પટેલ અને મેયર કેયુર રોકડિયા આમને-સામને આવી ગયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં યોજાયેલી સંકલન બેઠકમાં બંને આગેવાનો બાખડ્યા હતા. વડોદરાના મેયરે સિંધરોટથી 35 MLD પાણી આપવાનું કહેતા ધારાસભ્ય ઉશ્કેરાયા હતા. યોગેશ પટેલે કહ્યું કે 35 MLD પાણી કોઈ હિસાબે ન ચલાવી લેવાય.
જનજાગૃતિ આંદોલન કરવાની ચીમકી
જોત જોતામાં વાત એટલી આગળ વધી ગઇ કે પાણી મુદ્દે ધારાસભ્ય યોગેશ પટેલે સ્થાનિકોને સાથે રાખીને જનજાગૃતિ આંદોલન કરવાની ચીમકી આપી છે. તો સમગ્ર વિવાદમાં મેયરે કહ્યું કે દક્ષિણ વિસ્તારમાં જરૂરિયાત કરતા વધારે પાણી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. હવે જોવાનું રહ્યુ કે પાણીના આ પ્રશ્નનું નિરાકરણ આવે છે કે કેમ.