Vadodara: કોર્પોરેશન દ્વારા બે મંદિરોની દેરી તોડી પડાતા કોંગ્રેસનો આક્રમક વિરોધ, પોલીસે કરી અટકાયત
વડોદરા કોર્પોરેશનના (Vadodara Corporation) નિર્ણયનો ચોમેરથી વ્યાપક વિરોધ શરુ થયો છે. શહેર કોંગ્રેસની સાથે કરણી સેના અને ટીમ રિવોલ્યુશન પણ વિરોધના મેદાનમાં ઉતરી છે.
વડોદરા (Vadodara) શહેરમાં કોર્પોરેશને OP રોડ પર આવેલા બે મંદિરોની દેરી તોડી પાડતાં વિરોધનો સૂર ઉઠ્યો છે. વડોદરા કોંગ્રેસે (Congress) આ મુદ્દે આક્રમકતાથી સૂત્રોચ્ચાર સાથે વિરોધ (Protest) વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ દ્વારા મંદિરના સ્થળ પર રામધૂન તથા હનુમાન ચાલીસાના કાયક્રમનું આયોજન રાખ્યુ હતું, સાથે જ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. આ સાથે જ વડોદરા શહેર કૉંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ આ મુદ્દે ભાજપના શાસકો પર નિશાન સાધ્યું હતુ.
શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના પ્રહાર
કોર્પોરેશનના નિર્ણયનો ચોમેરથી વ્યાપક વિરોધ શરુ થયો છે. શહેર કોંગ્રેસની સાથે કરણી સેના અને ટીમ રિવોલ્યુશન પણ વિરોધના મેદાનમાં ઉતરી છે. જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ પત્રકાર મિત્રોને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હિંદુઓની ધાર્મિક લાગણી સાથે જે ચેડાં કરવામાં આવ્યા છે. એને વડોદરા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે, “મુહ મેં રામ બગલ મેં છૂરી, ભાજપકી હૈ નિયત બુરી” એમ અત્યારે વડોદરાની પ્રજા અનુભવી રહી છે.
બીજી તરફ કરણી સેનાના ગુજરાત પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડે વડોદરા મહાનગરના મેયર કેયુર રોકડીયા તેમજ જવાબદાર અધિકારીઓ પર ધર્મ સંબંધી ગુના હેઠળ કાયદેસરના પગલાં લેવા માગ કરી છે. વડોદરા પોલીસ કમિશનરને ઈ-મેઈલના માધ્યમથી ફરિયાદ કરવામાં આવી છે. આ સાથે મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે જો વડોદરા પોલીસ ફરિયાદને ન્યાય નહીં આપે તો ભવિષ્યમાં હાઈકોર્ટમાં પણ ન્યાય લેવા અરજી કરીશું.
બીજી બાજુ ટીમ રિવોલ્યુશન દ્વારા જે સ્થળે મંદિર તોડવામાં આવશે તે સ્થળે પુનઃ મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. ટીમ રીવોલ્યુશનના સ્વેજલ વ્યાસ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાની હેઠળ મંદિરનું પુનઃ નિર્માણ કાર્ય શરુ કર્યું હતું. જેને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. સાથે જ પોલીસે કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી તથા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસની અટકાયત કરી હતી.
મહત્વનું છે કે વડોદરા કોર્પોરેશને લોકવિરોધના ડરથી અડધી રાત્રે રોકસ્ટાર સર્કલ પાસે આવેલી ભાથુજી મહારાજની દેરી તથા મલ્હાર પોઈન્ટ પાસે બળિયા દેવની દેરી તોડી પાડી હતી. પાલિકાની આ કામગીરીને હિન્દુ અગ્રણીઓએ વખોડી કાઢી હતી. જે બાદ હવે કૉંગ્રેસ પણ વિરોધના મેદાનમાં ઉતરી છે.