Vadodara: લમ્પી વાયરસના સંકટને ધ્યાને રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું, જિલ્લામાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ
વડોદરાના (Vadodara) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલાએ વડોદરા ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અન્ય રાજ્યો, જિલ્લા, તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા ઉપર 6 સપ્ટેમ્બર 2022 સુધી પ્રતિબંધ લગાવ્યો છે.
ગુજરાતના (Gujarat) વિવિધ જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝ (Lumpy skin diseases) ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ વાયરસથી એક પશુથી બીજા પશુંમાં ખૂબ જ ઝડપથી ફેલાતો હોય છે. પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોટેલી ઈતરડી ,માખી, મચ્છર વગેરેથી પણ આ રોગ ફેલાય છે. ત્યારે લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વડોદરા (Vadodara) જિલ્લામાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ લાધતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
વડોદરાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલાએ વડોદરા ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અન્ય રાજ્યો, જિલ્લા, તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા ઉપર 6 સપ્ટેમ્બર 2022 સુધી પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત પશુના વેપાર , પશુ મેળા,પશુ પ્રદર્શન,પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતા હોય તેવા આયોજનો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામા અનુસાર કોઇ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા પશુઓ તથા સંક્રમિત મૃત પશુઓ અથવા તેના કોઈ ભાગને ખુલ્લા મુકી દેવાની અથવા તેમને લાવવા – લઈ જવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આવા સંક્રમિત પશુઓ જે જગ્યાએ હોય તે જગ્યાની માલિક ધરાવનાર અથવા અહીંના રહેવાસીઓએ આ જગ્યા સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી છે. સાથે જ સંક્રમણ ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવા અથવા સંક્રમિત પશુઓને અન્ય સ્વસ્થ પશુ સાથે ન રાખવા પણ સૂચન કરવામાં આવ્યુ છે. જાહેરનામામાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે આ હુકમનો ભંગ કરનાર કાયદાકીય રીતે શિક્ષાને પાત્ર થશે.
મહત્વનું છે કે ગુજરાતમાં 20થી વધુ જિલ્લામાં બે હજારથી વધુ પશુઓના લમ્પીથી મોત નિપજ્યા છે. ત્યારે લમ્પી વાયરસ પર એક અઠવાડિયામાં કાબૂ મેળવવાનો દાવો કરાયો છે. રસીકરણ પર ભાર અપાઈ રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં વધુ 882 કેસ સામે આવ્યા છે. તો 16 પશુના લમ્પી વાયરસથી મોત થયા છે. દ્વારકામાં 509, રાજકોટમાં 195 નવા કેસ નોંધાયા છે. જામનગરમાં 89 અને પોરબંદરમાં 37 નવા કેસ થયા છે. અમરેલીમાં 29 અને જૂનાગઢમાં 25 કેસ નોંધાયા છે.
લમ્પી વાયરસના લક્ષણો
લમ્પી વાયરસ ગાય કે નંદીમાં હજુ સુધી જોવા મળી રહ્યો છે. જેમાં પશુના શરીર પર મોટા ફોડલા થવા, પગમાં સોજા થવા, નાકમાંથી પ્રવાહી કે લોહી નિકળવુ, ખોરાક ના લેવો, પશુનુ લાંબા સમય સુધી સ્થિર રહેવુ, તાવ સહીતના લક્ષણો જોવા મળે છે. જો આવા લક્ષણો પશુઓમાં જોવા મળે તો તેને ઝડપી સારવાર આપવી જોઈએ. જો 3 થી 5 દિવસમાં સારવાર ના મળે તો વાયરસ જીવલેણ બની શકે છે.