VADODARA : મધ્ય ગુજરાતના બે અભયારણ્યોમાં ઝરખ, શિયાળ, જંગલી ભૂંડ, નીલગાય જેવા વન્ય પ્રાણીઓની વસ્તી વધી
VADODARA : વન્ય જીવ વર્તુળ, વડોદરા હેઠળના જાંબુઘોડા અને રતનમહાલ અભયારણ્યોની ત્રણ રેન્જમાં ઝરખ, શિયાળ, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા, નિલગાય જેવા વન્ય પ્રાણીઓની સંખ્યામાં કોરોનાકાળમાં થયેલી વન્ય પ્રાણી ગણનામાં વધારો થયેલો જણાયો છે.
VADODARA : કોરોના મહામારીની આમ તો ખૂબ વિપરીત અસર થઈ છે. પરંતુ કાળા વાદળની સોનેરી કોરની જેમ એક ખુશીના ખબર મળ્યા છે. વન્ય જીવ વર્તુળ, વડોદરા હેઠળના જાંબુઘોડા અને રતનમહાલ અભયારણ્યોની ત્રણ રેન્જમાં ઝરખ, શિયાળ, જંગલી બિલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા, નિલગાય જેવા વન્ય પ્રાણીઓની સંખ્યામાં કોરોનાકાળમાં થયેલી વન્ય પ્રાણી ગણનામાં વધારો થયેલો જણાયો છે.
તેમાં પણ સ્ત્રાઇપડ હાયના એટલે કે પટ્ટા વાળા ઝરખની સંખ્યામાં સતત બીજા વર્ષે સારો એવો વધારો નોંધાયો એ ખૂબ આશાસ્પદ ઘટના ગણાય. કારણ કે મૃતપ્રાણી ભક્ષી આ વન્ય જીવ છેલ્લાં ઘણાં સમયથી જોખમ હેઠળની શ્રેણીમાં આવી ગયું છે.
જ્યારે જંગલમાં માનવની દખલ ઘટે ત્યારે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને સારો ફાયદો થાય એવી સૂચક ટકોર કરતાં નાયબ વન સંરક્ષક બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે 2019ની વન્ય પ્રાણી ગણતરીમાં 77 ઝરખ આ વિસ્તારમાં જણાયા હતાં. જે 20માં વધીને 87 અને 2021માં 123 થયાં છે. આ એક ખૂબ આશાસ્પદ વધારો છે.
2020ના લોક ડાઉન અને હાલના આંશિક લોકડાઉનમાં માનવ અવર જવર ઘટતાં આ ફાયદો થયો છે. આ ઉપરાંત શિકારની પ્રવૃત્તિ અટકાવવા લેવામાં આવેલા પગલાંની પણ સારી અસર પડી છે. જોકે દીપડા અને રીંછની સંખ્યામાં નોંધપાત્ર વધઘટ જણાઈ નથી. વન્ય પ્રાણી વિભાગો દ્વારા તેમની ફરજના ભાગરૂપે અને વન્ય પ્રાણીઓની વધુ બહેતર સારસંભાળનું આયોજન કરી શકાય તે માટે દર વર્ષે રક્ષિત અભ્યારણ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. જ્યારે રાજ્યના ચીફ વાઈલ્ડ લાઇફ વોર્ડન દ્વારા દર ત્રણ વર્ષે રાજ્યના સમગ્ર વન વિસ્તારમાં વાઈલ્ડ લાઇફ સેન્સસ હાથ ધરવામાં આવે છે.
દીપડા અને ઝરખ વચ્ચે જો લડાઇ થાય તો વધુ આક્રમકતા અને વધુ મજબૂત જડબા ધરાવતા ઝરખ સામે દીપડાએ ભાગવું પડે એવી રસપ્રદ જાણકારી આપતાં બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે દેશના વિવિધ રાજ્યો અને વન વિસ્તારોમાં ઝરખને સ્થાનિક લોકો જુદાં જુદાં નામે ઓળખે છે. એના પાછળના પગમાં રાંટા પડતાં હોવાથી એની ચાલ વિચિત્ર દેખાય છે. પરંતુ આ પ્રાણી ખૂબ તીવ્ર ગતિથી દોડી શકે છે.
તેના મજબૂત જડબાથી તે ગમે તેવા જાડા અને મજબૂત હાડકાંને ચાવી શકે છે. ઝરખ ક્યારેક જાતે શિકાર કરે છે પરંતુ તે બહુધા અન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલા શિકારના મૃત મડદા ખાય છે. ગામલોકો પાલતુ કે કૂતરા,બિલાડા જેવા પ્રાણીઓના મૃત શરીર ગામની ભાગોળે નાંખતા હોવાથી ગામ નજીકના વિસ્તારોમાં તેની અવર જવર જોવા મળે છે.
2021ની વન્ય પ્રાણી ગણતરીમાં ઉપરોક્ત વિસ્તારોમાં ચોશિંગા અને સસલાની વસ્તી પણ વધેલી જણાઈ છે. ઝરખ શરમાળ પ્રાણી છે. એ માનવ દખલથી ખૂબ ગભરાય છે. તેને જંગલ વચ્ચેથી અવર જવર કરતા વાહનોના ઘોંઘાટ અને હેડ લાઈટના પ્રકાશના શેરડાથી પણ ત્રાસ અનુભવાય છે. મહામારી અને લોક ડાઉનથી આ તમામ વિપરીત પરિબળોની અસર ઘટતાં નિર્દોષ વન્ય જીવોને થયેલો સકારાત્મક ફાયદો એક નોંધ લેવા જેવી ઘટના છે.