vadodara : મોટા ફોફળીયાનું કોવિડ કેર સેન્ટર દર્દીઓ માટે આશીર્વાદરૂપ, અહી ૧૮૫ દર્દીઓ સાજા થયા
vadodara : કોરોનાની બીજા લહેરથી શહેરોની સાથે ગામડાઓમાં પણ વ્યાપક અસર થતાં ગામડાઓમાં સંક્રમણ વધ્યું છે.વડોદરા જિલ્લાના ગામડાઓમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક આરોગ્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે.
vadodara : કોરોનાની બીજા લહેરથી શહેરોની સાથે ગામડાઓમાં પણ વ્યાપક અસર થતાં ગામડાઓમાં સંક્રમણ વધ્યું છે.વડોદરા જિલ્લાના ગામડાઓમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક આરોગ્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે.વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામે શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ,જિલ્લા હેલ્થ સોસાયટી અને જિલ્લા પ્રસાશનના સહયોગથી ૧૦૦ પથારીનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
આ કેર સેન્ટરમાં દર્દીઓને દવા,ચા, નાસ્તો તેમજ ભોજન વિના મૂલ્યે આપવામાં આવે છે. એટલું જ નહિ તબીબો દ્વારા દર્દીઓની ઉચિત કાળજી લેવા સાથે સારવાર પણ આપવામાં આવે છે.
શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક અશોકભાઈ પટેલે જણાવ્યું કે જિલ્લા પ્રશાસન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિનોરના સહયોગથી ટ્રસ્ટની શાળાના હોસ્ટેલ બિલ્ડિંગમાં ૧૦૦ બેડનું કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેની ક્ષમતા ૨૦૦ બેડ સુધી વધારી શકાય તેમ છે. શિનોર તાલુકાના ગામડાઓમાં કોરોના પોઝિટિવ દર્દીઓને ઘરે આઇસોલેશનની વ્યવસ્થા ન હોય એવા દર્દીઓને અહી દાખલ કરી સારવાર આપવામાં આવે છે.
દાતા કિરણભાઈ પટેલે રૂ.૮ લાખના ખર્ચે દર્દીઓ માટે એમ્બ્યુલન્સ વાન ભેટ આપી
તેમણે ઉમેર્યું કે દર્દીઓને અન્ય સ્થળે રિફર કરવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવા પર આધાર રાખવો પડતો હતો. જેને કારણે દર્દીઓને અન્ય દવાખાનામાં લઈ જવામાં વિલંબ થતો હતો. આ સમસ્યા અંગે અમારા અમેરિકા સ્થિત દાતા કિરણભાઈ પટેલને વાત કરી તો તેમણે તાત્કાલિક રૂ.૮ લાખના ખર્ચે એમ્બ્યુલન્સ વાનની ભેટ ધરી. જેથી દર્દીઓની સુવિધામાં વધારો થયો છે.
તેમણે જણાવ્યું કે સેન્ટરમાં દાખલ થતાં દર્દીઓને દવા,રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સેન્ટરમાં શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બે તબીબો, પેરમેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
નોડલ અધિકારી ડો.જીગ્નેશ વસાવાએ જણાવ્યું કે આ કેર સેન્ટરમાં અત્યાર સુધી ૨૯૪ દર્દીઓ દાખલ થયા હતા.હાલમાં ૮૫ દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. જ્યારે ૧૮૫ દર્દીઓ સાજા નરવા થઈને સુખરૂપ ઘરે પહોંચ્યા છે.૩૪ દર્દીઓને વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રિફર કરવામાં આવ્યા છે.તેમણે ઉમેર્યું કે કેર સેન્ટરમાં કોરોનાના માઈલ્ડ અને એશિમટોમેટીક લક્ષણો ધરાવતા દર્દીઓને દાખલ કરવામાં આવે છે.અહી દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
આર્યુવેદિક દવાખાનાના વૈદ્ય કૈલાશ વસાવા કહે છે કે કોવીડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓને આર્યુવેદ ઉકાળા,દવાઓ પુરી પાડવા સાથે આસપાસના ગામડાઓમાં લાઈવ ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળી કામ કરે તો તેનું કેવું ઉત્તમ પરિણામ મળે છે તેનું પ્રેરક ઉદાહરણ મોટો ફોફળિયા ગામે પૂરું પાડ્યું છે.