Vadodara: મંદિર પર પણ ‘બુલ્ડોઝર’ ફેરવાતા ભક્તો અને પૂજારી વ્યથિત, તંત્રના નિર્ણયની કરી રહ્યા છે ટીકા
વડોદરામાં (Vadodara) ઓપી રોડ પર આવેલા મંદિરના પૂજારી મંદિર (Temple) તોડ્યા પછીના દ્રશ્યો જોઈ વ્યથિત થઇ ગયા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ચોધાર આંસુએ રડતા રડતા પૂજારીએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી ઠાલવી હતી
વડોદરા (Vadodara) શહેરના ઓપી રોડ પર મનીષા ચોકડીથી ઓલ્ડ પાદરા રોડ પર બની રહેલ ઓવર બ્રિજના આસપાસનો માર્ગ પહોળા કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (Corporation) દ્વારા બુલ્ડોઝર ફેરવવામાં આવી રહ્યુ છે,ગત 12 મેની મધરાતે રોક સર્કલ નજીકથી ભાથુજી મહારાજનું મંદિર અને હનુમાનજી મંદિર કોર્પોરેશનના સ્ટાફ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ મંદિરે (Temple) દર્શન કરવા આવતા લોકો હજુય અહીં પહોંચી રહ્યા છે અને મંદિર તોડ્યા પછીની સ્થિતિ જોઈ વ્યથિત થઇ રહ્યા છે. મંદરિના પૂજાર પણ વ્યથિત છે અને તંત્રના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.
વડોદરામાં ઓપી રોડ પર આવેલા મંદિરના પૂજારી જયંતિભાઈ પૂજારી મંદિર તોડ્યા પછીના દ્રશ્યો જોઈ વ્યથિત થઇ ગયા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ચોધાર આંસુએ રડતા રડતા જયંતિ પૂજારી નામના પૂજારીએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી ઠાલવી હતી અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને અયોગ્ય ગણાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે માનવીને બનાવનાર ભગવાનને જ લોકો રાતોરાત ઉઠાવીને લઇ જાય છે. તો બીજી તરફ ભક્તોમાં મંદિર તોડી પાડવાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, લોકો માને છે શહેરના વિકાસ અને લોકોની સુખાકારી માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવા જરૂરી તમામ પગલાં લેવાવા જ જોઈએ. દબાણો હોય તે પણ હટાવવા જોઈએ, પરંતુ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા રાત્રીના અંધકારમાં આ મંદિરો તોડવામાં આવ્યા છે તે યોગ્ય નથી.
વડોદરા શહેરમાં કોર્પોરેશને બે મંદિરોની દેરી તોડી પાડતાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસે આ મુદ્દે આક્રમકતાથી સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. તો પાલિકાની આ કામગીરીને હિન્દુ અગ્રણીઓએ વખોડી કાઢી હતી. ત્યારે બે મંદિરોની દેરી તોડી પાડતાં ભારે વિરોધ (Protest) બાદ કોર્પોરેશને હવે ખુલાસો કર્યો છે. કોર્પોરેશને જણાવ્યુ છે કે રસ્તામાં આવતા મંદિરોની પ્રતિમાને અન્ય સ્થળે પ્રસ્થાપિત કરવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. મંદિરોમાંથી પ્રતિમાઓ અન્ય મંદિરોને સોંપવામાં આવી છે
વડોદરા કોર્પોરેશન દ્વારા ઓપી રોડ પર મંદિર તોડી પાડતા ભારે વિવાદ વકર્યો હતો. જેના પગલે કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી તથા ટીમ રેવોલ્યુશનના અગ્રણી સ્વેજલ વ્યાસની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર વિવાદ મામલે વિવાદ વધુ વકરતા કોર્પોરેશને ખુલાસો કર્યો અને કહ્યું કે ડાયવર્ઝન બાદ રોડની પહોળાઇ માત્ર 4 મીટર જ રહે છે. જેથી રસ્તામાં આવતા મંદિરોની પ્રતિમાને અન્ય સ્થળે પ્રસ્થાપિત કરવા સિવાય કોઇ વિકલ્પ બચતો જ નથી. સાથે જ કોર્પોરેશને દાવો કર્યો કે તોડી પડાયેલા મંદિરોમાંથી પ્રતિમાઓ અન્ય મંદિરોને સોંપવામાં આવી છે.