VADODARA : વડોદરા મહાનગર પાલિકા મંડળોના સ્થાપિત શ્રીજીના વિસર્જન માટે ચાર મોટા અને એક નાનું તળાવ બનાવશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા બ્રિજ, ગોરવા, સોમા તળાવ અને નવલખી ખાતે મોટા અને આઈનોકસ સામે એક નાનું તળાવ બનાવવામાં આવશે.ઘરમાં સ્થાપિત ગણેશજીનું ભાવિકો ઘરમાં જ યોગ્ય વાસણમાં કે પાત્રમાં વિસર્જન કરે એવી ખાસ અપીલ કરવામાં આવી છે.
VADODARA : નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે ગણેશોત્સવના સંદર્ભમાં વિસર્જન શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દભર્યા વાતાવરણમાં થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાના મેયર, ધારાસભ્યો, મહાનગરપાલિકાના કમિશનર અને શહેર પોલીસ કમિશનર, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાથે સુચારૂ વ્યવસ્થાનો વિગતવાર વિચાર વિમર્શ કર્યો હતો.
વડોદરામાં ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવવાની પરંપરા છે તેનો ઉલ્લેખ કરતાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલે જણાવ્યું કે, કોરોના ને લીધે આ પરંપરાગત ઉત્સવ ઘણાં નિયંત્રણો વચ્ચે ઉજવાયો હતો.હાલમાં રાજ્ય સરકારે પરિસ્થિતિને અનુલક્ષીને નિયંત્રણો હળવા કર્યા છે અને જાહેરનામા દ્વારા ધારાધોરણો નિર્ધારિત કર્યા છે. ભાવિકો અને ગણેશ મંડળો તમામ નિયમોનું પાલન કરીને સહયોગ આપે અને પોલીસ તંત્ર સાથે સંકલન જાળવે. તેમણે જણાવ્યું કે, પ્રત્યેક મંડળના શ્રીજી સાથે વિસર્જન યાત્રામાં 15 વ્યક્તિ જોડાઈ શકશે. ડીજે ના ઉપયોગની ઉચિત પરવાનગી મેળવી લેવાની રહેશે.
વડોદરા મહાનગર પાલિકા મંડળો દ્વારા સ્થાપિત ગણેશજીના વિસર્જનમાં સરળતા માટે શહેરમાં ચાર મોટા અને એક નાનું તળાવ બનાવશે તેવી જાણકારી આપતાં તેમણે જણાવ્યું કે,સમા બ્રિજ, ગોરવા, સોમા તળાવ અને નવલખી ખાતે મોટા અને આઈનોકસ સામે એક નાનું તળાવ બનાવવામાં આવશે.ઘરમાં સ્થાપિત ગણેશજીનું ભાવિકો ઘરમાં જ યોગ્ય વાસણમાં કે પાત્રમાં વિસર્જન કરે એવી તેમણે ખાસ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, મહાનગર પાલિકા તળાવોની આસપાસ પ્રકાશ વ્યવસ્થા સહિત જરૂરી પ્રબંધ કરશે. સહુ જાહેરનામાનો અમલ કરીને સહયોગ આપે.વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું કે, વિસર્જન સરળ રીતે થાય તે માટે મહાનગરપાલિકા ઝોન દીઠ એક ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરશે.
મંડળો દિવસ દરમિયાન સામાજિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જાહેરનામાની જોગવાઈઓ પાળીને કરે એવો તેમણે અનુરોધ કર્યો હતો અને રાત્રીના બાર વાગ્યા થી કરફ્યુનો અમલ થવાનો હોવાથી મોડામાં મોડું 11 વાગ્યા સુધી તમામ પ્રક્રિયાઓ પૂરી કરી લેવા પર ભાર મૂક્યો હતો. પોલીસ તંત્ર,મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસન જાહેરનામાના સંદર્ભમાં પોતાની ભૂમિકા અદા કરશે.ભાવિક ભક્તો અને મંડળો જાહેરનામાની જોગવાઈઓનું પાલન કરીને સહયોગ આપે,તહેવાર પણ ઉજવાય અને સૌહાર્દ જળવાય એવો તેમણે અનુરોધ કર્યો હતો.
સરકીટ હાઉસ ખાતેની બેઠકમાં ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, શૈલેષ મહેતા, કેતન ઈનામદાર, અક્ષય પટેલ, સીમાબેન મોહિલે, કલેકટર આર. બી. બારડ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર શમશેરસિંઘ જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજવા સરોવર ને નર્મદા નું પાણી આપવા ની મહાનગર પાલિકા ની વિનંતી અંગે નર્મદા વિકાસ મંત્રીશ્રીએ જણાવ્યું કે,વડોદરા ને પાણી ખૂંટવા નહિ દઈએ,ધારાધોરણો પ્રમાણે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.