Vadodara: સામાજિક વનિકરણ વિભાગ જિલ્લામાં 3 ‘નમો વડ વન’ ઉછેરશે, 75 જેટલા વડની વાટીકા બનાવાશે
સામાજિક વનીકરણ વિભાગના કાર્યકારી નાયબ વન સંરક્ષકે જણાવ્યું કે અમારા વિભાગે વડોદરા જિલ્લામાં પવિત્ર તીર્થ સ્થળ નારેશ્વર, દક્ષિણ પ્રયાગ તીર્થ ચાણોદ અને આજવા નજીક ઉપલબ્ધ જમીનમાં ત્રણ નમો વડ વન ઉછેરવાનું આયોજન તૈયાર કરી મોકલી આપ્યું છે.
રાજ્ય સરકાર (State Government) વન વિભાગને માધ્યમ બનાવીને આઝાદીના 75 વર્ષની ઉજવણીની યાદગીરી રૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ને પ્રિય છે એવા પવિત્ર વડના વૃક્ષોની 75 વાટીકાઓ રાજ્યના 33 જિલ્લાઓમાં ઉછેરવાનું આયોજન કર્યું છે. આ વાટિકાઓ ‘નમો વડ વન’ના નામે ઓળખાશે. તેને અનુલક્ષીને સામાજિક વનીકરણ વિભાગ, વડોદરા (Vadodara) એ જિલ્લામાં ત્રણ જગ્યાઓએ નમો વડ વન ઉછેરવાનું આયોજન કર્યું છે. વડોદરાના નામ સાથે આ વૃક્ષ જોડાયેલું છે અને મહારાજા સયાજીરાવ મહારાજે ગાયકવાડી ગામોમાં જે પાંચ વૃક્ષોના ઊછેરને અગ્રતા આપી હતી તેમાં વડનો સમાવેશ થાય છે. આજે પણ જીએસએફસીનો લગભગ બસો વર્ષની ઉંમરનો ઘેઘૂર વડલો તથા વડોદરામાં ઘણી જગ્યાએ આવેલા વિશાળ વડલા વડોદરાના વડ પ્રેમની ગવાહી આપે છે.
સામાજિક વનીકરણ વિભાગના કાર્યકારી નાયબ વન સંરક્ષક રાજગુરુએ જણાવ્યું કે આજે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીના અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી નમો વડ વન ઉછેરનો મંગળ પ્રારંભ કરાવ્યો છે.અમારા વિભાગે વડોદરા જિલ્લામાં પવિત્ર તીર્થ સ્થળ નારેશ્વર, દક્ષિણ પ્રયાગ તીર્થ ચાણોદ અને આજવા નજીક ઉપલબ્ધ જમીનમાં ત્રણ નમો વડ વન ઉછેરવાનું આયોજન તૈયાર કરી મોકલી આપ્યું છે.
મુખ્યમંત્રી (Chief Minister) એ વન સાથે જન ને જોડવાનું જે સૂત્ર આપ્યું છે તેને સાકાર કરવામાં યોગદાન રૂપે આ પ્રત્યેક નમો વનમાં 75 વટ વૃક્ષો ઉછેરવાનું આયોજન છે અને ચોમાસાં પૂર્વે તેનું વાવેતર કરવામાં આવશે.આ પ્રત્યેક વન પોણાથી એક હેકટર જેટલી ઉપલબ્ધ જમીનમાં ઉછેરવામાં આવશે.
વડ એ ભારતીય સંસ્કૃતિ અને સમાજ જીવન સાથે સંકળાયેલું પવિત્ર,પૌરાણિક અને ઐતિહાસિક વૃક્ષ છે. એક જ વડમાંથી ઉછરેલા અસંખ્ય વડ વૃક્ષો માટે ગુજરાતનું કબીરવડ જાણીતું છે.તેવા સમયે આઝાદીના 75 માં વર્ષે 75 નમો વડ વનનો ઉછેર આ વૃક્ષની અસ્મિતાને રાજ્યના જન જીવન સાથે વધુ અતૂટ રીતે જોડશે.
મળતી જાણકારી અનુસાર આજે ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોને બોન્સાઈ વડ ભેટમાં આપવામાં આવ્યા.ગૌરવની વાત એ છે કે વડોદરાના બોન્સાઈ પ્રેમી પાસે થી આ વામન વડ મેળવવામાં આવ્યા હતા.આમ,વડોદરા આ વડ ઉછેર અભિયાન સાથે વધુ એક આગવી રીતે જોડાયું છે.
આ પણ વાંચોઃ ગુજરાતી વેબ સિરીઝ ‘બસ, ચા સુધી’ પોતાની નવી સફર માટે તૈયાર